તમે આજ સુધી પાણી મેળવવા માટે લોકોને લડત ચલાવતા જોયાં હશે. પરંતુ ખેડા જિલ્લાનાં એક ગામનાં લોકોએ પાણીથી છૂટકારો મેળવવા માટે પોતાની માગણી બુલંદ કરી છે. કેમ કે, આ ગામ સાથે તંત્ર જાણે મજાક કરી રહ્યું હોય તેમ શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવાની વાત તો દૂર, પરંતુ જે ગંદુ પાણી લોકોનાં સ્વાસ્થ્યને નુકસાન કરી રહ્યું છે તેને અટકાવવા માટે કોઈ ઠોસ પગલાં લઈ શક્યું નથી. ત્યારે ગામલોકોને કેવી વેઠવી પડે છે કાળાપાણીની સજા.
પાણી ભરવાનાં વાસણો હાથમાં લઈને ઉભેલા આ ગામલોકોની વેદના સાંભળીને તમે આખા મામલાને પામી ગયા હશો. આને ગામલોકની કમનસીબી કહો કે સ્વચ્છતા અને આરોગ્યની દુહાઈ દેતા તંત્રની નીંભરતા કહો આજે ગામ લોકોનાં પાણી ભરવાનાં વાસણો પર જ નહીં પરંતુ છેક મંદિરનાં ઘુમ્મટ પર રહેલાં કળશસુધી પ્રદૂષણની કાળાશ વ્યાપી ગઈ છે.
એક સમયે જે વાસણમાં ગામલોકો મીઠડું જીવનજળ ભરી લાવતા હતાં તે વાસણો પણ હવે પ્રદૂષણથી તંગ આવી ગયાં છે. વાસણો પણ જામેલી આ કાળાશ જોઈને એ વિચાર કરશો કે એ પ્રદૂષિત પાણીએ ગામનાં જીવતા જાગતા લોકોની કેવી હાલત કરી હશે તો તમે હચમચી ઉઠશો.
ખેડા જિલ્લાનાં આ ગામનું નામ તો છે લાલી પરંતુ તંત્રની ઘોર ઉપેક્ષાનાં કારણે અહીંનાં ગામ લોકોની સ્વાસ્થ્યની લાલી એવા જોખમમાં મુકાઈ ગઈ છે કે લોકોનું જીવતર ઝેર બની ગયું છે. ખેડા જીલ્લાનાં લાલી ગામમાં સાબરમતી નદીનુ પાણી આવી રહયું છે પરંતુ આ પાણી લોકો માટે ઝેર રૂપ બની ગયું છે કેમકે, પાણી જીવનનું વહેણ બનવાને બદલે કેમીકલનું વાહક બની ગયું છે. આ કેમિકલયુક્ત ઝેરી પાણીનાં કારણે ગામ લોકો દુર્ગંધ અને ગંભીર બીમારીનો ભોગ બની રહ્યાં છે.
આ ઝેરી પાણીએ નથી તો લોકોને છોડ્યાં નથી તો લોકોના વાસણોને છોડ્યાં કે નથી. મંદિરનાં શીખરો પર બિરાજતા કળશને છોડ્યાં. પ્રદૂષણ મંદિરનાં શિખરો પરથી તંત્રને જગાડી રહ્યું છે પરંતુ તંત્રની ઊંધ ઉડતી નથી. ત્યારે લોકસભાની ચૂંટણી અને વિકાસની ગુલબાંગો વચ્ચે લાલી ગામના લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે અનેક રજૂઆત બાદ પણ ગામની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી નેતાઓ માત્ર આશ્વાસન આપીને જતા રહે છે..
ગામમાં કેમિકલયુક્ત પાણી અને દુર્ગધથી લોકોનાં સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ રહી છે.. ગામલોકો નદીનું પાણી બંધ કરાવવાની માંગ કરી રહ્યાં છે. કારણ કે ચામડીનાં રોગોથી તેમની સ્થિતિ પણ દયાજનક છે. તેઓનો એક જ સૂર છે કે પ્રદૂષિત પાણીનું આ વહેણ બંધ કરવામાં આવે.