લોકસભામાં હાલમાં પ્રસ્તુત કરવામાં આવેલ આંકડા અનુસાર ગુજરાત સહિતના 14 રાજ્યોની નગરપાલિકા સફળતાપૂર્વક લગભગ તમામ ઘરોથી દરરોજ ડોર ટુ ડોર કચરો ઉઠાવી જાય છે.
ગુજરાતમાં દરરોજ 82% કચરો પ્રોસેસ થઇ જાય છે : સરકારનો દાવો
દેશમાં કુલ 1.48 લાખ ટન કચરો દૈનિક પેદા થાય છે
આ અહેવાલ અનુસાર હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટ મંત્રાલયે દાવો કર્યો છે કે ગુજરાતના શહેરો અને નગરોના દરરોજના કુલ કચરાના આશરે તોતિંગ 82% કચરો દરરોજ સફળતા પૂર્વક પ્રોસેસ થઇને રિસાયકલ થઇ જાય છે.
આ પ્રકારનો દાવો કરનાર બીજા 14 રાજ્યોમાં છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. મંત્રાલયના દાવા મુજબ દેશના શહેરી વિસ્તારોના કુલ 84000 નગરપાલિકાઓમાંથી 93% એટલે કે 79000 નગરપાલિકાઓ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દરરોજ ડોર ટુ ડોર તમામ ઘરોમાંથી કચરો ઉઠાવે છે. આ કચરાના ફક્ત 57% કચરો જ પ્રોસેસ થાય છે.
કયા રાજ્યોમાં કેટલો કચરો પ્રોસેસ થાય છે?
મધ્યપ્રદેશમાં દરરોજ 6424 મેટ્રિક ટન કચરો ઉઘરાવવામાં આવે છે જેમાંથી 84% કચરો પ્રોસેસ થઇ જાય છે. ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યોમાં કચરાની સમસ્યા વધુ ગંભીર છે. મહારાષ્ટ્રમાં રોજ 23450 મેટ્રિક ટન કચરો ઉઘરાવવામાં આવે છે જેમાંથી ફક્ત 57% કચરો પ્રોસેસ થાય છે.
ઉત્તરપ્રદેશમાં દરરોજ 1550 મેટ્રિક ટન કચરો ઉઘરાવવામાં આવે છે જેમાંથી ફક્ત 58% કચરો પ્રોસેસ થાય છે. આ ડેટા મુજબ દેશમાં દરરોજ કુલ અધધ 1.48 લાખ ટન કચરો દૈનિક પેદા થાય છે.