GST મામલે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ થઈ છે. GST અને CGSTમાં રાહત માટે વેપારીઓએ કોર્ટમાં કરેલી અરજીને લઈને ગુજરાત હાઈકોર્ટે અધિકારીઓને ખખડાવ્યા હતા.
GST મામલે HCએ અધિકારીઓને ખખડાવ્યા
"વેપારીઓ સામે લટકતી તલવાર કેમ રાખો છો"
કોર્ટના સવાલો પર અધિકારીઓનું મૌન
હાઈકોર્ટે જણાવ્યું હતું કે, કોરોનામાં લોકોની આર્થિક સ્થિતિ અધિકારીઓએ ધ્યાને લેવી જોઈએ તેની જગ્યાએ વેપારીઓ સામે લટકતી તલવાર કેમ રાખો છો? તો સાથે અધિકારીઓને વેધક સવાલ પણ પૂછ્યો હતો કે, GST ન ભરતા વેપારીઓ પર પાસાનો નિર્ણય કેમ?
કોર્ટે અધિકારીઓને ખખડાવ્યા
ઉલ્લેખનીય છે કે, GST અને CGST કાયદા હેઠળ પાસા ન કરવા અને આ બાબતે કોરોનાની સ્થિતિને ધ્યાને લેતા રાહત આપવા માટેની ગુજરાત હાઈકોર્ટમાં વેપારીઓ દ્વારા અરજી કરવામાં આવી હતી. જેના પગલે હાઈકોર્ટે અધિકારીઓને ખખડાવ્યા હતા. આ સાથે જ અરજીકર્તા 3 વેપારીઓ સામે પગલાં નહીં પણ રાહત આપવા કોર્ટે નિર્દેશ પણ આપ્યા હતા. જો કે, કોર્ટના આ આકરા વલણ સામે અધિકારીઓએ મૌન સેવ્યું હતું.
થોડા દિવસ પહેલા મોડા પડેલા અધિકારીને ફટાકાર્યો હતો દંડ
આપને જણાવી દઇએ કે, GST ડિપાર્ટમેન્ટ દ્વારા વેપારીઓને GSTના કોઇ ભંગ બદલ હાજર થવા માત્ર બે કલાકની નોટિસ આપતા અધિકારીને હાઇકોર્ટે 20 હજારનો દંડ ફટકાર્યો છે. વેપારીએ આ મામલે કોર્ટને જણાવ્યું હતું કે, હાજર થવા માટે માત્ર 2 કલાકની જ મુદ્દત આપવામાં આવી હતી. જો કે, ટૂંકી મુદતમાં હાજર ન રહી શકે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવેલ.
લવ જેહાદના કાયદાને પણ પડકારાયો છે કોર્ટમાં
રાજ્ય સરકારના લવ જેહાદના કાયદાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. દરેક નાગરિકને બંધારણમાં પોતાનો ધર્મ પસંદ કરવાનો અધિકાર છે. ધર્મ પસંદગીની સ્વતંત્રતા પર સરકાર કાયદો લાવી તરાપ મારી શકે નહી તેવી રજૂઆત અરજીમાં કરવામાં આવી હતી. આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઇ છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વનું અવલોકન કર્યુ હતું. અને જણાવ્યુ હતું કે કાયદાનો ખોટી રીતે ઉપયોગ ન થાય તે ધ્યાન રાખવું જરૂરી છે. આ કાયદા અંગે એડવોકેટ જનરલની કોર્ટમાં રજૂઆત કરવામાં આવ્યુ હતું. જેમાં એડવોકેટ જનરલે જણાવ્યુ હતું કે માત્ર લગ્ન કરવાથી ગુનો ન બની શકે. લગ્ન કરી ફોસલાવી ધર્મ પરિવર્તન કરાવનારને ડરવાની જરૂર છે. આ કાયદામાં કોઈ ખોટું થયું નથી. આવા કેસોની તપાસ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ કરતા હોય છે. લવ જેહાદનો કાયદો ગેરબંધારણીય હોવાનો અરજદારે દાવો કર્યો હતો.