ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને દરેક પક્ષ ચૂંટણીલક્ષી તૈયારીઓમાં લાગી ગયો છે. ત્યારે મંત્રી પદ ગયા બાદ કુંવરજી બાવળિયા એવું કરી રહ્યાં છે કે ભાજપની મુશ્કેલીઓ વધી છે.
પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનો રાજકીય મૂડ ચર્ચામાં
મંત્રી પદ ગયા બાદ સતત તંત્ર અને સરકારને ઘેરી કરી રહ્યાં છે સવાલ
બાવળીયાના સવાલોથી અનેક તર્ક-વિતર્ક
કુંવરજી બાવળિયાએ જુલાઈ 2018માં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપ સરકારમાં જોડાતા તેમને મંત્રી પદ અપાયું હતું. જોકે રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના મંત્રીમંડળે રાજીનામું ધર્યું હતું. ભાજપે નો-રિપિટ થિયર અપનાવતા નવા મંત્રીમંડળમાં એક પણ જૂના કેબિનેટ મંત્રીને પદ અપાયું ન હતું. ત્યારબાદથી જ કેટલાક નેતાઓને મનદુઃખ હોવાનું સામે આવી રહ્યું છે. મંત્રી પદ ગયા બાદ હવે કુંવરજી બાવળિયા એવું કરી રહ્યાં છે કે રાજકીય અટકળો તેજ બની છે.
હાલ પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનો રાજકીય મૂડ ચર્ચામાં આવ્યો છે. મંત્રી પદ ગયા બાદ સતત તંત્ર અને સરકારને ઘેરી સવાલ કરી રહ્યાં છે. બાવળીયાના સવાલોથી અનેક તર્ક-વિતર્ક સર્જાઇ રહ્યા છે. તો બીજી તરફ રાજકીય પંડિતોમાં પણ કુંવરજી બાવળીયાને લઇ ચર્ચાઓ શરૂ થઇ ચૂકી છે. પોતે સરકારનો જ એક હિસ્સો હતા ત્યારે પ્રજાકીય પ્રશ્નો મામલે જાહેરમાં કોઈ પ્રશ્ન ઉઠાવતા ન હતા. પરંતુ મંત્રીપદ ગયા બાદ હવે બેઠકોમાં સરકાર સમક્ષ પ્રશ્નોનો ખડકલો કર્યો છે.
કુંવરજી બાવળીયાએ એક સાથે 40 પ્રશ્નો કર્યા
સંકલન સમિતિની બેઠકમાં બાવળીયાએ 40 પ્રશ્નો કર્યા છે. બેઠકમાં મત વિસ્તારમાં વિકાસ દુર્લભ હોવાનો પ્રશ્ન ઉઠાવ્યો છે. બાવળીયાના નિવેદનોમાં 'કહીં પે નિગાહે, કહીં પે નિશાના' જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. બાવળીયા સરકાર અને તંત્રને પ્રશ્નોનું દબાણ કરી ટિકિટ નક્કી કરાવી રહ્યાંની ચર્ચાઓ થઇ રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બાવળીયાને ટિકિટ કપાવવાનો ડર સતાવી રહ્યો છે.
કોળી સમાજ નારાજ ? બાવળીયા નારાજ ? કે ફતેપરા નારાજ? છેલ્લા કેટલાક દિવસથી શરૂ થયો વિવાદ...
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ કુંવરજી બાવળીયા કોળી સમાજને એકત્ર કરીને સમયાંતરે શક્તિપ્રદર્શન કરતા રહ્યા છે. થોડા દિવસો અગાઉ જ રાજકોટમાં સમસ્ત કોળી સમાજની બેઠક યોજાઇ હતી. આ સમયે ભાજપના નેતા કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે, દરેક પાર્ટી પાસેથી કોળી સમાજને અપેક્ષા છે. સમસ્ત કોળી સમાજ ગુજરાતમાં પ્રભુત્વ ધરાવે છે. OBC સમાજને કઈ રીતે આગળ લાવવા તેના ચિંતન માટે સંમેલન યોજાયું છે. તેમજ તેમણે જણાવ્યુ હતું કે દેવજીભાઇ ફતેપરા થોડા રોષે ભરાયા છે.
કોળી સમાજના આગેવાનોનું સી.આર.પાટીલ સાથે મહામંથન થયું હતું
ગત 5 જાન્યુઆરીના રોજ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં કોળી-ઠાકોર સમાજની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે કોળી અને ઠાકોર સમુદાયના અગ્રણીઓએ વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચાઓ અને મહામંથન કર્યું હતું. આ બેઠકમાં રાજ્ય કક્ષાના મંત્રી દેવામાલમ અને મુકેશ પટેલે પણ હાજરી આપી હતી. જ્યારે સાંસદ ભરતજી ડાભી, રાજેશ ચુડાસમા, પ્રદેશ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર, MLA અજમલજી ઠાકોર, MLA કનુ પટેલ, MLA પરસોત્તમ સાબરિયા, પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
ફતેપરાએ બાવળિયા સામે વ્યક્ત કરી છે નારાજગી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોળી સમાજના બે ફાંટા પડી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કોળી સમાજની મળેલી આ બેઠકમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાને ન બોલાવાતા દેવજી ફતેપરા આ મુદ્દે નારાજગી દર્શાવી છે. આ નારાજગીના કારણે કોળી સમાજમાં બે ફાંટા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. કુંવરજી બાવળિયા સામે રાજકોટના વેલનાથપરા વિસ્તારના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અગ્રણીઓએ વિરોધ કર્યો હતો અને દેવજી ફતેપરાની વાતને સાચી ગણાવી હતી. કુંવરજી બાવળિયા આગેવાનોને વિશ્વાસમાં લીધા વગર કમલમ પહોંચ્યાનો આરોપ લગાવ્યો હતો.
સૌરાષ્ટ્રમાં 2 જાન્યુઆરીએ કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં દેવજી ફતેપરાને બેઠક માટે ન બોલાવાતા દેવજી ફતેપરાએ નારાજગી દર્શાવી હતી. ફતેપરાએ કહ્યું હતું કે મને એકલો પાડી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે બાદ દેવજી ફતેપરા અલગથી ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને અલગથી મળવા જશે તેવું નિવેદન આપ્યું હતું. પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે કોળી સમાજને પ્રભુત્વ મળે તે માટે બેઠક મળી હતી. બેઠક બાદ ભાજપે કોળી સમાજના નેતાઓને બેઠક માટે બોલાવ્યા હતા. ભાજપ સાથેની બેઠકમાં કુંવરજી બાવળિયા અને તેમના જૂથના અગ્રણીઓને જ આમંત્રણ અપાયું હતું જેના કારણે ફતેપરાએ નારાજગી દર્શાવી છે.
ચૂંટણી પહેલા કોળી સમાજમાં બે ફાંટા જેવી સ્થિતિ
પાટીદાર સમાજ બાદ, કોળી સમાજ,ઠાકોર સમાજ. દલિત સમુદાયનાં સામાજિક સંમેલન મળી ચુક્યા છે. રાજકોટમાં કુંવરજી બાવળીયા, દેવજી ફતેપરાએ અગાઉ શિયાળાની કડકડતી ઠંડીમાં 'તાપણું' કરી સમાજમાં અંદર ધધકતી આગને ચૂંટણી સુધી એવી જ રાખવા પ્રયત્ન કર્યો છે. જેને લઈને રાજકોટમાં આવું જ એક વધુ સંમેલન કોળી સમાજનું મળ્યું હતું. મહત્વનું છે કે સરકારની ગતિવિધિઓનો ઈશારો અને સામાજિક સંમેલનોથી રાજ્યની જનતાને 'હવામાન'થોડું એ રીતે 'અકળ'લાગે છે કે 'વરતારો'જુદો હશે. દરેક સમાજના દરેક નેતા અત્યારે જે પક્ષમાં છે તેમાં સામાજિક સંમેલનથી 'એડી-ચોટીનું જોર' લગાવે છે. જો બધું સમુ-સુતરું પાર ઉતરે, તો ઠીક છે, નહિ તો પછી પવન પ્રમાણે પીઠ ફેરવવાની 'સાધ્ય' કલા તો હસ્તગત છે જ.