ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજા છેલ્લા ત્રણ-ચાર દિવસથી ધબધબાટી બોલાવી રહ્યાં છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 94 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસાદ ખાબક્યો.
ગુજરાતમાં વરસાદી માહોલ હજુ યથાવત
5 દિવસ સુધી સામાન્ય વરસાદની શક્યતા
છેલ્લા 24 કલાકમાં 94 તાલુકામાં વરસાદ
હવામાન વિભાગે હજુ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડશે તેવી આગાહી કરી છે. ત્યારે આજે ફરી ગુજરાતના કેટલાંક જિલ્લાઓને મેઘરાજા ધમરોળશે. રાજ્યમાં હજુ 5 દિવસ સુધી સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે.
જાણો આજે કયા-કયા વિસ્તારોમાં મેઘરાજા વરસશે?
આજે રાજ્યમાં કચ્છ, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં સારો વરસાદ પડશે. તો બીજી બાજુ ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરાને પણ મેઘરાજા ધમરોળશે. એ સિવાય ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી વલસાડ અને નવસારીમાં પણ સારો એવો વરસાદ વરસશે.
છેલ્લા 24 કલાકમાં 94 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી
તમને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 94 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ પાલનપુરમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો. તો સિદ્ધપુરમાં 2 ઈંચ, સતલાસણામાં 2 ઈંચ, અમીરગઢમાં પોણા 2 ઈંચ, દાંતામાં પોણા 2 ઈંચ, પોશીનામાં 1.5 ઈંચ, ઉંઝામાં 1.5 ઈંચ, પાટણમાં 1.5 ઈંચ, વડગામમાં 1.5 ઈંચ, હારીજમાં 1.5 ઈંચ, કઠલાલમાં 1.5 ઈંચ
જોટાણામાં સવા ઈંચ, મોડાસામાં સવા ઈંચ, ધનસુરામાં 1 ઈંચ, ચાણસ્મામાં 1 ઈંચ, મહુધામાં 1 ઈંચ અને મેઘરજમાં 1 ઈંચ વરસાદ વરસ્યો.
નર્મદા નદીની જળસપાટી વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા
ભરૂચ પાસે નર્મદા નદીની જળસપાટી વધી 28 ફૂટે પહોંચી છે. નદી ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર વહી રહી છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીની સપાટીમાં વધારો થયો છે. આથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.