કોંગ્રેસની સ્ટ્રેટજી નક્કી,એલાન બાકી!, વિધાનસભા ની ચૂંટણી માં નરેશ પટેલ માટે બેઠક પણ નક્કીના સંકેત
નરેશ પટેલ કોંગ્રેસના 'હાથ'માં!
ચૂંટણીમાં કોંગ્રેસને શું ફાયદો થશે?
હવે ભાજપ માટે પડકારો ક્યા રહેશે?
ગુજરાતમાં કોંગ્રેસ પ્રશાંત કિશોર અને નરેશ પટેલની જોડી સાથે ઉતરવાની તૈયારીમાં છે. નરેશ પટેલ પ્રશાંત કિશોરની પસંદ છે અને ગુજરાતની ચૂંટણી માટે પ્રશાંત કિશોરનો આગ્રહ હતો કે ગુજરાતમાં જનતા સમક્ષ એક ભરોસાપાત્ર ચહેરો રજૂ કરવો જરૂરી છે. જેથી કોંગ્રેસ ઘણા સમયથી આ ચહેરાની શોધમાં હતી જે હવે નરેશ પટેલના રૂપમાં મળી ગયો છે. બસ જાહેરાત બાકી છે. ચૂંટણીના રણમેદાનમાં સારથિ તરીકે પ્રશાંત કિશોર, અને કોંગ્રેસના સેનાપતિ તરીકે નરેશ પટેલ..તેમજ સૈનિકોમાં કોંગ્રેસના દિગ્ગજ લડાયક મોટા ચહેરા જગદીશ ઠાકોરની આ ત્રિપુટીમાં ગુજરાત કોંગ્રેસ 2022નું યુદ્ધ સર કરશે તેવા સંકેત મળી રહ્યા છે.
'ઓપરેશન નરેશ પટેલ' કેવી રીતે પાર પાડ્યું
કોંગ્રેસે આ કઠીન ઓપરેશન પુરુ પાડવા અશોક ગેહલોતને જવાબદારી સોંપવામાં આવી છે. રાજસ્થાનમાં અશોક ગેહલોત, પ્રશાંત કિશોર અને નરેશ પટેલ વચ્ચે બેઠક મળી હતી. જેમાં ત્રણેય વચ્ચે રણનીતિથી લઈ ચૂંટણીમાં કઈ બેઠક પર લડવું તેના પર ચર્ચાઑ થઈ હતી. અશોક ગહેલોત અને પ્રશાંત કિશોર આ માટે રાહુલ ગાંધીને પણ મનાવી લીધા છે. જેમાં પ્રશાંત કિશોરે પ્રશ્ચિમ બંગાળમાં મમતાનો ચહેરો અને પંજાબમાં ભગવત માન ચહેરા પર મતો મળ્યા હોવાની રાજકીય ગણિતની માહિતી રાહુલ ગાંધીને આપી હતી. જે બાદ ગુજરાતમાં ચહેરાને પ્રમોટ કરવા માટે હાલ પુરતી તો રાહુલ ગાંધીએ હા પાડી દીધી છે. જે બાદ સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસ ચૂંટણી જાહેર થયા પહેલાં જ ચહેરો લઈને જંગમાં ઊતરશે જેમાં પ્રશાંત કિશોર મુખ્યમંત્રી તરીકે નરેશ પટેલને ઉતારશે. જ્ઞાતિય સમીકરણ બેલેન્સ કરવા ઓબીસી કે આદિવાસી ચહેરાને નરેશ પટેલના સાથીદાર તરીકે રજૂ કરશે, 15 એપ્રિલ આસપાસ નરેશ પટેલ આ નિર્ણય જાહેર કરી શકે છે.
નરેશ પટેલના કોંગ્રેસ પ્રવેશની અસર શું ?
નરેશ પટેલ રાજકારણમાં આવે તો કોંગ્રેસને ફાયદો થાય તેના કારણોની જો ચર્ચા કરીએ તો નરેશ પટેલ લેઉવા પાટીદાર સમાજનો સૌથી મોટો ચહેરો તો બીજી તરફ સૌરાષ્ટ્ર, સુરત અને મધ્ય ગુજરાતમાં લેઉવા પાટીદારની મોટી વસ્તી છે જેથી નરેશ પટેલ જે પાર્ટીમાં જાય તે પાર્ટીને લેઉવા પાટીદાર મતનો ફાયદો થઈ શકે છે. જો કે ચૂંટણી સમયે સ્થાનિક નેતાઑને પણ મતદારો વધુ મહત્વ આપતા હોય છે પણ દિગ્ગજ ચહેરાની બેઠક પર છાપ પડે તે વાત નકારી શકાય તેમ નથી.
