ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં ફરી કોરોનાનો પગપેસારો થયો છે. હાઇકોર્ટના ત્રણ જ્જ કોરોના પોઝિટિવ આવ્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
ગુજરાત હાઇકોર્ટમાં 3 જજ કોરોનાની ઝપેટમાં
23 નવે.થી ફિઝિકલ કોર્ટ શરૂ થવા પર અસમંજસ
કોર્ટ શરૂ થતા પહેલા તમામ સ્ટાફના કોરોના ટેસ્ટ થશે
રાજયમાં કોરોનાનું ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે. ગુજરાત હાઇકોર્ટમાં ફરી કોરોનાનો પગપેસારો થયો છે. ગુજરાત હાઇકોર્ટમાં 3 જજ કોરોનાની ઝપેટમાં આવ્યાં છે.
હાઇકોર્ટના જે ત્રણ જ્જ કોરોના સંક્રમિત થયા છે તેમાં જસ્ટિસ આર.એમ.સરીન, જસ્ટિસ એ.સી.રાવ, જસ્ટિસ જી.આર.ઉધવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે ફિઝિકલ કોર્ટ શરૂ થવા પર પણ ફરી વિચારણા થઇ રહી છે. અગાઉ પણ હાઇકોર્ટમાં સ્ટાફ સંક્રમિત થયો હતો.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1281 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 91.50 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 54,256 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 6,978,249 પર પહોંચ્યો છે.
કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1274 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,75,362 પર પહોંચ્યો છે. આજે 8 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3823 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલમાં 12457 એક્ટિવ કેસ છે, આ કેસ પૈકીના 83 દર્દીઓ સરકારી ચોપડે વેન્ટિલેટર પર છે જ્યારે 12374 દર્દીઓ સ્ટેબલ છે.
પ્રેમચંદનગર સોસાયટીમાં 40 કેસ
કોરોનાનો ત્રીજો તબક્કો શરુ થયો છે, દિવાળીની મજા જનતાની જ સજા બની છે. દિવાળીના તહેવારોમાં અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. પશ્ચિમ અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
જેમાં બોડકદેવમાં આવેલી પ્રેમચંદનગર સોસાયટીમાં 40 કેસ નોંધાયા છે. પ્રેમચંદનગરમાં કેસ વધતા સોસાયટી ક્વોરન્ટાઇન કરવામાં આવી છે. વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારની અનેક સોસાયટીઓમાં કેસનો વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં હવે જનતાએ સાવચેતી રાખીને શક્ય હોય તો ઘરમાં રહેવા મોનાબેન દેસાઈએ જનતાને અપીલ કરી છે.