કોરોનાને લઇને વિશ્વને પગલે આપણા રાજ્યમાં પણ કેટલીક વ્યવસ્થાઓ સ્થગિત કરી દેવામાં આવેલી છે. રાજ્યમાં તમામ પ્રકારની આર્થિક ગતિવિધિઓ સાથે શૈક્ષણિક ગતિવિધિ પણ ઠપ થઈ ગઈ છે. જો કે, રાજ્ય માટે એ વાતની શાંતિ રહી કે SSC બોર્ડની પરીક્ષાઓ લેવાઈ ગઈ હતી. ત્યારે હવે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં હાલ 3 મે સુધી લોકડાઉન
તમામ સરકારી-ખાનગી શાળા-કોલેજો બંધ છે
પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
લોકડાઉન સાથે શાળાઓની પરીક્ષા મોકૂફ રાખી શૈક્ષણિક કાર્ય અને શાળાઓ બંધ રાખવાના આદેશના પગલે તમામ સરકારી-ખાનગી શાળા-કોલેજો બંધ છે. ત્યારે પ્રાથમિક શિક્ષણ નિયામકના આદેશ અનુસાર, રાજ્યની પ્રાથમિક શાળાઓનું નવું સત્ર 8 જુનથી શરૂ થશે, જ્યારે 4 મેથી 7 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે. કોરોનાની મહામારીમાં વેકેશન લંબાશે તો તારીખ ફેરફારની ફરી જાણ કરવામાં આવશે.
મહત્વનું છે કે, કોરોના વાયરસનું સંક્રમણ વધતા ગુજરાતમાં 16મી માર્ચથી સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવામાં આવ્યુ હતુ. જેથી નાપાસ કરવાનો નિયમ ચાલુ વર્ષે અમલ ના કરી તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.
ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને હાલની લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માસ પ્રમોશન આપવામાં આવશે. જ્યારે ધો. 9 અને 11ના વિદ્યાર્થીઓને શાળાના આંતરિક મૂલ્યાંકનના આધારે પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.