રબારી સમાજે વર્ષોથી ચાલતા કુ-રિવાજો પર આજે બ્રેક મુક્યો છે.. ગરીબ હોય કે અમીર સૌ માટે એક જ નિયમ બનાવ્યો છે જે સમાજને ક્રાંતિ તરફ દોરી જશે.
પાટીદાર બાદ રબારી સમાજની પહેલ
રબારી સમાજમાં પણ આવશે ક્રાંતિ
જૂના રિવાજો બંધ કરવાનો નિર્ણય
દરેક સમાજના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસ માટે સમાજના રિવાજો, સંસ્કૃતિ અને સંસ્કારો મહત્વનો રોલ ભજવે છે.. આ જ કારણ છે કે પાટીદારો બાદ હવે રબારી સમાજે પણ કેટલાક રિવાજો પર સદંતર બ્રેક લગાવી છે.. માલધારી રબારી સમાજની મહાપંચાયત મળી હતી. જેમાં વર્ષો જૂના આર્થિક નુકસાન કરતા અને ખોટો સમય વેડફતા કુરિવાજો બંધ કર્યા છે.. જન્મ થી લઈને લગ્ન અને મરણ સુધીના પ્રસંગોમાં આર્થિક ખર્ચ ઘટાડવા અંગે ચર્ચા વિચારણા થઈ.. અંતે સમાજના હિત માટે અનેક નિર્ણય લીધા જેને માલધારી સમાજ અનુસરે તેવી અપીલ કરવામાં આવી છે..
આર્થિક ખર્ચાઓ પર પણ મુક્યો કાપ
સામાન્ય રીતે રબારી સમાજમાં અનેક કુરિવાજો છે.. જેમાં બર્થ-ડે ઉજવણી, સગાઈ, લગ્ન, અઢળક સોનું આપવું, ચાંલ્લો, શ્રીમંત, રાવણુ,ઝિયાણું પ્રસંગ, દવાખાના બાબતે, રમેલ, બેસણુ જેવા પ્રસંગોમાં લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. વળી સમાજમાં દેખાદેખીના કારણે ગરીબ પરિવારો સંકટમાં મુકાય છે.. વળી આ સમાજમાં લોકો ઓછા શિક્ષિત હોવાથી કામ ધંધો, રોજગારીના પ્રશ્નો પણ રહે છે. જેથી સમાજ શિક્ષિત થાય અને દરેક ક્ષેત્રે આગળ વધે તે અંગે સમાજ વિચારતો થયો છે.
રબારી સમાજ પણ પાટીદારના માર્ગે
રબારી સમાજમાં રીત રિવાજમાં અનેક સુધારા કરાયા છે.. રબારી સમાજ સગાઈ અંગે કેટલાક નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં. સગાઈનો રૂપિયો-ગોળ ખાવાની વિધિ હોટલના બદલે ઘરે રાખવી, સગાઈ વિધિમાં 5 લોકોની જ મર્યાદા, સગાઈમાં દાગીનો આપવો નહીં, કુટુંબીજનોને પહેરામણી ન કરવી, ઘરધણીએ વેવાઈને 2100 રૂપિયાની જ પહેરામણી કરવી, સગાઈમાં મોબાઈલની આપ-લે કરવી નહીં, લગ્ન પાછળ પણ રબારી સમાજ લાખોનો ખર્ચ કરે છે. ત્યારે હવે તેમાં થતા ખર્ચાઓ જેવા કે લગ્નમાં DJ, રાસગરબા, કલાકાર લાવી ખોટો ખર્ચ ન કરવો, કંકોત્રી સાથે કવર, કપડા આપવા નહીં, રિંગ સેરેમ ની કે પ્રિવેશડગ, ફોટો શૂટ જેવા દેખાદેખીના રિવાજો બંધ, પુનઃલગ્નમાં 10 તોલા સોનાના દાગીનાની મર્યાદા, આણામાં ભાઈઓએ મર્યાદિત સંખ્યામાં જ જવું, ચાંલ્લા પ્રથા સદંતર બંધ રાખવામાં આવે
હવે દેખાદેખીમાં નહીં પીસાય ગરીબ
આ ઉપરાંત શ્રીમંત ઘરમેળે સાદાઈથી કરવા, કોઈ દાગીનો ન આપવાનો નિર્ણય લેવાયો છે. તો ઝિયોડાના આણામાં 11 જણાએ ઘરમેળે જવાનો નિર્ણય કર્યો છે. દવાખાને ખબર અંતર લેવા જાય ત્યારે દર્દીના પરિવાર તરફથી જમવાનું બંધ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં રમેલ ને જૂની પરંપરા મુજબ સાદાઈથી કરવામાં આવશે. બેસણુ કોઈપણ વારે કરી શકાશે અને દૈનિક પેપરમાં જાહેરાત આપવાના બદલે સોશિયલ મીડિયા જાહેરાત ચાલશે. બર્થડેની ઉજવણી પણ આપમેળે ઘરે કરવા અને હોટલમાં ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે હવે રબારી સમાજ પણ જૂની રીત રિવાજોમાં સુધારો કરીને સમાજને આગળ વધારવા માટે પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે હવે અન્ય સમાજો પણ પાટીદાર, રબારી અને અન્ય કેટલાક સમાજો જે આ કુરિવાજો પર બ્રેક લગાવી ચૂક્યા છે એ માર્ગે ક્યારે ચાલશે તે જોવું રહ્યું..