ગુજરાત હાઇકોર્ટે એકવાર ફરી રખડતા ઢોરને લઇ તંત્રની ઝાટકણી કાઢતા કહ્યું 'ઢોર પાર્ટી પર હુમલો કરનારા સામે ફરિયાદ નોંધો.'
રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ
'દર વખતે આંસુ સારવાથી કામ નહીં ચાલે': HC
ઢોરની સંખ્યા પ્રમાણે AMCની કાર્યવાહી ધીમી: HC
રખડતા ઢોર મુદ્દે ગુજરાતમાં હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતું. જે દરમ્યાન એકવાર ફરી હાઈકોર્ટે વહીવટી તંત્રને આડે હાથ લીધું હતું. હાઇકોર્ટે ઉધડો લેતા કહ્યું કે, 'માત્ર ફરિયાદો જ થાય છે કે ધરપકડ પણ કરાય છે? રખડતા ઢોરની સંખ્યા પ્રમાણે AMCની કાર્યવાહી ધીમી છે. એક પણ કિસ્સામાં કડકાઈથી કામગીરી કરી હોય તો જણાવો. દર વખતે આંસુ સારવાથી કામ નહીં ચાલે. ઢોર પાર્ટી પર હુમલો કરનારા સામે ફરિયાદ નોંધો.'
તમામ પાલિકાઓને કડક કાર્યવાહી કરવા હાઇકોર્ટનો આદેશ
મહત્વનું છે કે, હાઈકોર્ટે 3 દિવસમાં કામગીરી કરી રખડતાં ઢોર રોડ રસ્તા પરથી દૂર કરવા આદેશ કર્યા હતા તેમ છતાં તંત્રની કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સ્માર્ટ સિટી અમદાવાદના સેટેલાઇટ, પાંજરા પોળ અને નેહરુનગર જેવાં પોશ વિસ્તારમાં હજુ પણ લોકોને રખડતાં ઢોર પરેશાન કરી રહ્યાં છે. જેના કારણે સ્થાનિકોએ તંત્ર પર રોષ ઠાલવ્યો હતો. તંત્ર હજુ પણ રખડતા ઢોરને પકડવામાં ઢીલાશ દાખવી રહ્યું છે. જેના લીધે હાઇકોર્ટે તમામ પાલિકાઓને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. આજથી એક સપ્તાહ સુધી કડક કાર્યવાહી કરવા હાઇકોર્ટે તમામ પાલિકાઓને સૂચન કર્યું છે. તમામ પાલિકા અને મનપાને ઢોર પકડવાની કામગીરી કરવાની હાઇકોર્ટે સૂચના આપી છે.
ત્રણ દિવસમાં AMCએ 540થી વધુ ઢોર પકડ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે રખડતા ઢોરને લઇને તંત્રને કડક કામગીરી કરવા આદેશ આપ્યો છે. આથી તંત્ર દ્વારા છેલ્લા 2-3 દિવસથી રખડતા ઢોરને પકડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે તમને જણાવી દઇએ કે, હાઇકોર્ટના આદેશ બાદ AMCએ 7 ઝોનમાં રાઉન્ડ ધ ક્લોક 21 ટીમ દોડતી કરી હતી. હાઈકોર્ટના આદેશ બાદ ત્રીજા દિવસે 100થી વધુ ઢોર અમદાવાદમાં પકડાયા છે. ત્રણ દિવસમાં AMCએ 540થી વધુ ઢોર પકડ્યા. કુલ 72 લોકો સામે ફરિયાદ પણ દાખલ કરાઇ. આ કાર્યવાહીને લઇને સ્માર્ટ સિટી કંટ્રોલ રૂમની પણ મદદ લેવાઈ હતી. લમ્પી સ્કેન ડિસીઝ સામે 335 પશુનું વેક્સિનેશન કરાયું.
ગઇકાલે મોડી રાત્રે રખડતાં ઢોરના કારણે ઝાયડસ બ્રિજ પર અકસ્માત સર્જાયો
બીજી બાજુ અમદાવાદના ઝાયડસ બ્રિજ પર ગઇકાલે મોડી રાત્રે રખડતાં ઢોરના કારણે એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોને ઇજા પણ પહોંચી છે. હાલમાં આ બન્ને શખ્સો હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે.
રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢી, કહ્યું 'માત્ર ફરિયાદો જ થાય છે કે ધરપકડ પણ કરાય છે?, રખડતા ઢોરની સંખ્યા પ્રમાણે AMCની કાર્યવાહી ધીમી, ઢોર પાર્ટી પર હુમલો કરનારા સામે ફરિયાદ નોંધો'#Gujarat
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 29, 2022
રખડતા ઢોરના ત્રાસને લઇ ગુજરાત હાઇકોર્ટે અપનાવ્યું છે આકરું વલણ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસને લઇ ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. ત્યારે હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રાત દિવસ 24 કલાક AMCની ઢોર પાર્ટી સતત ત્રણ દિવસ ઢોર પકડવાનું કામ કરે તેવો આદેશ આપ્યો છે. ત્યારે બીજી બાજુ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં પોલીસ કમિશનરે જાહેર માર્ગ પર ઘાસચારો વેચતા લોકોને પકડવાનો આદેશ આપ્યો છે.
26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ઝુંબેશ ચલાવવાનો છે આદેશ
વધુમાં તમને જણાવી દઇએ કે, જો કોઈ પીઆઈ ગાયો પકડવાની કામગીરીમાં નિષ્કાળજી રાખશે તો તેની સામે ગંભીર પ્રકારના શિક્ષણાત્મક પગલાં લેવાશે. પ્રસિદ્ધ કરેલા આદેશમાં જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા લોકો સામે 26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ઝુંબેશ ચલાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવાની પણ સૂચના અપાઇ છે. જ્યારે ડીસીપીને સુપરવિઝન કરવા આદેશ અપાયો છે.