સીએમ ભૂપેન્દ્ર પટેલની વરણી બાદ નવા મંત્રીઓને લઈને મોટી ઉથલપાથલ થઈ રહી છે ત્યારે હવે મંત્રીઓના નામ ફાઇનલ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
આજનો મંત્રીમંડળનો શપથવિધિનો સમારોહ મોકૂફ
પાર્ટીમાં નારાજગીના કારણે છેલ્લી ઘડીએ કાર્યક્રમ મોકૂફ
હવે આવતીકાલે બપોરે 1.30 કલાકે યોજાશે શપથ સમારોહ
નવા મંત્રીઓને ફોન કરવા ઝોન વાઇઝ સોંપાઇ જવાબદારીઓ
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી સરકારની અંદર ઉથલપાથલનો દોર શરૂ થયો છે. રાજ્યને નવા મુખ્યમંત્રી મળી ગયા છે ત્યારે નવા મંત્રીઓને મોટી તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યમાં નવા મંત્રીઓમાં નો રિપીટ થીયરીને અપનાવવામાં આવશે અને પૂર્વમાં મંત્રી રહી ચૂકેલા એકેયને ફરીથી મંત્રી બનાવાશે નહીં ત્યારે આજનો શપથગ્રહણ કાર્યક્રમ ટાળી દેવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટીનાં અમુક સિનિયર નેતાઓ તથા કોંગ્રેસમાંથી આવેલ નેતાઓ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે હવે નીતિન પટેલ અને રૂપાણીને મોટી જવાબદારી આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છના મંત્રીઓને ફોન કરવાની જવાબદારી રૂપાણીને સોંપાઇ
શપથવિધિ માટે રૂપાણી, નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલને ફોન કરવાની જવાબદારી આપવામાં આવી છે. નવા મંત્રીઓને ટેલિફોનિક જાણ કરવા માટે ઝોન વાઇસ જવાબદારી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છના મંત્રીઓને ફોન કરવાની જવાબદારી રૂપાણીને સોંપાઇ છે જ્યારે મધ્ય-ઉત્તર ગુજરાતના મંત્રીઓને નીતિન પટેલ ફોન કરશે તથા દ.ગુજરાતના નવા મંત્રીઓને પાટીલ ટેલિફોનિક જાણ કરશે.
અચાનક જ શપથ ગ્રહણ પર લાગ્યું ગ્રહણ
અચાનક જ મંત્રી મંડળ શપથવિધિનો કાર્યક્રમ રદ્દ કરી દેવાતા ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો, 15 સપ્ટેમ્બરના રોજ 4.20 કલાકે નો રિપિટેશનના નિર્ણય આધારે મંત્રીઓનો શપથ કાર્યક્રમ યોજાવાનો હતો પરંતુ છેલ્લી ઘડીએ શપથ ગ્રહણ પર ગ્રહણ લાગતાં ગુરુવારે એટલે કે આવતીકાલે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે, નો રિપિટેશનના નિર્ણયને મોવડી મંડળે વધાવ્યો છે. જૂના મંત્રીઓને નવા મંત્રી મંડળમાં સ્થાન નહીં મળે. પોલીસને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઈ ગઈ છે.
ભારતીય જનતા પાર્ટીની અંદરનો ક્લેશ ચરમસીમાએ
નોંધનીય છે કે આજે સવારથી જ ભારતીય જનતા પાર્ટીનાં નેતાઓનાં જીવ અદ્ધર થઈ ગયા હતા. એક બાદ એક ધારાસભ્યો પાટિલ સાથે બેઠક કરવા પહોંચી રહ્યા હતા જે બાદ બપોરનાં સમયે જાણકારી સામે આવી કે રૂપાણી સરકારમાં જેટલા મંત્રી હતા તેમાંથી એકેય મંત્રીને ફરીથી સ્થાન આપવામાં આવશે નહીં. આ સમાચાર સામે આવતા જ ભારતીય જનતા પાર્ટીની અંદર પણ ભૂકંપ આવી ગયો હતો. સવારથી હલચલ તેજ હતી ત્યારે અંતે શપથગ્રહણને આવતીકાલે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર માહિતી સામે આવી રહી છે કે નો રિપીટ થીયરીનાં કારણે ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતાઓ નારાજ થયા હોવાની વાત પણ સામે આવી રહી છે. જોકે સૂત્રોનું એમ પણ માનવું છે કે ગુજરાતમાં જે પણ નવા મંત્રીઓ બનશે તેનો અંતિમ આદેશ PMO તરફથી આપવામાં આવશે અને મંત્રીઓનું લીસ્ટ પહેલા PMOમાં જ મોકલવામાં આવશે. નોંધનીય છે કે આજે સવારથી જ શપથવિધિને લઈને ધારાસભ્યોનાં મનમાં અસમંજસની પરિસ્થિતિ હતી. પહેલા સમાચાર સામે આવ્યા કે બપોરે બે વાગે શપથવિધિ યોજાશે અને તે બાદ ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટીની અંદરનો ક્લેશ સપાટી પર આવ્યો હતો.