રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યની પોલીસને ગુના નિવારણ માટે અનોખો પ્રયોગ સુચવ્યો છે. લાજપોર જેલના કેદીઓની સ્થિતિનો વીડિયો વાયરલ કરાયો છે.
રાજ્યમાં ગુનાખોરી ઓછી કરવા ગૃહમંત્રીનો નવો પ્રયાસ
ગુના નિવારણ માટે પોલીસને સુચવ્યો અનોખો પ્રયોગ
જેલમાં બંધ કેદીઓની આપવિતીનો વીડિયો જાહેર કરાશે
ગુજરાતમાં એક તરફ ચોરી, હત્યા, બળાત્કાર, લૂંટ, વ્યાજખોરી, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર જેવા ક્રાઇમમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે રાજ્યમાં ગુનાખોરીને ઓછી કરવા માગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવો પ્રયાસ સુચવ્યો છે. જેલમાં બંધ કેદીઓની આપવિતીનો વીડિયો જાહેર કરવામાં આવશે. કેદીઓના પરિવારજનોની સ્થિતિ પણ વીડિયોથી બતાવવામાં આવશે. લોકો ગુના તરફ ન વળે તે માટે અપીલ કરવામાં આવી છે. લાજપોર જેલના કેદીઓની સ્થિતિનો વીડિયો વાયરલ કરાયો છે.
5 મિનિટના ગુસ્સામાં જિંદગી બરબાદ થઇ ગઇઃ કેદી
હાલ પાંચ અલગ અલગ ગુનાના ગુનેગારોનો વીડિયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો છે. આ ગુનેગારો હાલ પોતે કરેલા ગુનાનો પસ્તાવો કરી રહ્યા હોય તેવું જણાવી રહ્યા છે. પારિવારિક, સામાજિક, આર્થિક અને શારીરિક રીતે દુઃખી હોવાનું જણાવી રહ્યા છે. કહી રહ્યા છે કે, ઘર-પરિવારનું ખુબ નુકસાન થયું છે, જેલમાં બહુ ખરાબ સ્થિતિ છે, 1-2 વર્ષે પરિવાર સાથે મુલાકાત થાય છે. મારી સજા મારા ઘરવાળા કાપી રહ્યા છે. 5 મિનિટના ગુસ્સામાં મોટો ગુનો ન કરી બેસો જેનાથી તમને અને તમારા પરિવારને ભોગવવું પડે.
બળાત્કાર માટે મોબાઇલ પર ઉપલબ્ધ અશ્લીલ વીડિયો પણ જવાબદારઃ હર્ષ સંઘવી
અત્રે ઉલ્લેખનીય છે કે, 2 દિવસ અગાઉ સુરતના એક કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, બળાત્કાર માટે મોબાઇલ પર ઉપલબ્ધ અશ્લીલ વીડિયો પણ જવાબદાર છે. દુષ્કર્મ માટે માત્ર પોલીસને જ દોષ ન આપવો જોઈએ.
ગૃહમંત્રીએ કહ્યું હતું કે, મોબાઇલ ફોન પર અશ્લીલ વીડિયો સરળતાથી પહોંચે છે અને સમાજની વિકૃત માનસિકા બળાત્કાર માટે જવાબદાર કારણોમાંથી એક છે. આપણે હંમેશા બળાત્કારની ઘટનાઓ માટે પોલીસને દોષી ન ગણાવી શકીએ. આવી ઘટનાઓ સમાજ માટે કલંક છે. આપણે આવી ઘટનાઓ માટે માત્ર પોલીસને દોષ ન આપી શકીએ. ગુજરાત આપણા દેશમાં સૌથી સુરક્ષિત છે. પરંતુ કેટલું પણ સુરક્ષિત કેમ ન હોય, જો આપણે શહેર કે રાજ્યમાં એક અથવા બે એવી ઘટનાઓ બને છે તો એવું ન થવું જોઈએ.
ઘટનાઓમાં મોબાઇલ, પડોશી, સંબંધીઓ જવાબદાર: હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ કહ્યું કે, એક સર્વેક્ષણમાં સામે આવ્યું કે, મોબાઇલ ફોન, પાડોશી અને સંબંધીઓ બળાત્કારની ઘટનાઓમાં મુખ્ય કારણ હતા. એક પિતા જ્યારે પોતાની નાની દીકરી સાખે બળાત્કાર કરે છે, તે શું આ એક મોટો સામાજિક મુદ્દો નથી? જો કોઈ પિતા પોતાની દીકરી સાથે બળાત્કાર કરે છે તો તેનું કારણ તેનો મોબાઇલ ફોન છે.
માતા-પિતાએ શું સાવધાની જરૂરી?
મોબાઇલ,ટેબલેટ કે કોમ્પ્યુટર સંતાનોને આપવું એ જરૂરી છે
અત્યારની શિક્ષણપ્રથાને કારણે આધુનિક ઉપકરણોથી વંચિત નહીઁ રાખી શકાય
ટેકનોક્રેટ બનાવવાની સાથે સંતાનોને તેના ઉપયોગ વિશેની સમજ આપો
સંતાનોને આપેલા સાધનો તેના માટે હાનિકારક ન બને તેનું ધ્યાન રાખો
તેનો સંયમિત અને યોગ્ય દિશાનો ઉપયોગ તેને આગળ વધારશે
તેનો દુરુપયોગ સંતાનોની દિશા ભટકાવશે
માતા-પિતા તરીકે સંતાનોનો વિશ્વાસ કેળવો
સંતાનોના મોબાઇલ અને લેપટોપને ક્યારેક ચકાસો
તેનો ઉપયોગ તે કંઇ રીતે કરે છે તે જાણો
જીવનને બરબાદ કરતી કોઇ ગેમ,સોશિયલ પ્લેટફોર્મમાં તો સક્રિય નથીને તે ચકાસો
નોકરી કે વ્યવસાય પછી સંતાનો સાથે યોગ્ય સમય વિતાવો
સંતાનોને સમય આપશો,તો તેની આદતોને જાણી શકશો
સંતાનોનો વિશ્વાસ મેળવશો તો તો તેમની વ્યથાને સમજી શકશો