નર્મદાનું પાણી ખેતર સુધી પહોંચાડવામાં ભ્રષ્ટાચારીઓ રમમાણ છે. સુરેન્દ્રનગરમાં અંડર ગ્રાઉન્ડ પાઈપલાઈન માટે કામ થયા વગર પૈસા ચૂકવાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. માત્ર એક તાલુકામાં કરવાના કામમાં કામ કર્યા વગર 84 કરોડ રૂપિયા ચૂકવાયા છે. સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા ચાઉં કરી જતી કંપનીઓ-મંડળીઓનો ભાંડો ફૂટી ગયો છે.
કામ કર્યા વગર કરોડો લઈ લીધા
ચોપડે કામ બોલ્યું, પણ જમીન પર ક્યાં?
માત્ર એક તાલુકામાં જ 86 કરોડનો ભ્રષ્ટાચાર
નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે ખેડૂતોનો દ્રોહ કર્યો
7 કંપની-મંડળીએ કામ કર્યા વગર 84 કરોડ રૂપિયા સેરવી લીધા છે. પાઈપલાઈન બિછાવ્યા વગર જ બિલ પાસ પણ કરાવી લીધા છે. નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે ખેડૂતોનો દ્રોહ કર્યો છે. તો, નર્મદા નિગમના પ્રામાણિક અધિકારીઓએ કૌભાંડ પણ છતું કર્યું છે.
ખેડૂતો પાણીની રાહ જોઈ રહ્યાં છે અને ભ્રષ્ટાચારી તિજોરીઓ ભરવામાં વ્યસ્ત છે. કંપનીઓ તો ઠીક ગ્રામ વિકાસ મંડળીઓએ પણ ભ્રષ્ટાચાર કર્યો છે. ભ્રષ્ટ અધિકારીઓ પર હજુ સુધી નર્મદા નિગમે કોઈ કાર્યવાહી કરી નથી. અત્યાર સુધીમાં નર્મદા નિગમે 81 કરોડ રૂપિયા રિકવર પણ કર્યા છે.
કોણે કોણે ચાંઉ કર્યા રૂપિયા આ રહ્યું લિસ્ટ
અમદાવાદની વિશાખા ઈરીગેશને કામ કર્યા વગર 26 કરોડ સરકાર પાસેથી લીધા છે.
સોનગઢના અભ્યુથ્થાન ગ્રામ વિકાસ મંડળે 12.27 કરોડ ઉપાડી લીધા.
મહેસાણાની જયંતિ સુપર કન્ટ્રક્શને 9.26 કરોડ પોતાની તિજોરીમાં લઈ લીધા.
અમદાવાદની આર્યવર્ત ઈન્ફ્રા 6.23 કરોડ સરકારના ચાઉં કરી ગઈ છે.
ગોંડલની કેલ્વિન પ્લાસ્ટિક કામ કર્યા વગર 5.49 કરોડ સેરવી લીધા.
સમીની તાલુકા ખાદી ગ્રામ ઉદ્યોગ વિકાસ સમિતિએ 2.61 કરોડ કામ કર્યા વગર લઈ લીધા છે.
રાજકોટની સાગર પોલિટેકનિક કંપનીએ 2.52 કરોડ કામ કર્યા વગર લઈ લીધા છે.
હજુ 170 કરોડના કામ ચાલુ
સરકારને ચૂનો ચોપડ્યો હોવા છતાં કેટલીક કંપનીઓ હજુ પણ સરકારી કામ કરી રહી છે. અમદાવાદની આર્યવર્ત ઈન્ફ્રા હજુ પણ સરકારનું 170 કરોડનું કામ કરી રહી છે.
નર્મદા નિગમે શું કર્યું?
કરોડો રૂપિયાના કૌભાંડમાં સામેલ 13 અધિકારીઓને ચાર્જશીટ આપવાનું કામ હજુ નથી થયું
સરકારને ચૂનો લગાડનારા કેટલાયે અધિકારીઓ નિવૃત્ત પણ થઈ ચૂક્યા છે
નર્મદા નિગમના કેટલાયે કૌભાંડી અધિકારીઓ હજુ પણ ફરજ પર ચાલુ છે
નર્મદા નિગમે માત્ર એક અધિકારીને સસ્પેન્ડ કરીને સંતોષ માની લીધો છે
નર્મદા નિગમના અધિકારી એમ.ડી.પટેલને ACBએ છટકામાં પકડ્યા પછી સસ્પેન્ડ કર્યા
નિવૃત્ત IAS અધિકારી દ્વારા ખાતાકીય તપાસ હજુ સુધી ચાલુ નથી કરાઈ
2016 થી 2018 દરમિયાન માત્ર 2 વર્ષમાં 84 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા
તપાસ અગાઉ નિવૃત્ત થયેલા અધિકારીઓને ચાર્જશીટ અપાઈ
તપાસ પછી નિવૃત્ત થયેલા અધિકારીઓના બે વર્ષ માટે લાભો અટકાવાયા
બે વર્ષમાં નિગમ તપાસ પુરી નહી કરે તો અધિકારીઓને પેન્શન-ગ્રેજ્યુઈટી ચૂકવાઈ જશે
નર્મદા નિગમના પ્રામાણિક અધિકારીઓને કારણે જ આ કૌભાંડ બહાર આવ્યું છે