ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે 300 આસપાસ નોંધાતા કોરોનાના કેસ ચૂંટણીના 33 દિવસ બાદ 3000ને પાર પહોંચી ચૂક્યા છે. હાલ રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિવિકટ બની છે.
ચૂંટણી પછી 33 દિવસમાં 300થી 3000ને પાર પહોંચ્યા કોરોનાના કેસ
મનપાના પરિણામના દિવસે 23 ફેબ્રુઆરીએ 348 કોરોનાના કેસ નોંધાયા હતા
3થી 4 દિવસનો કર્ફ્યુ લગાવવા હાઈકોર્ટનો રાજ્ય સરકારને નિર્દેશ
કોરોના મહામારી વચ્ચે ગુજરાતની 6 મહાનગરપાલિકા, નગરપાલિકાની, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાઇ હતી. પ્રથમ તબક્કામાં 21 ફેબ્રુઆરીએ મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં 28 ફેબ્રુઆરીએ નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી. ત્યાર મહાનગરપાલિકાના 23 ફેબ્રુઆરીએ અને નગરપાલિકા અને પંચાયતોના પરિણામ 2 માર્ચે જાહેર થયા હતા. આ ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત તો મળી છે પરંતુ ગુજરાતમાં કોરોના સંકટ વચ્ચે યોજાયેલી ચૂંટણી બાદ કોરોનાની આવેલી લહેરે સમગ્ર ગુજરાતમાં સંક્રમણ ફેલાવ્યું છે. ફેબ્રુઆરીના પ્રારંભે કાબુમાં દેખાતો વાયરસ માર્ચમાં વકર્યો હતો. ચૂંટણી પહેલા દેશવ્યાપી લોકડાઉન અને રાત્રિ કર્ફ્યુ બાદ ધીમો પડેલો કોરોના હવે બેકાબૂ બન્યો છે. અનેક શહેરોમાં કર્ફ્યુ લગાવવો પડે તેવી પરિસ્થિતિ આંગણે આવીને ઉભી છે.
ચૂંટણીના 30 દિવસમાં 300 કેસ પહોંચ્યા 3000ને પાર
સ્થાનિક સ્વરાજ્યના મતદાન અને પરિણામ બાદ કોરોનાએ રફતાર પકડી હતી જે હવે બેકાબૂ બની છે. ગુજરાતમાં જ્યારે ચૂંટણીની જાહેરાત થઇ એટલે કે 23 જાન્યુઆરીએ ગુજરાતમાં 423 કોરોના કેસ નોંધાયા હતા અને 1 દર્દીનું મોત થયું હતું. મહાનગરોમાં ચૂંટણીના ઉમેદવારીપત્રક ભરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરીએ રાજ્યમાં કોરોનાના 252 કેસ નોંધાયા હતા. મનપાના પરિણામના દિવસે 23 ફેબ્રુઆરીએ 348 કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે નગરપાલિકા અને પંચાયતોના પરિણામના દિવસે 2 માર્ચે 475 કોરોનાના કેસ નોંધાયા હતા. તેના એક મહિના બાદ ગુજરાતમાં 5 એપ્રિલે 24 કલાકના 3160 નવા કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. ચૂંટણી સમયે 300 આસપાસ નોંધાતા કોરોનાના કેસ ચૂંટણીના 33 દિવસ બાદ 3000ને પાર પહોંચી ચૂક્યા છે. ત્યારે ચૂંટણીના એક મહિના બાદ કોરોનાનું સંક્રમણ પાંચ ગણું કઈ રીતે વધ્યું? તે એક ચર્ચાનો વિષય બની ગયો છે.
ચૂંટણી વખતે કેસ ઘટ્યા અને બીજા અઠવાડિયાથી કેસે પકડી ઝડપ
ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. જ્યારે બીજા અઠવાડિયાથી જ કોરોના કેસે ઝડપ પકડી લીધી હતી. આ સમયે રાજ્યમાં ચૂંટણીપ્રચાર ધમધમવા લાગ્યો હતો. ચૂંટણી સમયે અનેક રેલીઓ અને સભાઓ થઇ. તમામ પક્ષોના નેતાઓએ મોટી સંખ્યામાં ભીડ ભેગી કરી હતી. ચૂંટણી પ્રચાર માટે રાજ્યનો કોઇ છેડો બાકી નહોતો રહ્યો. આ સમયે રાજ્યના અનેક ડૉક્ટરોએ કોરોના વાયરસના કેસ વધશે એવી ચિંતાઓ વ્યક્ત કરી હતી. તો મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે હવે આગામી 18મી એપ્રીલે કોરોનાના કહેર વચ્ચે ગાંધીનગર મનપાની ચૂંટણી યોજાવાની છે.
3થી 4 દિવસનો કર્ફ્યુ લગાવવા હાઈકોર્ટનો રાજ્ય સરકારને નિર્દેશ
ત્યારે હાલ ગુજરાતમાં કોરોનાના કેસ 3000ને પાર પહોંચતા હાઇકોર્ટે સ્થિતિનું અવલોકન કર્યું છે. હાઈકોર્ટે ગુજરાતમાં વિકેન્ડ કર્ફ્યુ લગાવવાના રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે. રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે. રાજ્યમાં સરકાર 2 કે 3 દિવસના વિકેન્ડ કર્ફ્યું લગાવે તેઓ હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે. રાજ્યમાં કડકાઇની જરૂર પડે તેવી સ્થિતિનું હાઈકોર્ટનું અવલોકન કર્યું છે. રાજ્ય સરકાર 2 દિવસમાં વિકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરે તેવી સંભાવના છે.