સૌરાષ્ટ્રમાં પાટીદાર મતોનો દબદબો
સૌરાષ્ટ્રની 25 સીટ પર પાટીદારોનું પ્રભુત્વ છે જેથી સીધું ગણિત લગાવી શકાય કે નરેશ પટેલનો સૌરાષ્ટ્રની 25 સીટ પર પ્રભાવ પડે તેમ છે જે કોંગ્રેસને ચૂંટણીમાં લોટરી લગાવી શકે છે આમ તો પાટીદાર સમાજ વધુના વધુ વોટ એક તરફી રીતે ભાજપમાં પડતાં હોય છે. પણ આ દાવ ખેલી કોંગ્રેસ તેમાં સેધ લગાવી 27 વર્ષ બાદ સત્તામાં વાપસી કરવા મજબૂતાઈથી ઉતરી શકે છે.
સુરતની 10 સીટ પર પાટીદાર મતોનો દાયરો
દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતની 10 સીટ પર સૌરાષ્ટ્રના પાટીદારોનું પ્રભુત્વ છે જેમાં પણ નરેશ પટેલના ચહેરો છવાઈ શકે તેમ છે. મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્રના લેઉવા પાટીદારનો ઝુંકાવ મહદઅંશે કોંગ્રેસ તરફી રહ્યો છે.
નરેશ પટેલ આવે તો કોંગ્રેસ તરફી મત પડી શકે
1995માં સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજ કોંગ્રેસ ભાજપમાં વહેચાય ગયો હતો પણ હવે નરેશ પટેલ આવે તો ફરી એક વાર લેઉવા પટીદાર કોંગ્રેસ તરફ વળી શકે છે. નરેશ પટેલના આગમનથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની 15 સીટ પર અસર પડે છે કારણ કે અમદાવાદમાં પણ લેઉવા પાટીદારની વસ્તી મોટા પ્રમાણમાં છે
આ ત્રણ બેઠકો પરથી ચૂંટણી લડી શકે
નરેશ પટેલનો કોંગ્રેસ પ્રવેશની ઘડીઓ ગણાઈ રહી છે બસ અધકારીક મહોર બાકી છે ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં નરેશ પટેલ માટે બેઠક પણ નક્કીના હોવાના સંકેત મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર પર પ્રભુત્વ ધરાવતી પાટીદાર બેઠકો જેવી કે જેતપુર, ધોરાજી અને ગોંડલ આ ત્રણ બેઠકો પર નરેશ પટેલ ઉમેદવાર હોઈ શકે છે. કેટલાક કોંગ્રેસના આગેવાનો આ બેઠક ખાલી કરી દેવા પણ તૈયાર થઈ ગયા છે.
નરેશ પટેલ કોણ છે?
2008-09માં લેઉઆ પાટીદારોના કુળદેવીનું કાગવડ ખાતે મંદિર બનાવવાના માધ્યમથી નરેશ પટેલ ચર્ચામાં આવ્યા
ખોડલધામ એ લેઉઆ પાટીદાર સમાજની આસ્થા જ નહીં,પરંતુ સામાજિક શક્તિનું પણ કેન્દ્ર
નરેશ પટેલ ખોડલધામના સ્થાપક ટ્રસ્ટી છે
નરેશ પટેલ આ સાથે કેટલીક સામાજિક અને ધાર્મિક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે
2018માં હાર્દિક પટેલે આમરણાંત અનશન કર્યાં, ત્યારે નરેશ પટેલે તેમને પારણાં કરાવ્યાં હતાં
નરેશ પટેલનો જન્મ અને ઉછેર રાજકોટમાં જ થયો છે
નરેશ પટેલે રાજકોટની રાજકુમાર કૉલેજમાં અભ્યાસ કર્યો છે
નરેશ પટેલ પિતા દ્વારા સ્થાપિત બ્રાસપાર્ટ તથા બૉલબેરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે
નરેશ પટેલની કંપની વિદેશમાં પણ નિકાસ કરે છે
નરેશ પટેલ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની નજીકના છે