ફાયર સેફ્ટી મામલે વધુ સુનાવણી 28 ઓક્ટોબરે હાથ ધરાશે
અમદાવાદ સહિત રાજકોટ, સુરેન્દ્રનગર તેમજ અન્ય જિલ્લાઓમાં ફાયર સેફ્ટીના અભાવે પ્રશાસન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન શાળાઓને પણ સીલ કરવામાં આવી છે. હોસ્પિટલો પર પણ તવાઈ બોલાવવામાં આવી રહી છે. બીયુ પરમિશન અને ફાયર એનઓસી મામલે અનેક એકમો સીલ કરવામાં આવી રહ્યા છે પણ હજુ એવા કેટલાય એકમો એવા છે કે વગર ફાયર સેફટીએ ધમધમી રહ્યા છે ત્યારે હાઈકોર્ટે મહત્વનો આદેશ આપતા કહ્યું છે કે 8 મનપા, ન.પા વિસ્તારોમાં ફાયર સેફટી એક્ટનું કડક પાલન કરાવો.
રાજ્ય સરકાર પ્રાથમિકતા આધારે કામ કરવુ જોઈએ: હાઇકોર્ટ
રાજ્યમાં ફાયર સેફટીની અમલવારી મામલે હાઈકોર્ટ પહેલાથી જ કડક રૂખ અપનાવી રહી છે. ફાયર એનઓસી મામલે ગુજરાત હાઇકોર્ટની સરકારને ટકોર કરતાં કહ્યું છે કે અનેક શહેરોમાં આગ લાગવાનું જોખમ વધુ છે. સમયસર સરકારે ફાયર સેફટી એકટનું પાલન કરવું જરૂરી છે જેને કારણે રાજ્ય સરકાર પ્રાથમિકતા આધારે કામ કરવુ જોઈએ. 8 મનપા, ન.પા વિસ્તારોમાં ફાયર સેફટી એક્ટનું કડક પાલન કરાવો. ત્યારે હવે ફાયર સેફ્ટી મામલે વધુ સુનાવણી 28 ઓક્ટોબરે હાથ ધરાશે.
હાઈકોર્ટનો આદેશ ફાયર સેફટી હોવી જ જોઈએ
24 સપ્ટેમ્બરે જ રાજ્યમાં ફાયર સેફ્ટી અંગે સુનાવણી દરમિયાન મોટો આદેશ આપતા હાઈકોર્ટ કહ્યું હતુ કે SCના આદેશ બાદ હવે કોઈ અવકાશ નથી, ફાયર સેફ્ટી અને BU પરમિશન વગરના એકમો સામે તાત્કાલિકના ધોરણે પગલાં લેવામાં આવે. વધુમાં હાઈકોર્ટે એ પણ ટાંક્યું હતું કે કાયદાના શાસનમાં લોકોની લાગણીઓને મહત્વ ન આપી શકાય અને નિયમો બધા માટે સમાન હોવા જોઈએ એ પછી કોઈપણ હોય. આ આદેશ ગુજરાત ભરની શાળાઑને પણ લાગે છે. પણ સંચાલકો નફ્ફટ થઈ બેઠા છે. વિદ્યાર્થીઑના જીવન સાથે ચેડાં કરી રહ્યા છે. હાઈકોર્ટના આ મહત્વના આદેશ બાદ ફાયર સેફ્ટી અને BU પરમિશન વગર ચાલતા એકમો સીલ કરવામાં કોઈ જ વાંધો ન ઉઠાવી શકે જે બાદ પહેલા અમદાવાદના ફાયર વિભાગે 214 સ્કૂલોને ક્લોઝર નોટિસો ફટકારી બાદમાં હવે રાજકોટમા 110 ખાનગી શાળાઓ તથા સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમાંથી કેટલીક સ્કૂલોને સીલ પર મારી દેવામાં આવ્યા છે. જેને લઈ હવે સંચાલકોએ વિરોધનો સૂર છેડ્યો છે.