કાળાનાણાંના મોર્ચે મહત્ત્વપૂર્ણ જંગ જારી રાખતા મોદી સરકારે બેનામી સંપત્તિના મામલે પણ કડક કાર્યવાઈ શરૂ કરી છે. આવકવેરા વિભાગે શરૂઆતમાં જ સફળતા મળી છે. વિભાગનું કહેવું છે કે તેણે 240 કેસમાં 400થી વધારે બેનામી ડીલની જાણકારી મેળવી છે અને 600 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આવકવેરા વિભાગે ગુજરાત મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં 40 જેટલા કેસમાં કુલ 530 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ ટાંચમાં લીધી હોવાનો દાવો કર્યો હતો.
આવકવેરા વિભાગે 23 મે સુધીમાં 400 જેટલી બેનામી લેણદેણ શોધી કાઢી હતી. જેમાં બેન્ક ખાતા જમીનના પ્લોટ ફ્લેટ અને દાગીના શામેલ છે. કુલ 240 જેટલા કેસમાં માલિકોની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આવકવેરા દ્વારા જપ્ત કરવામાં આવેલી સંપત્તિની માર્કેટ વેલ્યૂ 600 કરોડ રૂપિયાથી વધારે આંકવામાં આવી છે.