રાજ્યભરમાં એક તરફ ગરમીનું જોર વધી રહ્યું છે. તો બીજી તરફ ચોમાસુ પણ ખેંચાય તેવા એંધાણ છે. અધૂરામાં પુરુ કેરળમાં હજુ સુધી ચોમાસુ બેઠુ નથી. જેના કારણે ગુજરાતમાં ચોમાસું મોડુ બેસે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ગુજરાતમાં જળસંકટ વધુ ઘેરુ બને તેવી પૂરેપૂરી સંભાવના છે.
ગુજરાતના 204 જળાશયોમાં હાલ 16.78 ટકા જ પાણી બચ્યું છે. જ્યારે 89 જેટલા જળાશયો ખાલીખમ થઈ ગયા છે. તો જીવાદોરી સમાન સરદાર સરોવરમાં 52.43 ટકા પાણી વધ્યું છે. તો કચ્છમાં સૌથી નાજૂક સ્થિતિ છે. જ્યાં 20 જળાશયોમાં માત્ર 10.83 ટકા જ જળસ્તર છે.
તો આ તરફ ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 12.59 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 40.78 ટકા, દક્ષિણ ગુજરાતના જળાશયોમાં 14.20 ટકા અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં માત્ર 7.28 ટકા જ જળસંગ્રહ છે. જોકે રાહતની વાત એ છે કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 4599.67 મિલિયન ક્યુબિક મીટર સાથે 52.43 ટકા જળસંગ્રહ છે.