દિલ્હીનાં મુખ્યમંત્રી અને AAPના નેતા અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત બાદ હવે નેતાઓ વચ્ચે વાકયુદ્ધ છેડાઈ ગયું છે.
કોંગ્રેસનાં ધારાસભ્ય અમરીશ ડેર અને કેજરીવાલ વચ્ચે ટેલિફોનિક વાત મામલો
મને AAPમાં જોડાવવાનું આમંત્રણ નથી મળ્યું : ડેર
કોંગ્રેસ-AAP વચ્ચે વાકયુદ્ધ છેડાયું
ગઇકાલે કેજરીવાલની ગુજરાત મુલાકાત બાદ તેઓએ રાજુલા કોંગ્રેસી ધારાસભ્ય અમરીશ ડેરને ફોન કરીને રેલવેનાં આંદોલન મુદ્દે ચર્ચા કરી હતી. જોકે આ ફોન બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે કેજરીવાલે અમરીશ ડેરને AAPમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું છે. બીજી તરફ અમરીશ ડેરે જણાવ્યું હતું કે મારે આમ આદમી પાર્ટીમાં જોડાવવા અંગે અરવિંદ કેજરીવાલ સાથે વાત થઈ નથી. તેઓએ ઉમેર્યું હતું કે રેલવે આંદોલન મુદ્દે કેજરીવાલે ફોન કર્યો હતો અને તેઓએ કોઈ આમંત્રણ પણ નથી આપ્યું.
તો હું આમંત્રણ આપું છું : ગોપાલ
આ રાજકીય ઘટનાક્રમમાં AAPનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પણ ઝંપલાવ્યું છે. ગોપાલે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલે ડેરને જોડાવવાનું આમંત્રણ ના આપ્યું હોય તો હું ગોપાલ ઇટાલિયા તમને AAPમાં જોડાવવા નિમંત્રણ પાઠવું છું. ગોપાલનાં આ નિવેદન બાદ રાજકારણ ગરમાઈ ગયું હતું.
કોંગ્રેસે કર્યો પલટવાર
અમરીશ ડેરે aapમાં જોડાવવાની ઓફર ફગાવ્યાં બાદ કોંગ્રેસ આક્રમક બની હતી. કોંગ્રેસનાં પ્રવક્તા જયરાજસિંહ પરમારે આ મુદ્દે ગોપાલ ઇટાલિયાની બરાબરની ઝાટકણી કાઢી હતી. બીજી તરફ ગઇકાલે ટ્વિટર પર કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયા અને ગોપાલ ઇટાલિયા સામસામે આવી ગયા હતા.