2022માં પ્રધાનમંત્રીના હોમ ટાઉનમાં ફરી વિજય નિશ્ચિત છે
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું. રૂપિયા 632 કરોડના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવશે. ખાતમુહૂર્ત વેળાએ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમેણે ગુજરાતની અગામી ચુંટણીમાં ભાજપના પ્રચંડ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વિદેશોમાં પણ દેશનો ખેલાડી ભાગ લઈ શકે તે માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું
વધુમાં VTV ન્યૂઝ સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યુ હતું કે ભાજપના રાજમાં યુવાનોને રમત-ગમત ક્ષેત્રે જબરું પ્રોત્સાહન મળી રહ્યું છે. એટલું જ નહીં ખેલો ઇન્ડિયા, ફીટ ઇન્ડિયા મુવમેન્ટથી લોકોમાં રમત-ગમત અંગે જાગૃતિ આવી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આજે પણ ગુજરાત નવી પહેલ તરફ રમતગમત ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. મોદી સરકાર દ્વારા દેશના ખેલાડીઓ રમત-ગમત ક્ષેત્રે આગળ વધે તે માટે ખેલાડીઓને રહેવા-જમવા અને ખીચા ખર્ચના પણ રૂપિયા આપવા સુધીની વ્યવસ્થાની દિશામાં કાર્ય કર્યું છે. આ ઉપરાંત વિદેશોમાં પણ દેશનો ખેલાડી ભાગ લઈ શકે તે માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અને ઇન્ફ્રાસ્ટકચર ઊભું કરવા શાનદાર કાર્યવાહી કરી છે. જેના ફળ સ્વરૂપે આજનો યુવાન રમત-ગમત ક્ષેત્રે આકર્ષાયો છે અને ઓલમ્પિક, પેરાઓલમ્પિક, થૉમશ કપમાં અનેરી સિદ્ધિ હાંસલ કરી મેડલ મેળવ્યા છે.
વિધાનસભાની ચુંટણીમાં ભાજપનો ફરી વિજય નિશ્ચિત છે : અનુરાગ ઠાકુર
મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થવાના અવસર અંગે અનુરાગ ઠાકુરે જણાવ્યુ હતું કે, દેશની જનતા મોદી સરકારની સાથે છે. દેશમાં કોરોનાની વિપત્ત વેળાએ 192 કરોડ વેક્સિન ડોઝ અને 80 કરોડ લોકોને મફતમાં અનાજ સહિતની નરેન્દ્ર મોદી સરકારની કામગીરી ઊડીને આંખે વળગે એવી છે. જે કામગીરીના દેશ-દુનિયામાં મુક્ત મને વખાણ થઈ રહ્યા છે અને ગરીબોના કલ્યાણ માટે સમર્પણ ભાવે સરકારે લોકોની જે સેવા કરી છે એ મોદી સરકારના સુશાસનની સાચી ઓળખ છે. જેને લીધે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હોમ ટાઉન ગુજરાતમાં આગામી વિધાનસભાની ચુંટણીમાં ભાજપનો ફરી વિજય નિશ્ચિત છે તેવો અનુરાગ ઠાકુરે દાવો કર્યો હતો.