ગુજરાતમાં હાલ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પ્રદેશ કોંગ્રસમાં ફરી મોટા બદલાવના એંધાણ દેખાઇ રહ્યાં છે. સૂત્રોને મળતી માહિતી મુજબ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા બદલવાને લઇને અટકળો તેજ બની રહી છે. એક મળતા અહેવાલ મુજબ અમિત ચાવડા અને પરેશ ધાનાણીને બદલવામાં આવે તેવી સંભાવના છે.
પ્રદેશ કોંગ્રેસ માળખાને લઇ સૌથી મોટા સમાચાર
અમિત ચાવડા અને પરેશ ધાનાણીને બદલાશેઃ સૂત્ર
બંને નેતાઓ વચ્ચે સમન્વયનો અભાવ હોવાનું હાઇકમાન્ડના ધ્યાને આવ્યું
રાજ્યમાં હાલ જ્યાં ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને એડીચોટીનું જોર લગાવી રહી છે ત્યારે બીજી તરફ મુખ્ય વિપક્ષ કોંગ્રેસમાં ફરી ભૂકંપ જોવા મળી રહ્યો છે. જેમાં પ્રદેશ કોંગ્રેસમાં મોટા બદલવાના એંધાણ જોવા મળી રહ્યાં છે. જેમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાને બદલાવામાં આવે તેવી સૂત્રોને માહિતી મળી રહી છે.
સૂત્રોને મળતી માહિતી મુજબ અમિત ચાવડા અને પરેશ ધાનાણીને બદલવા મુદ્દે કોંગ્રેસ હાઇકમાન્ડ બંને નેતાઓ મુદ્દે ચર્ચા કરશે. હાલ હાઇ કમાન્ડે બંને નેતાઓ વચ્ચે સમન્વયનો અભાવ હોવાનું ધ્યાનમાં લીધુ હતું. જેમાં સંગઠન અને ચૂંટાયેલા નેતાઓ વચ્ચે પણ સંવાદનો અભાવ હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ હાઇકમાન્ડે અગાઉ અનેક ધારાસભ્યો અને પ્રદેશ સંગઠન સામે નારાજગી વ્યક્ત કરી હતી. સંગઠન પર કામગીરીમાં અવરોધના ધારાસભ્યોએ આક્ષેપ લગાવ્યા હતા. જો કે સૂત્રને મળતી જાણકારી મુજબ પ્રદેશ અધ્યક્ષના નામ માટે 3 નેતાઓના નામની પેનલ બનાવામાં આવી છે.
ગુજરાતમાં હાલ યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો જોવા મળ્યો હતો. જેને લઇને હાઇકમાન્ડે નારાજગી દર્શાવી હતી. રાજ્યના પ્રભારી રાજીવ સાતવ હાઇ કમાન્ડને રિપોર્ટ સબમીટ કરશે. જો કે તે પહેલા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ હારની જવાબદારી સ્વીકારતા રાજીનામાં પક્ષને મોકલી આપ્યાં છે. જ્યારે બીજી તરફ રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઇને ભણકારા વાગી રહ્યાં છે, કોંગ્રેસમાં ફરી ડખો જોવા મળી રહ્યો છે.
જ્યારે સૂત્રોને મળતી જાણકારી મુજબ પેટાચૂંટણીમાં કારમા પરાજય બાદ રાજ્યમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા બદલવાની ચર્ચાઓ તેજ થઇ છે. જેમાં પ્રદેશ પ્રમુખ તરીકે અર્જુન મોઢવાડિયાનું નામ ચર્ચામાં જોવા મળી રહ્યું છે.