કોંગ્રેસના નેતાઓએ નરેશ પટેલ સાથે મુલાકાત કરીને દેખાડો કરવાનો પ્રયત્ન કર્યો: હાર્દિક પટેલ
નરેશ પટેલ સામે કોંગ્રેસના વલણને લઈને હાર્દિકે ઉઠાવ્યા સવાલ
ગણતરીની મિનિટમાં જ મુલાકાત કરીને નીકળી જવાનો શું મતલબ?-હાર્દિક
હાર્દિક પટેલના રાજીનામાં બાદ ગુજરાત કોંગ્રેસે ડેમેજ કંટ્રોલની ક્વાયત હાથ ધરી છે. કોંગ્રેસ નેતાઓએ નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. પણ આ મુલાકાત પર હાર્દિક પટેલે સવાલો ઊભા કર્યા હતા. અને કહ્યું હતું કે મોટા સામાજિક આગેવાન સાથે માત્ર 10 મિનિટ ચર્ચાનો મતલબ શું? આમ હાર્દિક અને કોંગ્રેસના વિવાદમાં નરેશ પટેલ વગર જોઈતાના ઘસેટાયા હતા. મહત્વનું છે કે નરેશ પટેલ સાથે ગુજરાત કોંગ્રેસના નેતાની મુલાકાત સાવ ટુંકી હતી. કહેવાતી શુભેચ્છા મુલાકાત હોવા છતાં પણ હજુ સુધી નરેશ પટેલ દ્વારા આ બેઠકને લઈ કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
નરેશ પટેલ સાથે માત્ર 12 મિનિટની ચર્ચા માત્ર દેખાડો: હાર્દિક પટેલ
ગુજરાત કોંગ્રેસમાં માત્ર ને માત્ર જાતિવાદની વાત થાય છે અને ચૂંટણીલક્ષી વ્યૂહરચના પણ જાતિવાદી જ હોય છે. દોઢ મહિના પહેલા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમની જાતિ વિશે વાત કરવામાં આવી હતી. દુ:ખ સાથે કહેવું પડે છે, આજે ઘણા કોંગ્રેસ નેતા નરેશભાઈને મળ્યા, અને 12 મિનિટમાં તો બહાર આવી ગયા, ભાઈ 12 મિનિટમાં શું ચર્ચા કરીને આવ્યા? આ માત્ર દેખાડો હતો. 2022માં કોંગ્રેસ પાટીદાર સમાજને ગુમરાહ કરવાનો પ્રયાસ કરે છે, એક CMનો ચહેરો જાહેર કરવામાં આવશે અને પછી જ્યારે હારશે એટલે કહી દેશે કે જુઓ પાટીદાર ચહેરો આગળ કર્યો એટલે હારી ગયા.
નરેશ પટેલ સાથે માત્ર ચા પાણીનો કાર્યક્રમ હતો: જગદીશ ઠાકોર
ફાર્મહાઉસ બેઠક બાદ જગદીશ ઠાકોરે કહ્યું કે અમે નરેશ પટેલ સાથે મુલાકાત કરી, નરેશ પટેલ સાથે રાજકીય કોઈ ચર્ચા થઈ નથી. સાથે જ જગદીશ ઠાકોરે નરેશ પટેલ મુદ્દે મૌન સેવ્યું હતું. તેમણે કહ્યું કે, નરેશભાઇને કોંગ્રેસમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. અત્યારે તેમની સાથ માત્ર ચા પાણી કરવાનો કાર્યક્રમ હતો.
કોંગ્રેસ હવે ગંગા જેવી પવિત્ર થઈ રહી છે: પરેશ ધાનાણી
તો આ તરફ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અમે નરેશ પટેલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. કોંગ્રેસ હવે ગંગા જેવી પવિત્ર થઈ રહી છે ત્યારે સારા લોકો ફરી પાછા સમાજને શક્તિ આપવા માટે આગળ આવે. સારા લોકોએ કોંગ્રેસમાં જોડાવુ જોઈએ.ધાનાણીને મીડીયા મિત્રોએ સતત નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે કે નહીં તેના પર સવાલો કર્યા હતા તેના ગોળ ગોળ વાત કરી કહ્યું હતું કે ચા નાસ્તો અને મળવા આવ્યા હતા. હાર્દિક પર આડકતરી રીતે નિશાન સાધતાં કહ્યું કે સરદારના વારસ ગદ્દાર ન હોય અને ગદ્દાર હોય એ સરદારના વારસ ન હોય.
અમે જવાના હોત તો પહેલા જ ગયા હોત: લલીત વસોયા
તો બીજી તરફ લલીત વસોયાએ જણાવ્યું કે હાર્દિક કઈ પાર્ટીમાં જોડાય તે પછી કહી શકાય, દરેક વ્યક્તિ પોતાનો નિર્ણય લેવા સક્ષમ છે. પ્રજાએ મારા પર મુકેલા વિશ્વાસને હુ ડુબવા નહી દઉ, હાર્દિક પટેલ એકલો જાય છે એની સાથે કોઈ છે નહીં, જો અમે જવાના હોત તો પહેલા જ જતાં રહ્યા હોત, કોના જવાથી ફાયદો કે નુકસાન થશે તે તો સમય બતાવશે. હું કોંગ્રેસ સાથે છું અને રહેવાનો છું.
શું નરેશ પટેલ V/S હાર્દિક પટેલ વાળી થશે?
નરેશ પટેલ સાથેની બેઠક બાદ બે દિવસમાં તો હાર્દિકના રંગ રૂપ બદલાઈ ગયા હતા. હાર્દિકના રાજીનામાં બાદ જો હાર્દિક ભાજપમાં જાય અને નરેશ પટેલ કોગ્રેસમા જોડાય તો ગુજરાતની રાજનીતિમાં નવા સમિકરણો રચાય શકે તેમ છે. જેમાં આગામી ચુંટણીમાં લઉવા અને કડવા પટેલના મત વેચાઈ શકે છે. કારણ કે હાર્દિક પટેલ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. જ્યારે નરેશ પટેલ લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ કડવા પટેલની વસ્તી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને સુરતમાં લઉવા પટેલની વસ્તી વધારે છે. હાર્દિક ભાજપમાં જોડાય તો ઉત્તર ગુજરાતમાં ભાજપને ફાયદો થઈ શકે. પરંતુ જો નરેશ પટેલ કોગ્રેસમાં જોડાય તો સૌરાષ્ટ્રમાં કોગ્રેસને ફાયદો થાય તેવી શક્યતાઓ રહેલી છે જેની પાછળ કારણ એ છે કે, હાર્દિકનું વર્ચસ્વ ઘટી જવાના અણસાર રહે છે. આમ જો હાર્દિક અને નરેશ પટેલ એકબીજાની વિરુદ્ધમાં જાય તો સ્વાભાવિક રીતે પાટીદાર મતોમાં પણ ભાગલા પડી શકે તેમ છે.