ગુજરાતમાં દારૂબંધીને મામલે અશોક ગેહલોતના નિવેદન બાદ દગંલ ફાટી નીકળ્યુ છે. ભાજપ કોંગ્રેસ આ મુદ્દે આમને સામને આવી ગયો છે. ભાજપી નેતા દારૂબંધી મામલે ચોખવટો આપવા કે વિકાસની વાતો કરવા કરતા અશોક ગેહલોત વિરૂધ્ધ ટીપ્પણી કરતા જોવા મળી રહ્યા છે હવે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અશોક ગેહલોતે દારૂ પીને નિવેદન આપ્યુ હોવાનું નિવેદન આપતા મામલાએ ઔર તુલ પકડી છે.
ગુજરાતમાં ઘેરઘેર દારૂ મળે છેઃ અશોક ગેહલોત
બાપૂના ગુજરાતનું આ અપમાન છેઃ CM રૂપાણી
CMના બંગાલાની પાછળ જ છે દારૂ ગાળવાની ભઠ્ઠીઃ શંકરસિંહ વાઘેલા
જ્યારથી અશોક ગેહલોતે રાજસ્થાનમાં દારૂબંધીને મામલે ગુજરાતનું ઉદાહરણ ટાંકીને ગુજરાતમાં ઘેરઘેર દારૂ પિવાતો હોવાની વાત કરી છે ત્યારથી ગુજરાત સરકારના આગેવાનો અને નેતાઓ એક પછી એક કોમેન્ટ કરી રહ્યા છે. સામે પક્ષે આવનારી પેટા ચૂંટણીમાં કોંગ્રેસને તો જાણે મુદ્દો મળી ગયો હોય તેવો ઘાટ રચાયો છે. કોંગ્રેસ હવે પેટાચૂંટણીમાં પણ દારૂનો મુદ્દે જ ભાજપને પછાડવાની તૈયારીઓ કરી રહી છે પરંતુ સામે પક્ષે ભાજપી નેતાઓ પણ મેદાને ઉતરીને કોંગ્રેસને પછાડવા કટીબધ્ધ છે. જો કે દારૂબંધીના મુદ્દે સરકારને વિપક્ષ ઘેરી શકે તેમ છે.
પ્રદિપસિંહ જાડેજાએ શું આપ્યુ નિવેદન
પ્રદિપસિંહ જાડેજાએ ગેહલોતના નિવેદન ઉપર ટીપ્પણી કરી છે કે રાજસ્થાનના CM દારૂ પીને ગુજરાતમાં દારૂબંધી મુદ્દે ટીપ્પણી કરતી વખતે દારૂ પીધો હશે. તેમણે દારૂ પીને આ મુદ્દે નિવેદન આપ્યુ છે એટલે જ તેમાં અભ્યાસનો અભાવ દેખાય છે.
શું કહ્યુ અશોક ગેહલોતે
એક બાજુ ગુજરાતમાં પેટાચૂંટણી આવી રહી છે ત્યારે રાજસ્થાનના CM અશોક ગેહલોતે કાંકડો ચાંપવાનું કામ કર્યુ છે. કોંગ્રેસને ગુજરાત સરકાર સામે લડવાનો મુદ્દો આપી દીધો છે. દારૂબંધી પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે, વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું. તેનાં પર એકવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો અને પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો.
આઝાદી બાદથી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂની ખપત સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે.અશોક ગેહલોત ઉપર હાલ તો માછલા ધોવાઈ રહ્યા છે. ખુદ ગુજરાતના CM તેમની સામે મેદાને ઉતરી આવ્યા હતા પણ તબ ક્યાં જબ ચીડિયા ચુગ ગઈ ખેત. કોંગ્રેસ હવે મરણિયુ થઈને આ મુદ્દો પોતાના હાથમાંથી જવા દેવા તૈયાર નથી.
શું કહ્યુ CM રૂપાણીએ
રાજસ્થાન CMને એક માત્ર દારૂબંધીનો મુદ્દો જ જણાયો? ગુજરાતમાં એ સિવાયના ઘણાય મુદ્દા છે. તેમાંય પૂજ્ય બાપૂની ભૂમિ અને ગુજરાતની અસ્મિતાને અશોક ગેહલોતના નિવેદનથી ઠેસ પહોંચી છે. ગુજરાતમાં વિકાસની ઘણી સારી બાજુ ઓ હતી જે રાજસ્થાનના CMને ના દેખાયો એ નવાઈની વાત છે. CM રૂપાણીએ પ્રતિનિવેદન તો આપી દીધુ પણ તેમનું બોલેલું કોંગ્રેસે હાલતો સાવ પોકળ સાબિત કર્યુ છે કારણ કે કોંગ્રેસે એક પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં પકડાયેલા દારૂ ના આંકડા જાહેર કર્યા છે. જેને પગલે સરકારની પોલ ખુલી ગઈ છે.
શું કહ્યું શંકરસિંહ વાઘેલાએ
ગુજરાતમાં ખુદ CMના અને ગર્વનરના બંગલા પાછળ દારૂ ગાળવાની ભઠ્ઠી ઓ ધમધમે છે એવામાં સામાન્ય વિસ્તારનું શું કહેવું. ગુજરાતમાં ઘેર ઘેર દારૂની પોટલી મળી આવશે. દારૂબંધી ખાલી કાગળ ઉપર જ છે. સરકાર દારૂબંધીને નામે જનતાને છેતરી રહી છે. ગુજરાતમાં દર કિલોમીટરે તમને દારૂ મળી રહેશે. જો દારૂબંધી છે તો તેનું કડક પાલન કરો પણ અહીંતો બીજા નિયમો માટે કડક પહેરા છે અને દારૂ મામલે રેલમછેલ છે.