બટાટા માત્ર ગરીબોના ઘરમાં જ જોવા નથી મળતાં પરંતુ આજકાલ તેણે કોર્ટમાં પણ હાજરી નોંધાવી છે. પેપ્સિકો કંપનીએ બટાટાના ખેડૂતો પર ઇન્ટેલેક્ચ્યૂઅલ રાઈટના ભંગ બદલ જે કેસ કર્યો હતો તેમાં હવે કંપનીએ પીછેહઠ કરી છે.
બટાટા માત્ર ગરીબોના ઘરમાં જ જોવા નથી મળતાં પરંતુ આજકાલ તેણે કોર્ટમાં પણ હાજરી નોંધાવી છે. પેપ્સિકો કંપનીએ બટાટાના ખેડૂતો પર ઇન્ટેલેક્ચ્યૂઅલ રાઈટના ભંગ બદલ જે કેસ કર્યો હતો તેમાં હવે કંપનીએ પીછેહઠ કરી છે. આશ્ચર્યજનક વાત એ છે કે, અત્યાર સુધી કંપનીને કેસ પાછો ખેંચી લેવા દબાણ કરતા ખેડૂતો હવે માત્ર કેસ ખેંચવાથી જ સંતોષ માનવાના મૂડમાં નથી. અહીં આપણે બટાટાના આખા વિવાદ અને કોન્ટ્રાક્ટ ફાર્મિગના નિયમો વિશે જાણીશું.
બનાસકાંઠાનું ડીસા જેને બટાકા નગરી તરીકે ઓળખવામાં આવે છે. બનાસકાંઠા સૌથી વધુ બટાકાનું ઉત્પાદન કરતો જિલ્લો છે. બનાસકાંઠામાં જુદી-જુદી 150થી વધુ જાતના બટાકાનું વાવેતર થાય છે. જેમાં મુખ્યત્વે પોખરાજ, કુફરી, બાદશાહ એલ.આર, મનાલી જેવી જાતોનું બનાસકાંઠામાં વધુ વાવેતર થાય છે. બટાટાના ખેડૂતોને હંમેશા અપૂરતા ભાવનો પ્રશ્ન સતાવતો હતો. પરંતું જ્યારથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને અરવલ્લીના વિસ્તારમાં બટાટાના પાકમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગની પ્રથા વિકસી છે ત્યારથી ખેડૂતોને નુકસાન જવાનું જોખમ ઘણું ઘટી ગયું છે.
વિવિધ પ્રકારની આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કંપનીઓ દ્વારા બટાટાના ખેડૂતો સાથે બટાટાના વાવેતર અને ઉત્પાદન માટે કરાર કરવામાં આવે છે. તેવી જ રીતે પેપ્સિકો કંપનીએ પણ બનાસકાંઠા અને અરવલ્લીના ખેડૂતો સાથે કરાર કરેલા છે. કરાર આધારિત ખેતીથી આ વિસ્તારમાં કોન્ટ્રાક્ટ ફાર્મિગ ઘણો ફૂલ્યો ફાલ્યો છે. બટાટાના ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ મજબૂત બની છે. હાલ ડીસામાં બટાટાની લગભગ 150 જટેલી જાતોનું વાવેતર થઈ રહ્યું છે.
શું છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ
કોન્ટ્રાક્ટ ફાર્મિંગના આ કરાર મુજબ 40 MM અને તેનાથી વધારે સાઇઝના બટાટા જ કંપની ખેડૂતો પાસેથી ખરીદે છે. બાકીના બટાટા ખરીદી કરવામાં આવતી નથી. આ બટાટામાંથી ખેડૂતો થોડા બટાટા આવતા વર્ષ માટે બિયારણ રૂપે રાખે છે અને બાકી બટાટા ખુલ્લા બજારમાં વેચી દે છે. પોતાનું વિકસાવેલું બિયારણ કોઈપણ રીતે ખુલ્લા માર્કેટમાં ન જવું જોઈએ તેવું કંપનીનું માનવું હતું. પરંતુ ન ખરીદવામાં આવેલા માલની નુકસાની ભોગવતા ખેડૂતોને ખુલ્લા બજારમાં આ બટાટા વેચવા સિવાય છૂટકો ન હતો. પરંતું પેપ્સિકો કંપનીને આ વાત સામે જ વાંધો હતો અને તેણે બનાસકાંઠા જિલ્લાના ચાર ખેડૂતો સામે બૌદ્ધિક સંપદાના અધિકારનો ભંગનો કેસ કરી દીધો હતો. જેને ખેડૂતોએ ખોટી પજવણી ગણાવી છે.
ખેડૂતોમાં ઉગ્ર રોષ
બટાટાના ખેડૂતો પર પેપ્સિકો કંપનીએ કરેલા કેસ બાદ ખેડૂતોમાં રોષ ઊભો થયો હતો. ખેડૂતોએ પોતાનો આ રોષ સોશિયલ મીડિયા પર ઠાલવ્યો હતો. આ મુદ્દાએ રાષ્ટ્રવાદનું રૂપ ધારણ કર્યું હતું. ખેડૂતોએ આ વિવાદને ખેડૂત વિરુદ્ધ વિદેશી કંપની તરીકે રજૂ કર્યો હતો. ખેડૂતોએ પેપ્સિકો કંપનીની પ્રોડક્ટનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ખેડૂતોની આ લડાઈમાં કેટલીક ખેડૂતો સંસ્થાઓ પણ કૂદી પડી હતી. આ મામલો સરકાર સુધી પહોંચ્યો તો સરકારે પણ ખેડૂતોના પક્ષમાં રહેવાના સંકેત આપી દીધા હતા. આખરે પેપ્સિકો કંપનીને મામલો પારખીને સંભવિત નુકસાનથી બચવા પીઠેહઠ કરવાનું પસંદ કર્યું હતું. પેપ્સિકો કંપનીએ છેવટે ખેડૂતો સામેના કેસ પરત ખેંચી લીધા છે. પરંતુ નવાઈની વાત એ છે કે, કેસ પરત ખેંચાયા બાદ પણ ખેડૂતો આ લડાઇ ચાલુ રાખવા માગે છે.