નાગરિકોનું સ્વાસ્થ્ય એ કોઈ પણ પ્રદેશના વિકાસની પારાશીશી છે. કમનસીબે સમગ્ર દેશમાં આદર્શ મનાતા ગુજરાતમાં જ આ ક્ષેત્રે મોટી ખોડ બહાર આવી છે. નીતિ આયોગે ગુજરાતના બાળકોના સ્વાસ્થ્યના અંધાર તરફ આંગળી ચીંધી છે જેમાં બહાર આવ્યું છે કે ગુજરાતના અડધા બાળકો જોખમી રોગો સામેની રોગ પ્રતિકારક શક્તિ વિકસાવવા વપરાતી રસીઓ લઇ રહ્યા નથી.
ગુજરાતના અડધોઅડધ બાળકો પુરતું રસીકરણ નથી મેળવી રહ્યા.
લોકોની આવક, જાગૃતિનો અભાવ અને દવાખાનાઓની હાલત આ માટે જવાબદાર
ગુજરાતની અસ્મિતા લજવતા એક નીતિ આયોગના 2016ના રીપોર્ટમાં બહાર આવ્યું છે કે ગુજરાતના ફક્ત ૫૦.૪% ૧૨ થી ૨૩ મહિનાની વચ્ચેના બાળકો રોગ પ્રતિકારક છે.
કેવી રીતે નક્કી થાય છે બાળકની રોગ પ્રતિકારક શક્તિ?
૧૨ થી ૨૩ મહિના સુધીના બાળકને જો BCG, ઓરી અછબડા, અને ફાઈવ ઇન વન રસીના ૫ ડોઝ મળેલા હોય તો તેને રોગ પ્રતિકારક કહે છે.
ગુજરાતની દશા
ગુજરાતની સ્થિતિ આ આંકડા પરથી સામે આવે છે જેમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર જેવા રાજ્યો પણ ગુજરાત કરતા સારી રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે. સૌથી સારી સ્થિતિ ૯૧.૩% સાથે પોંડીચેરીની છે.
ગામડાની હાલત શહેરો કરતા પણ બદ્તર
ગામડાની હાલત વિષે એક સરપંચે નામ નહિ આપવાની શરતે અહેવાલ આપતા જણાવ્યું હતું કે ગામડામાં દવાખાના તો છે પરંતુ ડોકટરો હાજર નથી હોતા અને જો ડોકટરો હોય તો રસીઓ નથી હોતી. સરકાર રસીઓ આપે તો છે પરંતુ તે અહી સુધી પહોચતી નથી. આથી રસીકરણ તેઓએ શહેરમાં જવું પડે છે જે આર્થીક રીતે ન પરવડતું હોવાથી તેઓ રસીકરણ નથી કરાવતા. આ ઉપરાંત ઓછા શિક્ષણને કારણે તેઓમાં બાળકોના રસીકરણની જાગૃતિ હોતી નથી પરિણામે તેઓ રસીકરણ કરાવવાનું ટાળે છે.
મધ્યમ વર્ગની ઓછી આવક પણ કારણભૂત
અમદાવાદ પીડીયાટ્રીશ્યન એસોસિએશનના પૂર્વ વડા ડોક્ટર ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે મધ્યમ આવક ધરાવતા પરિવારો તેમના બાળકોને ખાનગી દવાખાનામાં રસી મુકાવે તેટલો ખર્ચ ઉઠાવી નથી શકતા અને સરકારી દવાખાનાઓની ખસ્તા હાલત અને ગંદગીના કારણે સરકારી દવાખાનામાં જવાનું ટાળે છે અને પરિણામે રસી નથી મુકાવતા.
રાજ્યના કુપોષિત બાળકોની સંખ્યાના આંકડા પછી ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા બાળકોની સંખ્યાના આંકડા ચિંતાજનક
ગુજરાતમાં કુલ 1 લાખ 42 બાળકો કુપોષણનો શિકાર બન્યા છે. જેમાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં 14,191 બાળકો કુપોષિત છે. તો અમદાવાદ જેવા મેગા સિટીમાં પણ આ આંકડો 1925 છે. તો સૌથી ઓછા પોરબંદર જિલ્લામાં 469 બાળકો કુપોષિત છે.