સૌરાષ્ટ્રભરમાં પડેલા ભારે વરસાદે વ્યાપક તારાજી સર્જી છે. જે વરસાદ પાસેથી લોકોને જીવનની આશા હોય છે તે વરસાદે લોકોનું જીવન દોહ્યલું બનાવી દીધું છે. ક્યાંક ઘરમાં રહેલું અનાજ પલળી ગયું છે તો ક્યાંક ખેતરમાં ઊભો પાક ધોવાઈ ગયો છે. એક સમયે જ્યાં પાક ઉછરીને જમીન પર લહેરાઈ રહ્યો હતો ત્યાં આજે કાદવ અને કાંપના થર જોવા મળી રહ્યા છે. જોઈએ લાચાર ખેડૂત પારાવાર મુસીબત અને પેલેપાર રહેલા તંત્રનો આ અહેવાલ.
ઉલ્લેખનીય છે કે ઉના તાલુકામાં પડેલા વરસાદને લીધે નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. નદીના પાણી પોતાના વહેણ બદલીને ગામડામાં ઘૂસી ગયા હતા. વીટીવીની ટીમ સતત 6 દિવસ સુધી ઉનાના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
ક્યાંક નદીના પાણીમાં મકાનો વહી ગયા હતા તો ક્યાંક પશુઓ વહી ગયા હતા. ક્યાંક તાજો જ ઉછરેલો પાક લહેરાતો હતો ત્યાં હવે કાંપ અને પાણીથી દટાઈ ગયેલા ખેતરો જોવા મળે છે. પાક વહી ગયો છે.
એટલુ જ નહીં જીવનદાતા વરસાદે આ વખતે લોકોના મોં નો કોળિયો પણ છીનવી લીધો છે. પેટભરવા માટે એકઠું કરેલું અનાજ પણ પાણીમાં વહી ગયું છે. ખેડૂતો બેહાલ બન્યા છે. હજારો હેક્ટર પાક પાણીમાં વહી ગયો છે. હવે માત્ર ખેતરમાં નદીનો કાંપ રહી ગયો છે. ખેડૂતોના આંખોમાં આંસુ અને માથે કરજ સિવાય કશું જ રહ્યું નથી. 5 ટકા વ્યાજથી પૈસા લઇને કપાસ અને મગફળીના પાકનું વાવેતર કરનાર ખેડૂતો અત્યારે કફોડી સ્થિતિમાં મુકાયા છે.
વાત માલણ વિસ્તારની કરીએ તો અહીં મહિલા ખેડૂત લખુબેન પોતાની ત્રણ દીકરીઓો સાથે રહે છે. ગત વર્ષે પડેલા વરસાદમાં નદીના વહેણે તેમના પતિનો ભોગ લીધો હતો. હાલ પરિવારમાં તેમના સાસુ મણીબેન પોતે ત્રણ દીકરીઓ સાથે રહે છે. આ વર્ષે પણ માલણ નદીમાં આવેલા પુરમાં તેમના બે વિઘા જમીનમાં વાવેલો પાક પણ વહી ગયો છે.
આ સાથે સાથે તેમના ઘરમાં નદીના પાણી ઘસવાથી અનાજ પણ વહી ગયુ છે. હાલ તેઓ ભગવાન સહારો જીવન વિતાવી રહ્યા છે. ઘરમાં કમાઉ પતિ ભગવાનને વહાલા થઇ ગયો છે. ઘરમાં અનાજ નથી જીવન કેવી રીતે વિતાતવું તેની ચિંતામાં દિવસ પસાર કરે છે.
તો બીજી તરફ ખેતરમાં લમણે હાથ મુકેને બેઠેલા ખેડૂતો નુકસાનનો હિસાબ પણ માંડી શકતા નથી. માલણ નદીનો પ્રવાહ ખેડૂતોને દેવામાં ડૂબાડતો ગયો. જે ખેતરમાં 3 ફૂટ ઊંચો કપાસ હતો ત્યાં હાલ 3 ફૂટ જેટલા ઊંચો નદીનો કાંપ જોવા મળે છે. નદીના વહેણ પાકની સાથે ફળદ્રુપ જમીનને પણ વહાવી ગઇ.
હવે એક તરફ પાક નિષ્ફળ જતાં બિયારણ ખાતર અને મજૂરીનું કોઇ વળતર ન મળ્યું. ખેડૂત હવે ચિંતિત છે. વ્યાજે પૈસા લીધેલા તેનું ચુકવણૂ કેવી રીતે કરવું તેની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. નદીના વહેણ આજે પણ ખેતરમાંથી વહે છે. નદીનો કાંપ પણ એ સાક્ષી પુરે છે કે ખેડૂતોને કેટલું નુકસાન થયુ છે.