ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો કેસમાં સુનાવણી કરવામાં આવી રહી છે ત્યારે HC એડવોકેટ એસોસિયેશનના વકીલે સરકારે ટેસ્ટિંગ ઘટાડી હોવાનો આરોપ લગાવ્યો છે.
ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો કેસમાં સુનાવણી
HC એડવોકેટ એસોસિયેશનના વકીલે સરકાર સામે ઉઠાવ્યા સવાલો
ટેસ્ટિંગ અને વેક્સિનેશનની સામે ઊભા કર્યા સવાલ
HCમાં કોરોના પર સુઓમોટો અરજી મામલો
આજે ગુજરાત HCમાં કોરોના પર સુઓમોટો અરજી મામલે સુનાવણી કરવામાં આવી રહી છે, ગઈકાલે રાજ્ય સરકાર તથા કેન્દ્રની મોદી સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યું હતું. જેમાં સરકારે કોરોના અંગે કામગીરી તેજ કર્યાનો દાવો કર્યો હતો, જોકે આજે સુનાવણી દરમિયાન હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના વકીલે સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા.
હાઇકોર્ટ વકીલ એસો.ના વકીલ પ્રેસી કેવિનાની રજૂઆત
હાઇકોર્ટ વકીલ એસો.ના વકીલ પ્રેસી કવિનાએ ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે અમદાવાદમાં આવેલી 900 બેડની ધન્વંતરી હોસ્પિટલમાં શૌચાલયની હાલત ખરાબ છે. આ સિવાય સિવિલ અને ધન્વંતરી સહીત હોસ્પિટલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે. ઇન્ફ્રાસ્ટ્રકચરની સાથે સાથે હોસ્પિટલોમાં સ્ટાફ તથા સફાઇ કર્મચારીઓનો પણ અભાવ હોવાનું સામે આવ્યું છે.
નોંધનીય છે એપ્રિલ મહિનાના અંતથી ગુજરાતમાં કોરોના વાયરસની ગતિ ધીમી પડી ગઈ છે અને મે મહિનાની શરૂઆતથી જ કેસ ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે ત્યારે આજે વકીલ પ્રેસી કવિનાએ સરકાર સામે મોટો આરોપ લગાવ્યો હતો. તેમણે હાઇકોર્ટમાં કહ્યું કે રાજ્યમાં RT-PCR ટેસ્ટમાં મોટો ઘટાડો થયો છે. 23 એપ્રિલ બાદ સતત ટેસ્ટમાં ઘટાડો કરાયો છે અને આમ ટેસ્ટ ઘટાડી કેસ ઘટાડો દર્શાવી સારી સ્થિતિ દર્શાવવાનો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.
નોંધનીય છે કે જ્યારે વકીલે ટેસ્ટ ઓછા થયા હોવાની દલીલ કરી ત્યારે કોર્ટે તરત જ સવાલ કર્યો હતો કે શું તમને કોઇ એવી ફરિયાદ મળી છે કે ટેસ્ટ કરાવા ગયા હોય અને ટેસ્ટ ના થયો
હોય? જેના પર વકીલે જવાબ આપ્યો કે હા અમને સતત ફરિયાદો મળી રહી છે.
વેક્સિનની માહિતી સરકાર પાસે પણ નથી : વકીલ
ગુજરાતમાં રસીકરણની પ્રક્રિયા પર પણ તેમણે સવાલ ઊભા કર્યા હતા, વકીલે કહ્યું કે સરકારે અચાનક જ 45 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવાનું બંધ કરી દીધું અને તેની પાછળનું કારણ સમજાતું નથી. સરકાર વેક્સિનેશનને લઇ યોગ્ય માહિતી લોકો સુધી પહોંચાડતી નથી તથા વેક્સિન ક્યારે અને કેવી રીતે મળશે તેની માહિત સરકાર પાસે પણ નથી.