છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં દારૂબંધી મુદ્દે ઘમાસાણ મચી ગયુ છે. તેમાંય ગુજરાતના CM વિજય રૂપાણી અને રાજસ્થાનના CM અશોક ગેહલોત આ મામલે આમને સામને આવી ગયા છે. CM રૂપાણીની ટીપ્પણી બાદ અશોક ગેહલોતે પડકાર ફેંક્યો છે કે, જો ગુજરાતમાં દારૂ ન મળ્યો તો હું રાજનીતિ છોડી દઈશ અને જો દારૂ મળ્યો તો વિજય રૂપાણીએ રાજનીતિ છોડી દેવી પડશે.
ગુજરાત રાજસ્થાન CM આમને સામને
અશોક ગેહલોતે કહ્યુ હતુ ઘેરઘેર મળે છે દારૂ
શંકરસિંહ સહિતના કોંગી નેતા કરી રહ્યા છે સમર્થન
મુદ્દાએ ત્યારથી તુલ પકડી હતી જ્યારે અશોક ગેહલોતે ગુજરાતમાં દારૂ બંધી મુદ્દે ટીપ્પણી કરી હતી. અશોક ગેહલોતે કહ્યુ હતુ કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઘેર ઘેર દારૂ પીવાય છે. અને મળે છે. ત્યારે ગુજરાતની ભાજપ સરકાર બચાવમાં મેદાને પડી હતી અને CM વિજય રૂપાણીએ આ મુદ્દે રાજસ્થાનમાં દારૂ બંધી કરવા અંગે પડકાર ફેંક્યો હતો. સામે પક્ષે અશોક ગેહલોતે પણ સરકારને ચુનોતી આપી છે.
શું કહેવું છે રાજસ્થાનના CM ગેહલોતનું
ગુજરાતના CM રૂપાણી જો સાબિત કરી દે કે ગુજરાતમાં દારૂ નથી મળતો તો હું રાજનીતિ છોડી દઈશ અને જો ત્યાં દારૂ મળવાની વાત પુરવાર થઈ તો રૂપાણી પણ રાજકારણ છોડી દેવુ જોઈએ. ગહલોતે કહ્યુ કે, ગુજરાતમાં આઝાદી બાદથી દારૂબંધી છે પરંતુ કોઈને પણ પૂછી લો ત્યાં સરળતાથી દારૂ મળી જાય છે, આ વાત ગુજરાતના લોકો જાણે છે, તે વ્યક્તિ દારૂ પીતી હોય કે ન પીતી હોય.
શું કહ્યુ હતુ અશોક ગેહલોતે
એક બાજુ ગુજરાતમાં પેટાચૂંટણી આવી રહી છે ત્યારે રાજસ્થાનના CM અશોક ગેહલોતે કાંકડો ચાંપવાનું કામ કર્યુ છે. કોંગ્રેસને ગુજરાત સરકાર સામે લડવાનો મુદ્દો આપી દીધો છે. દારૂબંધી પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે, વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું. તેનાં પર એકવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો અને પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો.
આઝાદી બાદથી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂની ખપત સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે. અશોક ગેહલોત ઉપર હાલ તો માછલા ધોવાઈ રહ્યા છે. ખુદ ગુજરાતના CM તેમની સામે મેદાને ઉતરી આવ્યા હતા પણ તબ ક્યાં જબ ચીડિયા ચુગ ગઈ ખેત. કોંગ્રેસ હવે મરણિયુ થઈને આ મુદ્દો પોતાના હાથમાંથી જવા દેવા તૈયાર નથી.
શું કહ્યુ CM રૂપાણીએ
રાજસ્થાન CMને એક માત્ર દારૂબંધીનો મુદ્દો જ જણાયો? ગુજરાતમાં એ સિવાયના ઘણાય મુદ્દા છે. તેમાંય પૂજ્ય બાપૂની ભૂમિ અને ગુજરાતની અસ્મિતાને અશોક ગેહલોતના નિવેદનથી ઠેસ પહોંચી છે. ગુજરાતમાં વિકાસની ઘણી સારી બાજુ ઓ હતી જે રાજસ્થાનના CMને ના દેખાયો એ નવાઈની વાત છે. CM રૂપાણીએ પ્રતિનિવેદન તો આપી દીધુ પણ તેમનું બોલેલું કોંગ્રેસે હાલતો સાવ પોકળ સાબિત કર્યુ છે કારણ કે કોંગ્રેસે એક પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં પકડાયેલા દારૂ ના આંકડા જાહેર કર્યા છે. જેને પગલે સરકારની પોલ ખુલી ગઈ છે.
શું કહ્યું શંકરસિંહ વાઘેલાએ
ગુજરાતમાં ખુદ CMના અને ગર્વનરના બંગલા પાછળ દારૂ ગાળવાની ભઠ્ઠી ઓ ધમધમે છે એવામાં સામાન્ય વિસ્તારનું શું કહેવું. ગુજરાતમાં ઘેર ઘેર દારૂની પોટલી મળી આવશે. દારૂબંધી ખાલી કાગળ ઉપર જ છે. સરકાર દારૂબંધીને નામે જનતાને છેતરી રહી છે. ગુજરાતમાં દર કિલોમીટરે તમને દારૂ મળી રહેશે. જો દારૂબંધી છે તો તેનું કડક પાલન કરો પણ અહીંતો બીજા નિયમો માટે કડક પહેરા છે અને દારૂ મામલે રેલમછેલ છે.
પ્રદિપસિંહ જાડેજાએ શું આપ્યુ નિવેદન
પ્રદિપસિંહ જાડેજાએ ગેહલોતના નિવેદન ઉપર ટીપ્પણી કરી છે કે રાજસ્થાનના CM દારૂ પીને ગુજરાતમાં દારૂબંધી મુદ્દે ટીપ્પણી કરતી વખતે દારૂ પીધો હશે. તેમણે દારૂ પીને આ મુદ્દે નિવેદન આપ્યુ છે એટલે જ તેમાં અભ્યાસનો અભાવ દેખાય છે.