અમદાવાદની રથયાત્રાને માત્ર હવે બે દિવસ જ બાકી રહ્યા છે. શહેરમાં રથયાત્રા નિકળશે કે નહીં તેને લઈને અસમંજસનો અંત આવ્યો છે. અમદાવાદમાં રથયાત્રા પર રોક લગાવવા માટે અરજી કરાઇ હતી. આ અરજી પર હાઇકોર્ટમાં તાત્કાલિક સુનાવણી હાથ ધરાઇ હતી. ત્યારે હવે ગુજરાત હાઇકોર્ટે આ અરજી પર સ્ટે આપ્યો છે.
તાત્કાલિક સુનાવણી મુદ્દે અરજી કરતા સુનાવણી હાથ ધરાઇ
અમદાવાદમાં રથયાત્રા કાઢવા પર હાઇકોર્ટનો સ્ટે
આ વર્ષે અમદાવાદમાં નહીં યોજાય રથયાત્રા
રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાઇ રહ્યા છે. તેવામાં રાજ્યની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં યોજાય છે. અમદાવાદમાં જગન્નાથ મંદિર દ્વારા યોજાનારી 143મી રથયાત્રા યોજવી કે નહીં તે અંગે કોઇ નિર્ણય લેવાયો ન હતો. ત્યારે આ રથયાત્રા પર રોક લગાવતી અરજી પર ગુજરાત હાઇકોર્ટે ઓનલાઇન સુનાવણી હાથ ધરી હતી. જેમાં આ અરજી પર હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે આ નિર્ણય લીધો છે. આ વર્ષે અમદાવાદમાં રથયાત્રા નહીં યોજાય.
રથયાત્રા પર રોક લગાવવા માટે કરાઇ હતી અરજી
અમદાવાદની વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ ભગવાનની 143મી રથયાત્રાને આ વર્ષે પરવાનગી ન મળવી જોઇએ તેવી માંગ કરતી જાહેર હિતની અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. અરજદારે અરજીની તાત્કાલિક સુનાવણીની માગણી કરી હતી. અરજદારની રજૂઆત હતી કે રથયાત્રાની પરવાનગી અપાશે તો અમદાવાદમાં કોરોના વધુ ભયજનક સ્થિતિ ઉભી કરશે. અરજદારે રજૂઆત કરી હતી કે અમદાવાદમાં કોરોના વાઇરસના કેસોનો વિસ્ફોટ થયો છે અને અમદાવાદ સમગ્ર દેશમાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત શહેરો પૈકીનું એક છે. આગામી 23મી જૂન એટલે કે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાની પરવાનગી સરકાર દ્વારા અપાશે તો લાખો શ્રદ્ધાળુઓ માર્ગો પર દર્શન માટે ઉમટી પડશે. આ ઉપરાંત રથયાત્રા ઘણાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી પસાર થવાની છે. આ દરમિયાન સામાજિક અંતર પણ નહીં જળવાય જેથી રથયાત્રા પર રોક લગાવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, શનિવારે જગન્નાથ મંદિર તરફથી રથયાત્રાને લઈને મુખ્ય અતિથિઓને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને પહિન્દ વિધિ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના અતિથિઓને આમંત્રણ અપાયું છે. સાથે જ મંદિરમાં ભક્તો નેત્રોત્સવ, સોનાવેશ દર્શનના લ્હાવો નબી માણી શકે. મંદિરની બહાર બેરિકેટ ધ્વજ પતાકા સાથે રથ તૈયાર કરાયા છે. ઘરે બેસીને ટીવીમાં રથયાત્રા જોવા માટે ભક્તોને મંદિર દ્વારા અપીલ કરાઈ છે.
ભાવનગરની રથયાત્રા પણ યોજાશે નહીં
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે રાજ્યની બીજી સૌથી મોટી ભાવનગરની રથયાત્રા પણ યોજાશે નહીં. આ અંગે રથયાત્રા સમિતિએ મહત્વનો નિર્ણય કર્યો છે. 21મી જુને નેત્રોત્સવ વિધિ, 23 જુને પહીન્દવીધી યોજાશે. પરંતુ આ વિધીમાં સામાજિક અતંર, માસ્ક અને સ્વાસ્થ્યના નિયમો સાથે ઓછા લોકોની હાજરીમાં કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે ઓડિશાની જગન્નાથ પુરીની રથયાત્રા પર રોક લગાવી
આ અગાઉ સુપ્રીમ કોર્ટ દ્વારા કોરોનાના સંકટ વચ્ચે ઓડિશામાં આગામી 23 તારીખ યોજાનારી જગન્નાથજી મંદિરની દેશની સૌથી મોટી રથયાત્રા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને આ રથયાત્રા પર રોક લગાવામાં આવી છે. સુપ્રીમે કહ્યું કે જનહિત અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વર્ષ માટે રથ યાત્રાને મંજુર આપી શકીએ તેમ નથી.