હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ બાદ ઠંડીનો પારો ગગડવાની શક્યતા છે
ત્રણ દિવસ બાદ ઠંડી વધવાની શક્યતા
ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે
2 ફેબ્રુઆરીએ દરિયો ન ખેડવા સૂચના
રાજ્યના હવામાન વિભાગે ઠંડી વધવાના સંકેત આપી દીધા છે. રાજ્યમાં 3 દિવસ ઠંડીનો ચમકારો રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વૈજ્ઞાનિક મનોરમાં મોહંતિના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ બાદ ઠંડીનો પારો 4થી 5 ડિગ્રી સુધી એટલે કે 1, 2 અને 3 ફેબ્રુઆરી સુધી ઠંડી ઓછી પડશે જે બાદ વધશે. 2 ફેબ્રુઆરીએ દરિયા કાંઠાના વિસ્તારોમાં પવનનું જોર વધશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. લગભગ 40થી 50ની ઝડપે પવન ફૂંકાશે તેથી માછીમારોને આગામી 2 તારીખે દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. પણ 5 ફેબ્રુઆરી પછી ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા તાપમાન વધશે તેવુ પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ફરી એકવાર વરસાદ જ નહિ પણ કરા પડવાની આગાહી વાદળના વરતારે કરતા અંબાલાલ પટેલે રોકડું પરખાવ્યું છે કે, 1 જાન્યુઆરીએ રાજ્યમાં વાદળો તો છવાશે જ, સાથોસાથ 1 થી 3 ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની શક્યતા છે. આ કમોસમી માવઠું માત્ર વરસાદ જ નહિ આપે, પણ કરા પણ વરસાવી શકે છે. આવું થવાનું એક કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આટલેથી આ વાતાવરણ નહિ અટકે, તારીખ 10 થી 17 ફેબ્રુઆરી વચ્ચે ફરી હવામાનમાં પલટો આવશે.
ખેડૂતોએ શું સાવચેતી રાખવી
વાતાવરણ બદલાવાના વર્તારા સાથે ખેડૂતોએ પણ 1 થી 3 ફેબ્રુઆરી અને બીજા સપ્તાહના મધ્યમાં પોતાના ખેતરમાં રહેલા પાકની વિશેષ કાળજી લેવી પડશે. કમોસમી વરસાદના પગલે તમારો પાકી ગયેલો પાક ખુલ્લી જગ્યામાં પડ્યો હોય તો, તે અંગે પણ વ્યવસ્થા કરી લેવી જોઈએ. સાથે તાપમાનમાં પણ સતત વધારો ઘટાડો થતા લોકોએ પણ સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી બને છે.