લાગે છે કે આવનારા સમયમાં રાજ્યમાં પાણીની સમસ્યા દૂર થઈ શકે છે. રાજ્યમાં 100 ટકાથી વધારે વરસાદ નોંધાયો છે. જેનાં કારણે પ્રથમ વખત 21 હજાર MCMથી વધારે જળસંગ્રહ થયો છે. રાજ્યનાં તમામ જિલ્લાઓમાં 70 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. તો 205 ડેમમાં 84 ટકા વરસાદી પાણીનો સંગ્રહ થયો છે.
રાજ્યભરનાં 69 ડેમ વરસાદી પાણીથી સંપૂર્ણ છલકાઇ ગયા છે. હાલમાં સરદાર સરોવર ડેમ પણ સંપૂર્ણ ભરાવાથી માત્ર 2 મીટર જ દૂર છે. હાલમાં સરદાર સરોવરની સપાટી 136 મીટરને પાર છે. જે 138ની ઐતિહાસિક સપાટીએ પહોંચવાની શક્યતા સેવાઇ રહી છે.
સરદાર સરોવર ખાતે દરવાજા નંખાયા બાદ રાજ્યની અગાઉની જળસંગ્રહ ક્ષમતા 21 હજાર MCM થઇ છે. પ્રથમ વાર 21 હજાર MCM એટલે કે 21 લાખ કરોડ લીટરનો આંકડો પાર થયો છે. અત્યારે જળાશયોમાં કુલ 21,401 MCM પાણીનો જથ્થો છે. ગત વર્ષે આ સમયે કુલ પાણીનો જથ્થો 14067 MCM હતો. પહેલી વાર રાજ્યનાં કુલ 205 ડેમોમાં 84 ટકાથી વરસાદી પાણીનો સંગ્રહ થયો છે.
રાજ્યમાં સરેરાશ 816 મી.મી. વરસાદ સામે મંગળવારનાં સવાર સુધી 882.28 મી.મી. (36 ઇંચ) એટલે કે 108.12 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. 2018ની સિઝનનો કુલ વરસાદ 76.73 ટકા કરતાં પણ આ વર્ષે વધારે વરસાદ થયો છે. લગભગ 20 જિલ્લાઓમાં 100 ટકાથી પણ વધારે વરસાદ અને જ્યારે દાહોદ અને મહિસાગર જિલ્લાઓને બાદ કરતાં તમામ જિલ્લાઓમાં 80 ટકાથી પણ વધુ વરસાદ થયો છે. રાજ્યનાં 69 ડેમ વરસાદી પાણીથી સંપૂર્ણ છલકાઇ ગયા છે.
સરદાર સરોવર હવે સંપૂર્ણ ભરાવાથી માત્ર 2 મીટર દૂર
તમને જણાવી દઇએ કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક સતત ચાલુ છે અને સપાટી પણ 136 મીટરને પાર થઇ ગઇ છે. આગામી થોડાંક જ દિવસોમાં સરદાર સરોવર 138ની ઐતિહાસિક સપાટીએ પહોંચે તેવી શક્યતાઓ છે. પોણા ત્રણ લાખ ક્યૂસેકની આવક સામે આશરે બે લાખની જાવક છે. કેનાલમાં પાણી છોડીને રાજ્યનાં અન્ય જળાશયોમાં પણ પાણી ભરવામાં આવી રહ્યું છે. 119 જેટલાં ડેમોમાં 80 ટકાથી પણ વધુ પાણી છે અને 7 ડેમમાં 70થી 80 ટકા જેટલાં પાણીનો સંગ્રહ છે.