નિસર્ગ વાવાઝોડા બાદથી રાજ્યમાં શરૂ થયેલો ધોધમાર વરસાદ હવે રાજ્યના 125 તાલુકાઓ સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં મેઘ મહેર થઈ છે. મોડી રાત્રે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને મહેસાણામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ મહેસાણામાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદ
સૌથી વધુ મહેસાણામાં 4 ઈંચ વરસાદ નોંધાયા
પંચમહાલમાં 3 ઈંચ, દહેગામમાં 3 ઈંચ વરસાદ
અમદાવાદના શીલજ, ગોતા, સાયન્સ સિટી, ઘુમા, નવા વાડજ, એસ.જી. હાઈઃવે, ચાંદખેડા, રાણી, થલતેજ, વૈષ્ણોદેવી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. જ્યારે પૂર્વ વિસ્તારના ઈસનપુર, મણીનગર, નારોલ જેવા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો.
આ તરફ મહેસાણામાં ભારે વરસાદ બાદ જળબંબાકાળની સ્થિતિ સર્જાઈ હતી. મહેસાણામાં ફક્ત બે કલાકમાં જ 4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તો આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ગઈકાલ સવારથી જ અસહ્ય બફારા વચ્ચે વાદળછાયું વાતાવરણ હતું. જેને લઇને બપોર બાદ અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
જેમાં રાજુલામાં બજારોમાં નદીની જેમ પાણી વહી રહ્યું હતું. રાજુલાના બર્બટાણા ડુંગળ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાડી અને ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. આ તરફ રાજકોટ કાલાવડ હાઈ-વે પર કોઝવે પરથી પાણી ફરી વળ્યાં હતા. પુલનું કામ ચાલુ હોવાથી વરસાદનાકારણે ધોવાણ પણ થઈ ગયું હતું.
ગોંડલમાં ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો. તો રાજકોટના પડધરીમાં બે કલાકમાં જ 2 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. બીજી તરફ રાજુલાની ઘાણો નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ભારે વરસાદના કારણે ઘાણો નદી બે કાંઠે વહી હતી. બીજી તરફ શહેરના મુખ્ય બજારો પણ પાણી પાણી થઈ ગયા હતા.
ખાંભાના ડેડાણ ગામમાં પણ ધોધમાર વરસાદ થયો હતો. મેઘરાજા મનમૂકીને વરસતા ખેતરો અને વાડીઓમાં પાણી ભરાઈ ગયા હતા. ગીર-સોમનાથ પંથકમાં પણ ધોધમાર વરસાદ થયો હતો. ઉનાના વડવિયાડા, જુડવડલી, જરગલી, શાણાવાંકીયા અને ગીરની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા નદીઓમાં નવા નીર આવ્યા હતા. તો રાણીંગપરા સરાકડીયાને જોડતા પુલ પર નદીના પાણી ફરી વળ્યા હતા.