પાછોતરા વરસાદને પગલે રાજ્યભરમાં રોગચાળો વકર્યો છે જેને પરિણામે ઘેરઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે એમાંય ડેંગીએ તો વરસાદની જેમ રાજ્યને ઘમરોળવાનું જ શરૂ કરી દીધુ છે. ડેંગીનો આકંડો સતત વધી રહ્યો છે વળી તેને લીધે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે.
2018ની સરખામણીમાં ડેંગીના કેસમાં 75 ટકાનો વધારો
ડેંગીના કારણે અત્યાર સુધી 8 દર્દીના મોત
સૌથી વધુ રાજકોટ ઝોનમાં ડેન્ગ્યુના 1933 કેસ
રાજ્યભરમાં રોગચાળાએ માઝા મુકી છે. રાજ્યમાં ડેંગીનો કહેર એટલી હદે વધી ગયો છે કે હવે સરકાર પણ દોડતી થઈ ગઈ છે. ચાલુ વર્ષે ડેંગીના 5,961 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષે રાજ્યમાં ડેંગીના કારણે 8 દર્દીના મોત નિપજ્યા છે.
સૌથી વધુ કેસ રાજકોટમાં
રાજકોટ ઝોનમાં ડેંગીના 1933 કેસ નોંધાયા છે. રાજ્યમાં 2018 કરતા ડેંગીના કેસમાં 75 ટકાનો વધારો જોવા મળ્યો છે. તો અમદાવાદમાં ડેંગીના કેસમાં 120 ટકાનો વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં 1633 ડેંગીના કેસ નોંધાયા છે. તો ગાંધીનગરમાં 858, વડોદરામાં 715 , સુરતમાં 430 અને ભાવનગરમાં 392 કેસ નોંધાયા છે.
સરકાર સફાળી જાગી
સરકાર સફાળી જાગીને ગઈ કાલે પત્રકારપરિષદ યોજી રોગચાળાને પહોંચી વળવા પ્લાન તૈયાર હોવાની વાતો હતી પરંતુ સ્વચ્છતા અને રોગચાળાને સીધો સંબધ છે. જ્યાં ત્યાં રોડ રસ્તાના કામ ચાલી રહ્યા છે ત્યાં મચ્છરના બ્રિંડિંગ થાય છે. અમદાવાદમાં મેટ્રો, બુલેટ અને બીઆરટીએસના રૂટ મચ્છરોના ઘર બન્યા છે. તો રાજકોટ સહિત રાજયભરમાં આ જ સ્થિતિ છે.