ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી હાહાકારનો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવારના ચાર્જ મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે ખાનગી હોસ્પિટલની અરજી પર ઝાટકણી કાઢતાં નારાજગી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે ખાનગી હોસ્પિટલમાં કોરોનાને લઇને સારવાર માટે અધધ ચાર્જ વસુલવામાં આવે છે.
હાઈકોર્ટમાં ખાનગી હોસ્પિટલની અરજીનો મામલો
ખાનગી હોસ્પિટલની અરજી પર હાઈકોર્ટે કાઢી ઝાટકણી
ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારના ચાર્જ મામલે હાઈકોર્ટે ખાનગી હોસ્પિટલોને સરકારી નિયમ મુજબ જ ચાર્જ લેવા આદેશ કર્યો છે. આ અંગે હાઈકોર્ટના જસ્ટિસ પારડીવાલાએ ખાનગી હોસ્પિટલની ઝાટકણી કાઢી હતી.
હાઈકોર્ટે કહ્યું કે ખાનગી હોસ્પિટલો નફાખોરી ન કરે તેની તકેદારી રાખો. હોસ્પિટલોએ માનવતાના ધોરણે પણ કામ કરવું પડશે. કારણ કે ઉપરવાળો બધુ જ જોઈએ રહ્યો છે. ત્યારે આ મામલે ખાનગી હોસ્પિટલના વકીલે કોર્ટમાં કહ્યું કે ચાર્જમાં 10 ટકાનો ઘટાડો કરીશું.
જો કે આ અગાઉ હાઈકોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધો હતો કે રાહતદરે જમીન લેતી ખાનગી હોસ્પિટલો દર્દીઓને સારવાર આપવામાં કેમ ઠાગાઠૈયા કરે છે. સરકારના કહ્યામાં કેમ નથી? આ આદેશ બાદ આજે આરોગ્ય વિભાગે જાહેરનામુ બહાર પાડીને એવો આદેશ કર્યો છે કે, ખાનગી હોસ્પિટલમાં સરકારી દરે જ દર્દીની સારવાર થશે. એટલુ જ નહીં, 20થી વધુ પથારી હોય તેવી ખાનગી હોસ્પિટલ-નર્સિગ હોમ્સમાં કોરોનાના દર્દી માટે 50 ટકા બેડ સરકારી દરે અલાયદા રાખવા પડશે.
AMCએ ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 50 ટકા બૅડ રિઝર્વ રાખવા મામલે ગુજરાત હાઈકોર્ટેમાં જાહેરહિતની અરજી કરી હતી જેને લઇને ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને જાહેરનામુ બહાર પાડવા આદેશ આપ્યો હતો. આ ઉપરાંત કેટલીક અદ્યતન હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે કેમ ન લેવાઈ તેનો ખુલાસો પણ મંગાયો હતો.
ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જેના પર હાઇકોર્ટે સુનાવણી હાથ ધરતાં રાજ્ય સરકારને મહત્વનો આદેશ આપ્યો હતો. જેમાં અમદાવાદ શહેર અને તેના હદની બહાર આસપાસના વિસ્તારોની મલ્ટીસ્પેશ્યાલિટી ખાનગી અને કોર્પોરેટ હોસ્પિટલ્સમાં પણ કૉવિડ 19ના દર્દીઓ માટે 50 ટકા બેડ રિઝર્વ કરવા માટે જાહેરનામું બહાર પાડવાનો ગુજરાત સરકારને આદેશ આપ્યો હતો.