તારીખ 16 જાન્યુઆરી 2021 આ એ દિવસ છે જ્યારે વિશ્વ કોરોના નામની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે ભારતે વાયરસ સામેની લડાઇમાં વેક્સિનેશન શરૂ કર્યું છે. આ હેઠળ ગુજરાત રાજ્યમાં પણ આજથી વેક્સિનેશનનો પ્રારંભ કરાયો છે. ત્યારે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં MCIના પૂર્વ પ્રેસિડન્ટ કેતન દેસાઇને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. કેતન દેસાઈએ કોવિશિલ્ડ વેક્સિન લીધી હતી. ડૉ. નવીન ઠાકર અને અને ડૉ. કેતન દેસાઇને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
સમગ્ર દેશમાં કોરોનાની વેક્સિનેશનનો પ્રારંભ થયો
અમદાવાદની સિવિલમાં MCIના પૂર્વ પ્રેસિડન્ટ કેતન દેસાઈએ વેક્સિન લીધી
MCIના પૂર્વ પ્રેસિડન્ટ કેતન દેસાઈએ કોવિશિલ્ડ વેક્સિન લીધી
દેશમાં વિશ્વના સૌથી મોટા કોરોના રસીકરણ અભિયાનનો આજથી પ્રારંભ થઇ ચૂક્યો છે. તો ગુજરાતમાં પણ 161 કેન્દ્રો પર રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં હેલ્થ વર્કર્સ તેમજ ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવામાં આવી રહી છે. હાલ ગુજરાતમાં 16,000 જેટલા હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવી રહી છે. ત્યારે આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં CM વિજય રૂપાણી અને DyCM નીતિન પટેલની દેખરેખમાં રસીકરણ અભિયાન શરૂ કરાયું હતું સિવિલ હોસ્પિટલના વરિષ્ઠ ડોક્ટર્સને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
ડૉ. નવીન ઠાકર અને ડૉ. કેતન દેસાઇને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો
અમદાવાદ સિવિલમાં ઈન્ટનેશનલ પીડિયાટ્રિક એસોસિએશનના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર ડૉ. નવીન ઠાકરને સૌથી પહેલા વેક્સિન આપવામાં આવી હતી. ત્યારબાદ બીજા નંબરે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા(MCI)ના પૂર્વ વડા ડૉ. કેતન દેસાઈ કોરોના વેક્સિન આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં વરિષ્ઠ ડૉક્ટર્સને રસી આપવામાં આવી હતી.
ડૉ. કેતન દેસાઈએ લોકોને પણ ડર્યા વિના લેવાની કરી અપીલ
કોવિશિલ્ડ વેક્સનનો ડોઝ લીધા બાદ ડૉ. કેતન દેસાઈએ લોકોને પણ ડર્યા વિના વેક્સિન લેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. હું સ્પષ્ટ માનું છું કે, સિક્યોર વેક્સિન છે. વેક્સિનની કોઇ સાઇડ ઇફેક્ટ નથી. જેટલું બને એટલું ઝડપથી આ વેક્સિન લેવી જોઇએ. આપણી અને સૌની સેફ્ટી માટે વેક્સિન લેવી જોઇએ.
ડૉ. કેતન દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોનાની રસી અનેક તબક્કામાંથી પસાર થઈ હોવાથી તેની આડઅસરની ચિંતા કરવાની કોઈએ જરૂર નથી. અનેક નિષ્ણાંતોએ આ રસીની ચકાસણી કરી છે. સેફ્ટી માટે આ વેક્સિન લેવી જોઇએ.