ભારત દ્વારા પાકિસ્તાનની સીમામાં ઘૂસીને કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પછી બંને દેશોની વચ્ચે ખૂબ તણાવ ભરેલી સ્થિતિ છે. ત્યારે હવે રક્ષામંત્રી નિર્મલા સીતારમને મહત્વની બેઠક બોલાવી છે. સેનાનાં ત્રણેય પાંખનાં વડા આ બેઠકમાં હાજર રહેશે.
પાકિસ્તાન અને સીમાની સુરક્ષાને લઈને આ બેઠકમાં ચર્ચા થશે. મહત્વનું છે કે, એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનનાં વિમાનો ભારતમાં ઘુસ્યાં હતાં. જેને લઈને દેશભરમાં પોલીસ વિભાગને એલર્ટ રહેવાનાં આદેશ આપવામાં આવ્યાં છે.
ભારત અને પાકિસ્તાન બોર્ડર પર તણાવને પગલે ભરૂચ જિલ્લાને હાઈ એલર્ટ કરવામાં આવ્યો છે. ત્યારે હવે ભરૂચનાં રેલ્વે સ્ટેશનમાં મુસાફરોનાં માલ-સામાનનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું. પોલીસે બોમ્બ સ્કોર્ડ અને ડોગ સ્કોર્ડ તેમજ મેટલ ડિટેક્શનની મદદથી ચેકીંગ કરવામાં આવ્યું.
જિલ્લામાં એલસીબી, એસઓજી, બીડીએસ તથા તમામ પોલીસ સ્ટેશનને સતર્ક કરવામાં આવ્યાં છે. હાલમાં પોલીસ દ્વારા સતત વાહન ચેકીંગ, હોટલ ચેકીંગ તથા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ દરિયાઈ વિસ્તારો અને ઔદ્યોગિક એકમો તથા જેટીઓનાં તમામ સિક્યુરીટી હેડ સાથે પોલીસનાં અધિકારીઓએ બેઠક કરી હતી.
તો બીજી બાજુ અમદાવાદનાં રેલ્વે અને બસ સ્ટેશનો પર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદનાં સંવેદનશીલ વિસ્તારોમાં હથિયારબદ્વ જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. રેલ્વે સ્ટેશન અને ગીતા મંદિર પોલીસ સ્ટેશન પર પોલીસે ડોગ સ્ક્વોડ અને બોંબ સ્ક્વોડ સાથે ચેકિંગ કર્યું.
શંકાસ્પદ વસ્તુઓ અને વ્યક્તિઓ પર પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. ભીડવાળા સ્થળો પર કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લાં બે દિવસથી તણાવની સ્થિતિ ચાલી રહી છે. સમગ્ર દેશભરમાં હાઈ એલર્ટ આપવામાં આવેલ છે. ત્યારે ગુજરાતમાં અનેક સ્થળો પર સુરક્ષાઓ પણ વધારવામાં આવી છે.
અમદાવાદનાં સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે. જેવાં કે શહેરનાં શાહપુર, ખાનપુર, કાલુપુર સહિતનાં વિસ્તારોમાં જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. સંવેદનશીલ વિસ્તારમાં હથિયારબદ્વ જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે.
ભારત દ્વારા પાકિસ્તાનની સીમામાં ઘૂસીને કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પછી બંને દેશોની વચ્ચે ખૂબ જ તણાવ ભરેલી સ્થિતિ છે. ત્યારે કચ્છ બોર્ડર પર ભારતીય સેના સતર્ક થઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને આર્મીની ગતિવિધીઓ પણ તેજ થઈ છે.
ત્યારે હવે ઈન્ડિયા બ્રીજ પરથી સામાન્ય લોકોની અવરજવર પણ બંધ કરવામાં આવી છે. આ સાથે જ બ્રીજ પર આર્મી ચેક પોસ્ટ પણ ઉભી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ઈન્ડિયા બ્રીજ આર્મીને બોર્ડર પર જવા માટે એક મહત્વનો બ્રીજ છે. આ બ્રીજ પરથી બોર્ડર પર માલ-સામાન પહોંચાડવામાં આવે છે. ત્યારે હવે ઈન્ડિયા બ્રીજ પરથી સામાન્ય લોકોની અવરજવર પણ બંધ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ભારતે પુલવામામાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા ભારતીય વાયુસેનાનાં લડાકુ વિમાન (મિરાજ)ને મંગળવારનાં રોજ પરોઢિયે પાકિસ્તાનમાં જૈશ-એ-મહોમ્મદનાં સૌથી મોટા ટ્રેનિંગ કેમ્પને નિશાન બનાવીને 12 મિરાજ દ્વારા હુમલો કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં આતંકીઓ અને તેનાં કમાન્ડરોને ઠાર કરી દેવાયાં હતાં. બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ નષ્ટ કરવામાં આવ્યાં છે.
ત્યારે મહત્વનું છે કે આ બદલાને લઇને સમગ્ર દેશભરમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. વાયુસેનાને પણ સમગ્ર દેશ દ્વારા સલામ કરવામાં આવી રહી છે. લોકો ખુશીથી રસ્તા પર ઉતરી આવ્યાં છે અને હિંદુસ્તાન ઝિંદાબાદનાં નારાઓ લગાવવામાં આવે છે.
જો કે હવે પાકિસ્તાન કે આતંકીઓ દ્વારા ફરી વાર પુલવામાની જેમ જ અન્ય કોઇ મોટાં ષડયંત્ર સાથે કોઇ મોટો હુમલો કરવામાં ના આવે તે માટે બાલાકોટમાં આતંકીઓને ઠાર કર્યા બાદ હાલમાં નાપાક પાકિસ્તાનને ધ્યાને રાખીને હાલમાં સમગ્ર દેશમાં હાઇ એલર્ટ આપી દેવામાં આવેલ છે. જેમાં ગુજરાત, મુંબઇ, દિલ્હી જેવાં મોટા-મોટા નગરોમાં તો ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે.