આ વખતે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જોવા જેવી થવાની છે કેમ કે, ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ જ નહીં પરંતુ, AAP, BTP સહિતના પક્ષો ચૂંટણી લડી લેવાના મૂડમાં છે.
ઓવૈસીની ગુજરાતમાં એન્ટ્રી થશે તેવો દાવો
BTPના નેતા છોટુ વસાવાએ કર્યો દાવો
BTP-AIMIM સાથે ચૂંટણી લડશે-છોટુ વસાવા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા BTPના નેતા છોટુ વસાવાનું મોટુ નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે, ગુજરાતમાં બદલાવની જરૂર છે અને એટલે જ ગુજરાતમાં આવનારા સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ સામે એક નવું જ યુદ્ધ અમે છેડવાના છીએ. આ સાથે જ ગુજરાતમાં ઔવેસીની એન્ટ્રી પાક્કી માનવામાં આવી રહી છે.
ગુજરાતના રાજકારણમાં ઓવૈસીની એન્ટ્રી થશે
ગુજરાતના રાજકારણમાં ઓવૈસીની એન્ટ્રી થશે, એવું ભારતીય ટ્રાયબલ પાર્ટી( Bharatiya Tribal Party )ના નેતા અને ધારાસભ્ય છોટુ વસાવાએ નિવેદન આપ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા ઓવૈસી All India Majlis-e-Ittehad-ul-Muslimeen( AIMIM) સાથે ગઠબંધન કરી ચૂંટણીઓ લડીશું, તેમ છોટુ વસાવાએ જણાવ્યું હતું. આગામી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને હરાવવા ના પ્રયાસો કરીશું, તેમ પણ વસાવાએ જણાવ્યું હતું.
શું કહ્યું છોટુ વસાવાએ?
વસાવાએ જણાવ્યું હતું કે, સરકાર જ નક્સલવાદી છે. કોઈ અહીંયા નક્સલવાદી કે આતંકવાદી નથી. ઇકો સેન્સેટિવ ઝોન સામે અદિવાસીઓને બચાવવાની BTPની ભૂમિકા રહેશે. ખેડૂતો મુદ્દે વસાવાના સરકાર પર પ્રહારનો એક મહિનો થયો. કોર્પોરેટ સેકટર સરકારને ગાઈડ કરે છે. સરકાર ઉધોગોના હાથનું રમકડું છે. મીડિયાના કારણે દેશના લોકો ભોગવી રહ્યા છે.
આવનારા સમયમાં યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ચૂંટણી પંચે તૈયારી આરંભી દીધી છે. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 6 મહાનગર પાલીકા અને 51 નગરપાલિકાની આવનારા સમયમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ત્યારે 5મી જાન્યુઆરીએ મતદાર યાદીની પ્રાથમિક યાદી પ્રસિદ્ધ કરાશે. અને આખરી મતદાર યાદી જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.