દર વર્ષે લગભગ ૧૫ ડિસેમ્બરથી ધનારકનો પ્રારંભ થતાં ઉત્તરાયણ એટલે ૧૪ જાન્યુઆરી સુધી માંગલિક પ્રસંગોનું આયોજન થતું નથી. પરંતુ ત્યાર પછી લગ્નસરાની સિઝન જામે છે. પરંતુ ચાલુ વર્ષે ૧૫ ડિસેમ્બરથી ૨૦ એપ્રિલ ૨૦૨૧ સુધી લગ્નનાં કોઈ મુહૂર્ત નથી. જેથી લગ્નવાંછુકોએ ૧૫ ડિસેમ્બરે છેલ્લાં મુહૂર્તમાં લગ્ન કરી લેવાં પડશે નહીં તો સાડા ત્રણ મહિના સુધી નવા શુભ મુહૂર્તની રાહ જોવી પડશે.
ચાલુ વર્ષે લગ્નોને આમ પણ કોરોનાનું ગ્રહણ નડ્યું છે. આ વર્ષે ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ હોવાના કારણે એનઆરઆઈ લગ્નો પણ બંધ છે. તેમાંય હવે કોરોના ઉપરાંત ૧૫ ડિસેમ્બરથી ગ્રહોનું ગ્રહણ લાગશે. હવે ડિસેમ્બરના ૧૦ દિવસ જ લગ્નનાં મુહૂર્ત છે.
હિંદુ શાસ્ત્રો અને ધાર્મિક પરંપરા અનુસાર ધનારક-મીનારકમાં લગ્ન કે અન્ય શુભ પ્રસંગો લેવાતા નથી. તદુપરાંત ગુરુ-શુક્ર ગ્રહના અસ્તમાં પણ લગ્નો યોજી શકાતાં નથી. લગ્નમાં વર-કન્યાનું સૂર્ય, ચંદ્ર અને ગુરુનું બળ મહત્ત્વનું ગણાય છે. કૃષ્ણ પક્ષમાં તારા બળ મહત્વનું છે. ધનારક એટલે ધન સંક્રાંતિમાં સૂર્યનો ધનુ રાશિમાં પ્રવેશ થાય છે. ધન એ ગુરુની રાશિ છે, જેમાં સૂર્ય પ્રવેશતાં રાજા અને ગુરુ બંને જ્ઞાન સત્રમાં વ્યસ્ત થાય છે.
જેથી ધનારકમાં લગ્ન યોજાતાં નથી. જોકે નર્મદા-મહી નદી વચ્ચેનાં ક્ષેત્રમાં ધનારકનો દોષ લાગતો નથી. ગુરુ-શુક્રના અસ્તમાં પણ જો લગ્ન કરવાં જ પડે તેવી સ્થિતિ હોય તો ગુરુ-શુક્રના જાપ કરાવવા તથા બ્રાહ્મણ દ્વારા ગુરુ-શુક્ર ગ્રહની શાંતિ કરાવવી જરૂરી છે.
૧૫ ડિસેમ્બર ૨૦૨૦થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ સુધી ધનારક છે. તેથી ૧૫ ડિસેમ્બરથી ધનારક બેસતાં લગ્નો સહિત માંગલિક કાર્યો પર બ્રેક વાગી જશે. ગુરુ ગ્રહ અસ્ત ૧૬ જાન્યુઆરી ૨૦૨૧થી ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી છે. મીનારક ૧૪ માર્ચ ૨૦૨૧થી ૧૪ એપ્રિલ ૨૦૨૧ છે. તેમાં શુક્ર ગ્રહનો અસ્ત થાય છે. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧થી ૨૦ એપ્રિલ ૨૦૨૧, ૨૧ માર્ચ ૨૦૨૧થી ૨૮ માર્ચ ૨૦૨૧ હોળાષ્ટક છે.
આગામી વર્ષનાં શુભ મુહૂર્ત આ મુજબ છે. એપ્રિલ ૨૪, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, મે માસમાં ૧, ૪, ૮, ૨૦, ૨૧, ૨૨, ૨૪, ૨૬, ૨૮, ૩૦, ૩૧ છે તો જૂનમાં ૩, ૪, ૬, ૧૫, ૧૬, ૧૯, ૨૦, ૨૧, ૨૪, ૨૬, ૨૮ છે. એપ્રિલમાં ૨૪, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦ છે. તો જૂન માસમાં ૩, ૪, ૬, ૧૫, ૧૬, ૧૯, ૨૦, ૨૧, ૨૪, ૨૬, ૨૮ છે. જુલાઈ માસમાં ૧, ૨, ૩, ૧૩ સુધી સારાં મુહૂર્ત છે.