ગુજરાત સરકારના સહકાર વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજય પટેલ જોડાયા કોંગ્રેસમાં.2022મા વિધાનસભા ચૂંટણીમાં કરી શકે છે ઉમેદવારી
ભાજપના મંત્રી ઈશ્વર પટેલના ભાઈ કોંગ્રેસમાં
ભાજપના કેવડિયા મંથન વેળા કોંગ્રેસમાં જોડાયા
હવે 2022 વિધાનસભા ચૂંટણીમાં આમને -સામને ?
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે ભાજપ કેવડિયામાં મંથન કરી રહ્યો છે ત્યારે,રાજ્ય સરકારના સહકાર વિભાગના મંત્રી અને અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈએ કોર્ન્ગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી લીધો છે.રાજનીતિક સમિક્ષકો માને છે કે, આગામી વિધાનસભા ચૂંટણીમા વિજયસિંહ ઉમેદવારી કોંગ્રેસમાંથી હશે.ઉલ્લેખનીય છે કે, છ માસ પૂર્વે જ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી વેળા વિજયસિંહ પટેલે ભાજપને રામ-રામ કરી દીધા હતા.
સ્થાનિક નેતાઓ પર આક્ષેપોની ઝડી વરસાવી હતી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે ભાજપે એક ફોર્મ્યુલા નક્કી કરી હતી કે, 60 થી વધુ વય ધરાવતા અને સતત ત્રણ ટર્મથી ચૂંટાતા આગેવાનોને ટીકીટ આપવામાં નહિ આવે. દરમિયાન ફેબ્રુઆરી -4ના રોજ મંત્રી ઈશ્વરસિંહ પટેલના જયેષ્ઠ બંધુ વિજય સિંહે ભાજપની પ્રાથમિક સદસ્યતા પદેથી રાજીનામું આપ્યું હતું. અને 9 ફેબ્રુઆરીએ APMC-હાંસોટના પ્રમુખપદને પણ ફારગતિ આપી દીધી હતી.પક્ષના પ્રાથમિક સદસ્ય તરીકે ચોંકાવનારી રીતે રાજીનામું આપનારા વિજય પટેલે ત્યારે તો અંગત કારણોને લઇ રાજીનામું આપ્યાની વાત કરી હતી,બાદમાં સમાચાર માધ્યમો સામે સ્થાનિક કક્ષા એ ચાલતી ઉતરતા સ્તરની રાજનીતિ સાથે ભ્રષ્ટ્રાચાર અને વ્યભિચારના મોટાપાયે આરોપો લગાવ્યા હતા. આટલું પુરતું નાં હોય તેમ,વિજય પટેલ પક્ષની વિચારધારા સાથે સહમત નથી તેવું કહી APMC ને સલામ-નમસ્તે કહી દીધા.
પરિવાર એક -વિચારધારા બે
ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સહકાર ખાતાનો હવાલો સંભાળતા ઈશ્વરસિંહ પટેલ સામે જો રાજનીતિક સમિક્ષકોનું માનીએ તો ભાઈ સામે ભાઈની સ્થિતિ ઉભી થશે.જો કે, એક જ પરિવારના સદસ્યો અલગ-અલગ પક્ષની વિચારધારા સાથે હોય તે રાજનીતિમાં નવું નથી.કેન્દ્રમાં સિંધિયા પરિવાર તેનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ રહ્યો છે. ગુજરાતમાં પણ મોટાભાગે વારસાઈ રાજનીતિ ચાલી છે. પણ રાજકોટનો રાજવી પરિવાર દિવંગત રાજવી મનોહર સિંહજી જાડેજા અને વર્તમાન રાજવી માંધાતાસિંહજી અલગ-અલગ પક્ષ સાથે રહ્યા. પોરબંદરના પૂર્વ સાંસદ સ્વ. વિઠલ રાદડીયા પિતા-પુત્ર વારાફરતી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા.
ભલા તોરી ભાજપા -
સહકાર મંત્રી ઈશ્વર સિંહનાં ભાઈ વિજય ઉર્ફ વલ્લભ પટેલ ગુરુવારે સાજન-મહાજન સાથે કોન્ગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ખેસ ધારણ કરી,સસ્મિત જણાવ્યું કે, દુઃખિયાના બેલી જેવી કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત થયો છું અને લોકકલ્યાણની વાત લઈને નાગરિકોને કોંગ્રેસ તરફ વાળવા ખંતથી પ્રયાસ કરીશ.ભારતીય જનતા પાર્ટીમાં જૂઠ,નર્યા દંભની રાજનીતિ અને ભ્રષ્ટાચારથી વિમુખ થવા લોકો વચ્ચે જઈશ.