વાલીઓને સરકારે ફી મામલે લોલીપોપ આપી છે કારણ કે, લોકડાઉનમાં તો શાળા કોલેજો બંધ રહી અને હજુ 15 ઓગસ્ટ સુધી બંધ રહેશે. પરંતુ નેતાઓની ફેક્ટરી ન બંધ રહે તે માટે ઓનલાઈન શિક્ષણના નામે વિદ્યાની ફેક્ટરીઓ ખુલવામાં આવી છે. હજારો રૂપિયા ફી ભરવા પણ વાલીઓને હુકમ કરાયો છે. તે પણ પુરેપુરી ફી. અહીં સવાલ તો એ થાય છે કે, વાલીઓના વિરોધ અને રજૂઆતો છતાં સરકાર ખાનગી શાળાઓના ખોળે શા માટે બેસી ગઈ છે. તો આ પાછળ મોટું રાજકારણ છે. જાણો કેવું છે આ રાજકારણ...
ફી માફિયાઓને કોનું પીઠબળ ?
ફી વધારો ન કરી ઉપકાર કર્યો છે?
વાલીઓને સરકારની લોલીપોપ
લૉકડાઉનનો માર પડ્યા બાદ માતા-પિતાને આશાઓ હતી કે, સરકાર અને શાળાઓ ફીમાં રાહત આપશે. જેટલા મહિના શિક્ષણ બંધ રહ્યું તેટલા મહિનાની ફી નહીં ઉઘરાવવામાં આવે. પરંતુ જેવું જ લૉકડાઉન ખુલ્યું અને અનલૉકડાઉન શરૂ થયું કે, વાલીઓને હજારો-લાખો રૂપિયા સ્કૂલ ફી ભરવાના મેસેજ અને ફોન શરૂ થઈ ગયા છે. ફી ન ભરવા પર બાળકોને સ્કૂલમાંથી કાઢી મુકવાની ધમકીઓ મળવા લાગી. તેવામાં સરકારે વાલીઓને લોલીપોપ હાથમાં આપી દીધી.
અહીં વાલીઓ ચિંતિત છે. વાલીઓ સરકારના નિર્ણયથી નારાજ છે. સરકાર ખાનગી સ્કૂલોના ખોળે બેસી ગઈ હોય તેવું પણ વાલીઓ કહી રહ્યા છે. પરંતુ આટલી મોટી જાહેરાત થઈ ગઈ. વાલીઓ રસ્તા પર આવી ગયા. સરકારના નિર્ણયને લોલીપોપ ગણાવી રહ્યા છે છતાં નેતાઓ ચૂપ છે. કોઈ નેતા અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી. પરંતુ શા માટે ? તો આ પાછળ ખુબ મોટું રાજકારણ સમાયેલું છે. તે રાજકારણ એ છે કે, મોટા ભાગની ખાનગી સ્કૂલોના કનેક્શન રાજકીય નેતાઓ સાથે સંકડાયેલા છે.
કઇ સ્કૂલ સાથે કયા નેતાનું કનેક્શન?
અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલના સંચાલક ભાજપના નેતા વિવેક પટેલ છે.
અમદાવાદની એ-વન ઝેવિયર્સના સંચાલક ભાજપ નેતા ધવલસિંહ ઝાલા છે.
અમદાવાદની ત્રિપદા સ્કૂલના સંચાલક ભાજપ નેતા અર્ચિત ભટ્ટ છે.
અમદાવાદની હીરામણી સ્કૂલના સંચાલક ભાજપ નેતા નરહરિ અમીન છે.
વાપીની જ્ઞાનધામ સ્કૂલના સંચાલક ભાજપના નેતા કનુ દેસાઈ છે.
વાપીની ઉપાસના સ્કૂલના સંચાલક ભાજપના નેતા દિલીપ દેસાઈ છે.
વાપીની આર.જી.એ.એસ સ્કૂલના સંચાલક કોંગ્રેસના નેતા અજય શાહ છે.
સુરતની સરસ્વતી સ્કૂલ કોંગ્રેસના નેતા દિનેશ કાછડીયાની છે.
પોરબંદરની સિગ્મા પબ્લિક સ્કૂલના સંચાલક ભાજપના નેતા બાબુભાઈ બોખીરિયા છે.
પોરબંદરના અક્ષર વિદ્યામંદિરના સંચાલક ભાજપના નેતા મોહનભાઈ મોઢવાડીયા છે.
પોરબંદરની જે.વી.ગોઢાણીયા સ્કૂલના સંચાલક કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડીયા છે.
જૂનાગઢની સુભાષ એકેડેમી, ભાજપ નેતા અને મંત્રી જવાહર ચાવડાની છે.
જામનગર બી.એમ. ગારડી, Bed કોલેજ અને બી.એચ.કે મૂંગરા સ્કૂલ ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલની છે.
આ તો માત્ર ગણ્યા ગાઢયા જ નામ છે. આવા તો ઢગલાબંધ નેતાઓ છે. જેઓ કોઈને કોઈ રીતે ખાનગી સ્કૂલો સાથે જોડાયેલા છે. તે પછી ભાજપના હોય કે કોંગ્રેસના. તેવામાં વાલીઓ બિચારા જાય તો જાય ક્યાં? અને સ્કૂલ જાય તો હેરાન થાય છે.
અહીં એક વાત તો સ્પષ્ટ છે કે, સરકાર શાળા સંચાલકોને છાવરી રહી છે. તેમની કમાણી માટે ફિજિકલમાંથી ડિજિટલ લાવી પૂરી ફી વસૂલવાનો કારસો ઘડાયો છે. ત્યારે જોવાનું એ રહેશે કે, ગુજરાતના વાલીઓ આ નિર્ણયને આવકારે છે કે, પછી આગામી દિવસોમાં તેનો સાથે મળી બહિષ્કાર કરે છે.