કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત પોલીસને જે વાન ભેટ કરવામાં આવી છે તેની મદદથી હવે ગુનો બન્યા બાદ વૈજ્ઞાનિક તપાસના રિપોર્ટ માટે રાહ નહીં જોવી પડે
ગુજરાત પોલીસ વધુ આધુનિક બનશે
સ્થળ પર જ ગુનાહીત ઘટનાનો મળશે રિપોર્ટ
ગુના સ્થળ પર જ મળશે વૈજ્ઞાનિક તપાસનો રિપોર્ટ
ગુજરાતમાં અને દેશમાં રોજ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે. અને રોજ પોલીસ તેની તપાસમાં ન્યાય માટે પ્રયાસો કરે છે. તેમાં પણ અત્યાર સુધી જો કોઈ જગ્યા પર લૂંટ, હત્યા કે દૂષ્કર્મ જેવી ઘટના બની હોય તો પોલીસ તપાસ માટે ઘટના સ્થળેથી નમૂના લઈને FSLમાં વૈજ્ઞાનિક તપાસ માટે મોકલતી હતી. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત પોલીસને જે વાન ભેટ કરવામાં આવી છે તેની મદદથી હવે ગુનો બન્યા બાદ વૈજ્ઞાનિક તપાસના રિપોર્ટ માટે રાહ નહીં જોવી પડે. ગુનાના સ્થળે જ વૈજ્ઞાનિક તપાસનો પ્રાથમિક રિપોર્ટ મળી જશે.
ગુજરાત પોલીસ અને અન્ય રાજ્યોની પોલીસને જે આધુનિક વાન ભેટમાં મળી છે તેની ખાસિયત અંગે વાત કરવામાં આવે તો, આ વાન દ્વારા ગુનાના સ્થળ પર જ વૈજ્ઞાનિક તપાસનો પ્રાથમિક રીપોર્ટ મળશે. આ વાનની અંદર તમામ પ્રકારના ગુનાની પ્રાથમિક તપાસ માટે કીટ તૈયાર કરાયેલી છે. જેથી લૂંટ, મર્ડર, બળાત્કાર, ડ્રગ્સ, આગ સહિતની ઘટનાઓમાં સ્થળ પર જ પ્રાથમિક તપાસ કરી રિપોર્ટ મળશે. એટલે કે, હવે કોઈપણ ગુનો થયા બાદ તેના રિપોર્ટ માટે લાંબા સમય સુધી રાહ નહીં જોવી પડે. દેશના અલગ- અલગ રાજ્યોમાં આવી ખાસ 55 વાન મોકલાઈ છે. જેમાં ગુજરાત પોલીસને 11 વાનની ફાળવણી કરાઈ છે.