પાટણની HNGU યુનિવર્સીટીમાં નાપાસ વિદ્યાર્થીને પાસ કરવાના કૌભાંડના પ્રત્યાઘાત પડ્યા છે. તેવામાં વઘુ એક ઉત્તરવહી કૌંભાડ સામે આવતા ખળભળાટ મચ્યો છે. MBBSમાં પહેલા વર્ષની રિએસેસમેન્ટની સીટ સામે આવી છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.માં વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરવાનો મામલો
MBBSમાં પહેલા વર્ષની રિએસેસમેન્ટની સીટ સામે આવી
લાગવગીયા વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલીને પાસ કરાયા
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરાવાનો મામલો સામે આવ્યો છે. MBBSમાં પહેલા વર્ષની રિએસેસમેન્ટની સીટ સામે આવી છે. જેમાં લાગવગીયા વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલીને પાસ કરાયા છે. બાયો કેમેસ્ટ્રી, એનાટોમી વિષયમાં વિદ્યાર્થીઓને પાસ કરી દેવાયા છે.
ત્યારે રીએસેસમેન્ટમાં પાસ કરાવવામાં કુલપતિ જે.જે.વોરાની સંડોવણીની આશંકા છે. પહેલા વર્ષની પરીક્ષાની મુખ્ય ઉત્તરવહીઓ બદલાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. રીએસેસમેન્ટ પછી માર્ક મુકવામાં આવ્યા તેમાં વિસંગતતા જોવા મળી રહી છે.
પાટણ HNGUના નામે વીડિયો થયો હતો વાયરલ
ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કેમિસ્ટ્રી વિભાગને જોડતો સમગ્ર મામલો હોવાની ચર્ચા છે. યુનિવર્સીટીના પૂર્વ વિદ્યાર્થીએ એક વિડિયો વાયરલ કર્યો છે. આ વિડિઓમાં ફીઝીકલ કેમીસ્ટ્રી વિષયની કોરી ઉત્તરવહીમાં ગુણ સુધારી પાસ કરવાનું કૌભાંડ થયાનું સામે આવ્યું છે. MSC સેમ 2ની ફીઝીકલ કેમીસ્ટ્રી વિષયની ઉત્તરવહી કોરી હોવા છતાંય વિઘાર્થીને પાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ કરાયો છે. જ્યારબાદથી HNGU યુનિવર્સિટીના કુલપતિ સામે અનેક સવાલો ઉભા થયા છે.
MBBSના 3 વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરાયાનો NSUIનો આક્ષેપ
NSUI કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે MBBSના 3 વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરાવામાં આવ્યા છે. આરોપ લગાવી કુલપતિ પાસે જવાબ માગ્યો હતો. કુલપતિ જે.જે વોરાના ગોળગોળ જવાબથી NSUI કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. બાદમાં હોબાળો વધારે થતા કુલપતિએ સિક્યૂરિટી બોલાવી NSUI કાર્યકરોને બહાર કાઢ્યા હતા. બહાર જતા NSUI કાર્યકરોના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો
MBBS વિધાર્થીને પાસ કરવાનો કોંભાડનો મામલે MLA કિરીટ પટેલે કહ્યું હતું કે, વિધાનસભા ગૃહમાં 116ની નોટિસ દાખલ કરી હતી. ગૃહ અધ્યક્ષે નોટીસ માન્ય રાખી 31 માર્ચે ચર્ચા કરવામા આવશે. ન્યાયિક તપાસ માટે CID ક્રાઇમને તપાસ સોંપવા માંગણી કરી છે. ન્યાયિક તપાસ નહિ થાય તો અમે આંદોલન કરીશુ એવી ચિમકી ઉચ્ચારી છે. મળતી માહિતી પ્રમાણે, ધારાસભ્ય કિરીટ પટેલે કુલપતિ બી.એ. પ્રજાપતિ સામે યુનિવર્સિટીમાં આચરેલા ભ્રષ્ટાચાર મુદ્દે ACBમાં ફરિયાદ નોંધાવી છે. હાલ ફરિયાદને લઈને ACB દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે.
સમગ્ર મામલાની તપાસ ઉચ્ચ શિક્ષણ નિયામકને સોંપવામા આવી: ભુપેન્દ્રસિંહ
તો આ મામલે થોડા દિવસ અગાઉ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે પાટણની હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રિ-એસેસમેન્ટની કથિત ગેરરીતિના કેસની તપાસ માટે રાજ્યના ઉચ્ચશિક્ષણ નિયામક એમ. નાગરાજનની તપાસ અધિકારી તરીકે નિમણૂંક કરી છે. વર્ષ 2018માં ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં રિ-એસેસમેન્ટમાં થયેલ કથિત ગેરરીતિ માટે બે સભ્યોની કમિટીની નિમણૂંક કરવામાં આવી હતી. તેના દ્વારા રિ-એસેસમેન્ટની કથિત ગેરરીતિ કેસની યોગ્ય તપાસ કરી તેમાં કોણ દોષી છે અને તેમાં શું થયું છે તે અંગેના યોગ્ય રીપોર્ટ યુનિવર્સિટીમાં સબમીટ કર્યા છે. આ કેસમાં કોણ કોણ દોષિત છે તેમની સામે યોગ્ય પગલાં ભરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ નિયામક અને IAS અધિકારી નાગરાજનની આ કેસની વિગતો સુધી પહોંચવા માટે તપાસ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તપાસ અધિકારી નાગરાજન યુનિવર્સિટીમાં સબમીટ થયેલા રિપોર્ટમાં યોગ્ય ચકાસણી અને અભ્યાસ કરી જે કોઇ દોષી હશે તેનો રિપોર્ટ સરકારને આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે જેમાં વર્ષ 2018માં મેડિકલની એફ.વાય MBBSની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ થયા હતા અને ત્યારબાદ આ મામલે તપાસ સોપાઈ હતી. નોંધનીય છે કે વર્ષ 2018માં રીએસેસમેન્ટ દરમ્યાન ગેરરીતી થયા હોવની લેખિત અરજી કારોબારી સભ્ય દ્વારા કરાઈ હતી. જેમાં ત્રણ વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં ફેરફાર કરાયા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. મેડિકલ વિદ્યા શાખાના વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં ફેરફાર થયો હતો. MBBSના પ્રથમ વર્ષના 3 વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલાઈ હતી.