રાજ્યમાં MBBS ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આજરોજ મુખ્યમંત્રી વિજય રુપાણીની પત્રકાર પરિષદમાં ઇન્ટર્ન ડોકટરોની હડતાળ મુદ્દે સવાલ પુછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. આ અંગે નીતિનભાઇને પૂછો....તેમ કહી જવાબ આપ્યો નહોતો.
CM વિજય રૂપાણીએ હડતાળ મુદ્દે જવાબ આપવાનું ટાળ્યું
ઈન્ટર્ન તબીબો સ્ટાઈપેન્ડ વધારવાની કરી રહ્યા છે માગ
હાલ રાજ્યમાં ઇન્ટર્ન ડોકટરોની હડતાળ ચાલી રહી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ઇન્ટર્ન તબીબોની હડતાળ મુદ્દે જવાબ આપવાનું ટાળ્યું હતું. સીએમ રુપાણીએ ઇન્ટર્ન ડોકટરોના સ્ટાઇપેન્ડ મુદ્દે નીતિન પટેલને પૂછવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય રાજ્યભરમાં હાલ ઇન્ટર્ન ડોકટરોની હડતાલ યથાવત જોવા મળી રહી છે. ઇન્ટર્ન તબીબોનો હડતાળનો આજે ત્રીજો દિવસ છે. સ્ટાઇપેન્ડ વધારાની માગ સાથે ઇન્ટર્ન તબીબ અડગ છે. ત્યારે આજરોજ ઇન્ટર્ન તબીબો બ્લડ ડોનેટ કરી વિરોધ નોંધાવશે.
આ અગાઉ રાજ્ય સરકાર દ્વારા ઇન્ટર્ન તબીબોની માગ ફગાવી દેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રાલય સંભાળતા નીતિન પટેલે હડતાળી ડોકટરોને કહ્યું હતું કે હડતાળ સમેટી લો નહીં તો ગેરહાજરી ગણાશે.
ગુજરાતના MBBS ઇન્ટર્ન ડોકટરોએ જણાવ્યું કે અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં સ્ટાઇપેન્ડ ઓછું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. જેને લઇને નીતિન પટેલે જણાવ્યું હતું કે હાલ 12500 રૂપિયા સ્ટાઇપેન્ડ ગુજરાત સરકાર આપી રહી છે. ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે ઇન્ટર્ન ડોકટરોની હડતાળને અયોગ્ય ગણાવી હતી.
ગુજરાતમાં ઈન્ટર્ન તબીબોએ 14મી ડિસેમ્બરના સવારના 8 વાગ્યાથી અચોક્કસ મુદ્તની હડતાળ પર ઊતરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની શરૂઆત કરી દીધી હતી.
વડોદરામાં સતત ત્રીજા દિવસે ઇન્ટર્ન તબીબોની હડતાળ
વડોદરામાં સતત ત્રીજા દિવસે ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબોના દેખાવો યથાવત છે. સરકારપાસે સ્ટાઇપેન્ડ વધારવાની તબીબોની માગ છે. સરકાર માંગ નહી સ્વીકારે તો આંદોલન વધુ ઉગ્ર બનશે. જો કે હવે જુનિયર ડોકટર એસોસોસિયેશન અને યુજી મેડિકલ સ્ટૂડન્ટ પણ હડતાળમાં જોડાશે.