ગઇકાલે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી એક જ દિવસે થાય તેવી એક અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ મહત્વના સમાચાર
મતગણતરી એક જ દિવસે કરવા માટે SCમાં અરજી
આજે SCમાં હાથ ધરાશે મહત્વપૂર્ણ સુનાવણી
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, ગઇકાલે યોજાયેલી રાજ્યની 6 મહાનગરપાલિકાનું પરિણામ આવતીકાલે જાહેર થવાનું છે ત્યારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે, મતગણતરી એક જ દિવસે કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટમાં આજે હાથ ધરવામાં આવશે સુનાવણી
આ અરજી અંગેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં આજે હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પહેલાં રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામ જાહેર કરવાની જાહેરાત કરાઈ છે.
ગુજરાત હાઇકોર્ટે ફગાવી હતી અરજી
આ નિર્ણય સામે થયેલી અરજી પર સુનાવણી પૂરી થતાં ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે એક જ દિવસે મતગણતરી કરવાની અરજી ફગાવી દીધી છે. ત્યારે હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.
ગુજરાતની 6 મહાનગરપાલિકા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મનપાની 575 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. સરેરાશ 41.75 ટકા મતદાન થયું છે. અમદાવાદમાં સૌથી ઓછું 38.73% મતદાન અને જામનગરમાં સૌથી વધુ 49.64% મતદાન નોંધાયું છે. તો રાજકોટ 45.74%, સુરત 42.72%, વડોદરા 42.82%, ભાવનગરમાં 43.66% મતદાન થયું છે. ગત ચૂંટણી કરતા ઓછું મતદાન નોંધાયું છે. સવારથી જ મતદાનની ટકાવારી ધીમી હતી. જોકે બપોર બાદ અચાનક ઉછાળો આવ્યો હતો. શહેરી વિસ્તારમાં લોકો બહાર ન નિકળ્યા. તમામ જગ્યાએ એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું. તમામ 2200 ઉમેદવારોના ભાવી EVM મશીનમાં કેદ થયા છે. 23 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે.