આ વિધેયક ‘‘ગુજરાત ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી’’ને બદલે ‘‘ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી’’ તરીકે ઓળખાશે.
ગુજરાત ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી (સુધારા) વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર
કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચનાનું એલાન કર્યું
ગુજરાતમાં ખેતીને વધુ વેગ મળે, જમીન ફળદ્રુપ બને, ઉત્પાદકતા વધે-ખેડૂતોની આવક બમણી થાય અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવો એ આજના સમયની માંગ છે. પ્રકૃતિ તરફથી જે વસ્તુ મળે છે તેનાથી કરવામાં આવતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી તેમ વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતું.
ખેડૂતો ગુણવત્તાલક્ષી પ્રાકૃતિક ખેતી કરતા થાય તે હેતુથી બિલ રજૂ
કૃષિ મંત્રીએ ‘‘ગુજરાત ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી (સુધારા) વિધેયક-૨૦૨૨ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરતા કહ્યુ હતું કે, પ્રાકૃતિક ખેતીમાં નવા નવા સંશોધન અને રિસર્ચના આધારે ગુજરાતના વધુને વધુ ખેડૂતો ગુણવત્તાલક્ષી પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવા ઉમદા હેતુથી ગુજરાત ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી વિધેયકમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.
મુખ્યમથક ગાંધીનગરથી બદલીને પંચમહાલ રાખવામાં આવ્યું
મંત્રીએ વિધેયકમાં સુધારા અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ વિધેયક ‘‘ગુજરાત ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી’’ને બદલે ‘‘ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી’’ તરીકે ઓળખાશે. હાલોલ ખાતે સરકારી જમીનની ઉપલબધ્તા, આદિજાતી વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી માટે અનુકૂળ જમીન તેમજ પ્રાકૃતિક વન્ય પેદાશો માટેની અનૂકળતા હોવાથી યુનિવર્સિટીનું મુખ્યમથક ગાંધીનગરથી બદલીને પંચમહાલ જિલ્લાના હાલોલમાં સ્થાપવામાં આવશે.
સમાવેશન સભ્યની મુદ્દત લંબાવાઇ
રાજયમાં પ્રાકૃતિક ખેતીના પ્રચાર અને પ્રસાર માટે મુખ્ય ભૂમિકા હોવાથી નિયામક, એગ્રિકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (ATMA) અને સ્ટેટ એગ્રિકલ્ચરલ મેનેજમેન્ટ એન્ડ એક્સ્ટેન્શન ટ્રેનીંગ ઇન્સ્ટિટ્યુટ(SAMETI) ગુજરાત રાજયને યુનિવર્સિટીના સંચાલક મંડળમાં સમાવેશ તેમજ હોદાની રૂએ સભ્ય હોય તે સિવાયના સભ્યોના હોદાની મુદત બે વર્ષથી વધારીને ત્રણ વર્ષ કરવામાં આવી છે.
કુલપતિ તરીકે નિમણૂક પાત્રતામાં સુધારો
મંત્રીએ ઉમેર્યુ હતું કે, રાજયમાં પ્રાકૃતિક ખેતીના પ્રચાર અને પ્રસાર માટે મુખ્ય ભૂમિકા હોવાથી નિયામક, આત્મા, ગુજરાત રાજયને યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ પરિષદમાં પ્રાકૃતિક ખેતીને લગતા ખેડૂતોલક્ષી કાર્યક્રમોમાં વિસ્તરણને લગતા સુચનો અને સુધારા સુચવવા માટે સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે કૃષિ ક્ષેત્રના શિક્ષણ, સંશોધન અને વહીવટી એમ ત્રણેય ક્ષેત્રે અનુભવ ધરાવતા રાજય અને રાજય બહારના તજજ્ઞ ઉમેદવારોની બહોળી પસંદગી મળી રહે તે હેતુથી કુલપતિ તરીકે નિમણૂકને પાત્ર થવા માટે, કોઇ વ્યકિત, ઓછામાં ઓછા દસ વર્ષના શૈક્ષણિક /સંશોધન/વહીવટી અનુભવ તેમજ તેમની ઉંમર ૬૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ તે અંગે સુધારો કરાયો છે.
