ટોલ ટેક્સ, કોમર્શીયલ ગેસ, દૂધ, CNG, ખાતરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે
મોંઘવારી પહોંચી આસમાને
જનતાને મોંઘવારીના ચાબખા
ચારેય કોરથી જનતાના ખિસ્સા થશે ખાલી
સરકાર દ્વારા છેલ્લા 10 દિવસમાં 9 વખત પેટ્રોલ - ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. તો બીજી તરફ કોમર્શીયલ ગેસનો ભાવ 2253 રૂપીયાએ પહોંચી ગયો હોવાથી વિવિધ ભાગો ચીજવસ્તુઓની કિંમતમાં વધારો થયો છે.
5 વસ્તુમાં ભાવ વધારો
આજે અમૂલ દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયા વધારવામાં આવ્યા છે. તો બરોડા ડેરીએ પણ છાશનો ભાવ વધારી દીધો છે. ગેસના ભાવમાં એક સાથે 250 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો છે. તો અદાણી ગ્રુપે CNGમાં 5 રૂપિયાનો વધારો કરી દીધો છે. જેથી નવો ભાવ 79.59 રૂપિયાએ પહોંચી ગયો છે. જનતાને ચારે તરફથી મોઁઘવારીના ચાબખા મારવામાં આવી રહ્યા હોય તેમ ટોલ નાકા પરનો ટેક્સ પણ વધારી દેવામાં આવ્યો છે. જેમાં બસ-ટ્રકમાં રૂપિયા 30, ઓવર સાઈઝ્ડ વ્હીકલમાં રૂપિયા 90, મીની બસમમાં રૂપિયા 20, તથા કાર-જીપ-વાન જેવા વાહનોમાં રૂપિયા 10નો વધારો કરવામાં આવ્યો છે. ચારે તરફથી મોંઘવારીના મારથી હવે જનતા લાચારીની ભૂમિકામાં આવી ગઈ છે. આસમાને પહોંચેલી મોંઘવારીથી હવે સામાન્ય માણસને પરિવારનુ ગુજરાન ચલાવવુ વધારે મુશ્કેલ બનશે.
કેવી રીતે મોંઘવારી આવશે કાબૂમાં
મોંઘવારીનો માર છે. પેટ્રોલ 100 રૂપિયાને પાર છે તો જીવનજરૂરિયાત ચીજવસ્તુઓના ભાવથી સૌકોઈ લાચાર છે.એક બેરોજગારીથી તો બીજી તરફ મોંઘવારી લોકોનું દેવાળું ફૂંકી રહી છે.શાકભાજીના ભાવ હોય, તેલના ભાવ હોય કે પછી હોય રોજીંદી ચીજવસ્તુઓની ખરીદીના ભાવ, તમામ ચીજવસ્તુઓમાં મોંઘવારીનો માર પડી રહ્યો છે. ટ્રાન્સપોર્ટેશન મોંઘુ બનતા ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે. લોકોના ખિસ્સા પણ ખાલી થઈ રહ્યા છે.મોંઘવારીને કાબૂમાં કરવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે પરંતુ પ્રયાસો નિરર્થક સાબિત થઈ રહ્યા છે.ત્યારે સવાલ એ છે કે જીવન જરૂરી ચીજવસ્તુઓ કેમ મોંઘી થઈ રહી છે?. મોંઘવારીને કાબૂમાં કેવી રીતે કરી શકાય?. પેટ્રોલ ડીઝલના ભાવ પર અંકુશ કેવી રીતે લાવી શકાય?.શું સરકાર પાસે કોઈ નક્કર ઉપાય અને વિકલ્પ છે ખરા?
ખેડૂતોની માઠી બેઠી, DAPના ખાતરમાં 150 રૂપિયાનો વધારો, NPK ખાતરમાં 285 રૂપિયાનો વધારો
વીજકાપ, સિંચાઈ માટે પાણી કાપ અને હવે બિયારણ બાદ ખાતરના ભાવમાં વધારાનો માર.એકબાદ એક ખેડૂતોને ખેતીમાં ઝટકા સાથે ફટકા પડી રહ્યા છે.ભાવ વધારાને કારણે ખેડૂતોની ખેતી અને ખેતીમાં થતી ઉપજ બન્નેમાં નુકસાની આવી રહી છે.કેટલીક ખેતીમાં ખર્ચ પરવડતો ના હોવાથી, ખેડૂતોને ઉત્પાદન અને ઉત્પાદકતા બન્નેમાં નુકસાની વેઠવાનો વારો આવે છે.ખેડૂતોની ખેતીમાં વપરાતા DAP અને NPK ખાતરના ભાવમાં થયેલા વધારાથી આક્રોશ છે.તો બીજી તરફ સરકાર ભાવ વધારા પાછળ રશિયા-યુક્રેનના યુદ્ધનું કારણ આપી રહી છે.હવે સવાલ એ છે કે ખાતરના ભાવ વધે તો ખેડૂતો સમૃદ્ધી તરફ કેવી રીતે આગળ વધે?.ખેતીમાં ખેડૂતોને કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.?