ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા પહેલાં સંગઠનમાં જૂના જોગીઓને બદલે યુવા નેતૃત્વને પસંદ કરાયું હતું.
ક્ષમાં નવું લોહી લાવીને તેને વધુ તાજગીસભર બનાવવાના પાટીલભાઉનો નવતર અભિગમ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આગળ વધ્યો છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ તરફથી હજુ એક પણ ઉમેદવારો જાહેર થયા નથી, પરંતુ જે પ્રકારે સિનિયર કોર્પોરેટરોની સમૂળગી બાદબાકી કરવાની જાહેરાત પ્રદેશ પ્રમુખે કરી છે, તેનાથી યુવા દાવેદારો તો નવી દિશા મળવાથી ભારે ઉત્સાહિત થયા છે, પરંતુ સિનિયર કોર્પોરેટરોમાં નારાજગી ફેલાઈ હતી. જોકે હવે 'પાર્ટીના ઉમેદવારને ખભે બેસાડીને વોર્ડમાં ફેરવીશું' તેવું આ સિનિયરનું કહેવું છે.
દાયકાઓ સુધી ભાજપના ગઢ ગણાતા ખાડિયા વોર્ડની વાત કરીએ તો આ વોર્ડમાં મયૂર દવે, કૃષ્ણવદન બ્રહ્મભટ્ટનું વર્ચસ્વ રહ્યું છે. અગાઉ ભૂષણ ભટ્ટ પણ સતત ચૂંટાતા હતા, પરંતુ તેમણે ધારાસભ્યની ચૂંટણી લડવાનું પસંદ કર્યું હતું. મહિલાની બે બેઠક પૈકી બીજી સ્ત્રી સામાન્ય બેઠક પરથી ભાવના નાયક પણ છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાતાં આવ્યાં છે.
ભૂષણ ભટ્ટે તો પોતે ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવી છે. તેમણે તો તેમના પુત્ર માટે પણ ટિકિટ માગી છે. જોકે સી. આર. પાટીલના ટિકિટ માટેના નવા માપદંડથી આ તમામ સિનિયર કોર્પોરેટરોને ઘરે બેસવું પડશે. ભૂષણ ભટ્ટના પુત્રને પણ ટિકિટ નહીં મળે તેમ લાગે છે.
જોકે પહેલાં તો આ સિનિયર કોર્પોરેટર પૈકીના અમુક ટિકિટના નવા માપદંડથી નારાજ થયા હતા. મયૂર દવેએ નવા કોર્પોરેટરને અધિકારીઓ ગાંઠશે નહીં. તેમણે બીપીએમસી એક્ટનો અભ્યાસ કરવો પડશે, નહીં તો પાંચ વર્ષ ક્યાં નીકળી જશે તેની ખબર નહીં પડે તેમ મીડિયા સમક્ષ કહેતા સિનિયર કોર્પોરેટરોની નારાજગીથી પક્ષમાં બળવો થશે કે શું તેવી મ્યુનિ. વર્તુળોમાં ચર્ચા ઊઠી હતી.
જોકે ભાજપનાં આંતરિક વર્તુળો કહે છે, પક્ષની ઓળખ જ તમામ નાના કે મોટા કોર્પોરેટરની હોઈ કોઈ પણ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતા નથી. અગાઉ ઇમરાન ખેડાવાલાએ કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતાં જેમ બળવો પોકારી જમાલપુરથી અપક્ષ તરીકે ચૂંટણી લડીને જીત મેળવી હતી તેમ ભાજપના મામલે થઈ શકે તેમ નથી કે કોઈ 'આપ' જેવા પક્ષમાં જોડાઈને પણ જીતવાની ક્ષમતા ધરાવતા નથી.
દરમિયાન, મયૂર દવેને જો પક્ષ ટિકિટ નહીં આપે તો શું તેઓ અપક્ષ તરીકે ચૂંટણી જંગમાં ઊતરશે કે 'આપ' જેવા અન્ય પક્ષમાં જોડાઈને ટિકિટ હાંસલ કરશે તેવો સીધો સવાલ કરતાં તેઓની નારાજગીના સૂર શાંત પડ્યા હોય તેમ તેમના ઉત્તર પરથી લાગે છે. મયૂર દવે કહે છે, ''ખાડિયામાંથી પાર્ટી જેને ઉમેદવાર બનાવશે, તેને જીતાડીશું. ટિકિટ માટેના માપદંડથી યુવાનોને તક મળશે તો તેમાં ખોટું શું છે? તેમને જીતાડવા માટે ખભે બેસાડીને વોર્ડમાં ફેરવીશું.''
જ્યારે ખાડિયાના અન્ય સિનિયર કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ ઉર્ફે કોકાભાઈ કહે છે, ''પાર્ટીમાં બળવો કરવાનું તો હું સ્વપ્નમાં પણ વિચારી શકતો નથી. મેં પાર્ટીને પચીસ વર્ષ આપ્યાં છે એટલે પાર્ટી સંગઠનમાં કે અન્ય કોઈ પણ રીતે મને સેવાની તક આપે તે હવે પાર્ટીએ જોવાનું છે.''
ઉપરાંત શહેરના ભૂતપૂર્વ મેયર અને વાસણા વોર્ડના સિનિયર કોર્પોરેટર અમિત શાહનો સંપર્ક થઈ શકતો નથી, પરંતુ તેમના નિકટનાં વર્તુળો કહે છે તેઓ પાર્ટીને વોર્ડમાં જીતાડવા માટે પૂરા જોશથી લાગી જશે.