પ્રાકૃતિક કૃષિનું શિક્ષણ મળી રહે તે માટે અભ્યાસક્રમ શરૂ કરાશે
મંત્રીએ સુધારા અંગે જણાવ્યુ હતું કે, રાજ્યમાં પ્રાકૃતિક કૃષિમાં શોધ–સંશોધન થાય, વિસ્તરણ પ્રવૃતિઓ હાથ ધરાય, તેમજ રાજ્યની ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક કૃષિનું શિક્ષણ પ્રાપ્ત થાય તે જરૂરી છે. ઓર્ગેનિક યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતી પધ્ધતિ પર યોગ્ય સંશોધન થાય જેથી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિને વૈજ્ઞાનિક પીઠબળ મળી રહે અને તેની જરૂરી ભલામણો ખેડૂતોને મળી રહે તેમજ તેનો અભ્યાસક્રમ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ઉમેરી શકાય તે માટે કૃષિ વિભાગ દ્વારા ખાસ આઠ સભ્યોની કમીટી બનાવી અભ્યાસક્રમ તૈયાર કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
બે લાખ ખેડૂતોએ ૨.૫ લાખ એકર વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ અપનાવી
આ ખેતી પધ્ધતિ પહેલા મહારાષ્ટ્ર, હિમાચલ, આંધ્રપ્રદેશમાં શરૂ થઇ હતી અને હવે આપણા ગુજરાતમાં રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ તેની શરૂઆત થઇ છે. સમયની માંગ અને ખેતીની જમીનને બચાવવા આ પ્રાકૃતિક ખેતીની જરૂરીયાત ઉભી થઇ છે. આજે ગુજરાતમાં બે લાખ ખેડૂતો ૨.૫ લાખ એકર વિસ્તારમાં આ પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી પધ્ધતિમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા(ભેજ) અને સહજીવન પાકો એ મુખ્ય પાંચ આધાર સ્તંભ છે. આ ખેતીમાં જે કંઇ પણ ઇનપુટ ખાતર કે દવા વપરાય છે તેમાં બધી જ વસ્તુ કુદરતી હોય છે. જેમ કે દેશી ગાયનું ગૌમૂત્ર-છાણ, પાણી, દેશી ગોળ, ચણાની દાળ નો લોટ અને જુદી જુદી વનસ્પતિઓના પાનનો ઉપયોગ થાય છે. આ ખેતીમાં જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ વધે તે માટે અચ્છાદન અને સહજીવન પાક પધ્ધતિ અપનાવવામાં આવે છે.
ખર્ચ નહિવત ઉપજ વધુ
આ ખેતી પધ્ધતમાં ખર્ચ નહિવત હોય, ઉત્પાદન ગુણવત્તાયુક્ત મળતુ હોય અને આવક પણ રસાયણિક ખેતી કે સેન્દ્રિય ખેતી કરતાં વધુ તથા ખેત પેદાશો સ્વાથ્ય માટે ગુણકારી હોય તો આપણા ખેડૂતો આ ખેતી અપનાવે તો ખૂબ જ ફાયદા કારક નિવડે છે. આ પ્રાકૃતિક ખેતીમાં નહીવત ઉત્પાદન ખર્ચ આવતો હોવાથી પ્રધાનમંત્રીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સિધ્ધ કરવામાં આ પધ્ધતિ એક સરળ અને સસ્તો ઉપાય છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
ખેડૂતોને પ્રોત્સાહન અને સારા ભાવ પણ અપાય છે
મંત્રીએ કહ્યુ હતું કે, ગુજરાતમાં ખેડૂતો છેલ્લા બે વર્ષથી આ પધ્ધતિથી ખેતી કરી રહ્યા છે જેથી તેમની ખેત પેદાશોના સારા ભાવ મળે તે પણ જરૂરી છે તે માટે રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતી પધ્ધતિ સાથે જોડાયેલ ખેડુતો ને પ્રોત્સાહન મળે તેમજ અન્ય ખેડૂતો આ ખેતી અપનાવે તે માટે સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિની એક યોજના સમગ્ર રાજ્યમાં અને એક યોજના ડાંગ જિલ્લા માટે રજૂ કરવામાં આવી છે. ડાંગ જિલ્લાને ખૂબ જ ટૂંકા સમયગાળામાં ૧૦૦% રાસાયણમુક્ત ખેતી કરતો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે જે આપણ રાજ્ય માટે ખૂબ જ ગૌરવની વાત છે. જેમાં પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય યોજનામાં ૧.૮૨ લાખ ખેડૂતો તેમજ ડાંગ જિલ્લામાં ખેતીમાં ઉત્પાદન ઘટ માટે ૧૩૪૮૦ ખેડૂતોને સહાય આપવામાં આવી રહી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચનાનું એલાન
નાના નાના ખેડૂતોને તેઓની ખેત પેદાશો ઉંચા ભાવે વેચાય તે ઉદ્દેશથી સરકારે 33 જિલ્લાઓમાં કુલ ૧૦૦ જેટલા ખેડૂત ઉત્પાદક સંગઠનો (એફ.પી.ઓ.) બનાવ્યા છે. રાજય સરકાર દ્વારા રાજયનો પહેલો પ્રાકૃતિક ખેતીની પેદાશોનો સ્ટોલ ગાંધીનગર ખાતે આમ જનતા માટે રાજ્યપાલ દ્વારા ખુલ્લો મુકાયો છે. પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે એક “ પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ“ની રચના કરી તેના દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે.