છોટા ઉદેપુર જિલ્લાનાં કેટલાંક એવાં ગામો કે જે ગામોમાં આજે પણ ટેન્કરો દ્રારા પાણી આપવામાં આવે છે. અહીં પીવાનાં પાણી માટેની બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. આ વિસ્તારોમાં બોર કે કુવા નથી વર્ષો પહેલાનાં એકાદ બે બોર છે તેમાં પાણી પીવાલાયક પાણી નથી. આ વિસ્તારનાં લોકોને પીવાનાં પાણી માટે ટેન્કરનાં સહારે જ રહેવું પડે છે. માલુ વડગામ વસાહતમાં પીવા માટે દિવસમાં એક ટેન્કર પાણી આવે છે. તો માલુ વડગામ આખો દિવસ મહિલાઓ ટેન્કરની રાહ જોઈ પણ ટેન્કરથી નિરાશ થઇને ગામની મહિલાઓ પાણી વિના પોતાના ઘરે પરત ફરી.
સંખેડા તાલુકાનું માલુ વડગામ વસાહત, માલુ ગધેડ વસાહત જેવાં કેટલાંક વિસ્તારો છે કે જે વિસ્તારોમાં પીવાનું પાણી ટેન્કરો દ્રારા જ આપવામાં આવે છે. માલુ વડગામ ગામની 700 જેટલી વસ્તી છે અને એક બોર છે તે પણ બગડી ગયેલ છે અને એક ટ્યુબવેલ છે કે જેનું પાણી પીવામાં આવે તો બીમાર પડી જવાય છે. માલુ ગધેડ વસાહતમાં પણ 500થી વધારે વસ્તી છે. એક વસાહતમાં પાણી આવ્યું જ્યારે બીજી વસાહતમાં પાણી ના આવ્યું.
આ વિસ્તારમાં ટેન્કર આવવાની જાણકારી મળતાં જ લોકો દોડી આવ્યાં અને મહિલા સહિત કેટલાંક પુરુષો પણ કતારોમાં ઊભા થઈ ગયાં. આ વિસ્તારનાં લોકો માટે પીવાનાં પાણીની સમસ્યાનો આ હલ નથી. ગામનાં લોકોનું કહેવું છે કે ગામની મહિલાઓ બીજું કઈ પણ કામ કરી શકતી નથી. મજૂરી કરતાં લોકોને પણ પાણીની ટેન્કર આવવાની રાહ દેખવી પડે છે. માલુ ગધેડ વસાહતમાં એક પણ બોર નથી કે નથી તળાવ.
ગામમાં રોજ સવારથી કામકાજ છોડીને ટેન્કર આવશે તેવી આશા સાથે મહિલાઓ કતારોમાં લાગી જાય છે. આવી જ કતારો જોવાં મળી વડગામ પાસે. ગામની મહિલાઓ જણાવ્યું કે સવારથી અમે ટેન્કરની રાહ દેખી રહ્યાં છે તેમજ બપોર પણ થઈ ગઈ છે છતાં પાણીનું ટેન્કર આવ્યું નથી. બપોર સુધીની રાહ દેખ્યાં બાદ છેલ્લે મહિલાઓ પોતાને ઘરે જતી રહી હતી. હવે ક્યારે ટેન્કર આવશે તે પણ ચોક્કસ નથી પરંતુ આ રોજની સમસ્યા ગામની છે તેવું મહિલાઓએ જણાવ્યું હતું.
ગામમાં ટેન્કરો અનિયમિત આવે છે કેટલીક વખત તો બે ત્રણ દિવસ સુધી પણ ટેન્કર ન આવતાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં છે. આમ તો આપણાં ગુજરાતની સભ્યતા એ છે કે મહેમાન ઘરે આવે તો તેને પહેલાં પાણી આપવામાં આવે છે પણ આ ગામનાં સ્થિતી એ છે કે ગામ લોકો આવેલા મહેમાન માટે પાણીનાં આપતા ક્ષોભ અનુભવી રહ્યાં છે. માલુ વડગામ વસાહતમાં પાણી એટલું તો ખરાબ છે કે ચા બનવા માટે જો પાણીનો ઉપયોગ કરવામાં આવે તો ચા પણ ફાટી જાય છે. ઘરે કોઈ મહેમાન આવે તો તેનાં માટે ઠંડા પીણાનો સહારો લેવો પડે છે.
આ વિસ્તારમાં પીવાનાં પાણીની સમસ્યા આજની નથી પણ વર્ષોથી આ વિસ્તારનાં પીવાનાં પાણી માટે મુશ્કેલી વેઠી રહ્યાં છે. ગામથી ત્રણ કિમી નજીકથી જ નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે પણ તંત્ર છે કે આ લોકોની સમસ્યાનાં નિરાકરણ માટે કોઈ વ્યવસ્થા કરી આપતી નથી. માત્ર આશ્વાસન મળે છે. ગતિશીલ ગુજરાત અને ટેન્કર મુક્ત ગુજરાતનાં દવા કરનાર સરકાર પીવાનું પાણી પૂરું પાડવામાં પણ નિષ્ફળ રહી છે.