ગુજરાતમાં હાલ કોરોનાકાળ દરમિયા રાજ્ય સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં 200 લોકોને છૂટ આપી છે ત્યારે ગઇકાલે તાપી ખાતે ભાજપના પૂર્વ મંત્રીની પૌત્રીની સગાઇમાં કોરોના ગાઇડલાઇનના લીરેલીરા ઉડેલા જોવા મળ્યાં હતા. જો કે ગુજરાત હાઇકોર્ટે આ ઘટનાને સુઓમોટો તરીકે લીધી અને રાજ્ય સરકારને આ મામલે ફટકાર કરતા જણાવ્યું 6 હજાર લોકો એકઠા થયા ત્યારે તમે શું કરતા હતા.
તાપીમાં કાંતી ગામિતની પૌત્રીની સગાઇમાં પ્રસંગમાં ભીડના મામલાને ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો તરીકે લીધી છે. હાઇકોર્ટે જણાવ્યું કે તાપીમાં એકત્રિત થયેલી ભીડ અમે જોઇ છે.
ગુજરાત હાઇકોર્ટે આ મામલે સરકારને ફટકાર કરતા કહ્યું કે 6 હજાર લોકો એકઠા થયા ત્યારે તમે શું કરતા હતા. હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો છે કે સમારોહમાં આટલી ભીડ ક્યાંથી આવી.
કાંતિ ગામિતે પોતાની ભૂલ સ્વીકારી કહ્યું - મારી ભૂલ થઈ અને માફી માંગું છું
ભાજપના નેતા કાંતિ ગામિતે પોતાની ભૂલ સ્વીકારી હતી અને માફી માંગી હતી. કાંતિ ગામિતે કહ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા તે માટે હું માફી માંગુ છું, હવે હું સાચવીશ. ગામડામાં કોરોનાના કેસ ઓછા છે તેમ સમજીને લોકો આવ્યા હતા. સગાઈ જ કરવાની છે તેમ માનીને અમે કાર્યક્રમ યોજ્યો હતો. થઈ ગયુ એ થઈ ગયું. અમે આમંત્રણ નહોતુ આપ્યું, પરંતુ ગામડામાં લોકો આવી જ રીતે આવી જાય છે. વોટ્સએપના આમંત્રણ પર લોકો આવ્યા હતા. જેને લઇને અમે 1500થી 2000 લોકોનું જમવાનું તૈયાર રાખ્યું હતું.
ભાજપ નેતા કાંતિ ગામીતના પૌત્રીના સગાઇ પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ગરબા રમતા નજરે પડ્યા હતા. કોરોના સંકટ સમયે સામાજિક અંતરના ધજાગરા ઉડયા હતા. કાંતિ ગામીત ભાજપના પૂર્વ ધારાસભ્ય છે. ત્યારે સવાલ એ છે કે લોકો માટે નિયમો, નેતાઓ માટે નિયમો ક્યારે? કાંતિ ગામીતની પૌત્રીની સગાઇમાં હજારો લોકો ઉમટયાં હતા.
કાંતિ ગામિતને પોલીસ સ્ટેશન બોલાવાયાં હતા
તાપીમાં સામાજિક અંતરના ધજાગરા ઉડાડવાના મામલે ભાજપના નેતા કાંતી ગામિતને પોલીસ સ્ટેશન બોલાવાયાં હતા. જેમાં ભાજપના નેતા કાંતી ગામિતે સોનગઢ પોલીસ સ્ટેશનના PIને જવાબ આપ્યાં હતા. આમ હાલ મળતી વિગત અનુસાર સોનગઢ પોલીસ જ્યાં પ્રસંગ યોજાયો હતો તે સ્થળ પર જઇ તપાસ હાથ ધરી છે.