ગુજરાતમાં SBIની એક બ્રાન્ચે ખેડૂતના માત્ર 31 પૈસા બાકી હોવાના કારણે NOC ના આપતા ગુજરાત હાઇકોર્ટે બેંકની ઝાટકણી કાઢી નાખી.
ખેડૂતના માત્ર 31 પૈસા રહેતા બેંકે NOC ના આપ્યું
ગુજરાત હાઇકોર્ટે SBI બેંકની ઝાટકણી કાઢી
SBI રાષ્ટ્રીયકૃત બેંક હોવા છતાં હેરાન કરે છે: કોર્ટ
વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી કે જેઓ કરોડોનો ચૂનો લગાવી વિદેશ રફુચક્કર થઇ ગયા છે. એવામાં રાજ્ય (ગુજરાત) માં SBIની એક બ્રાન્ચે એક ખેડૂતને માત્ર 31 પૈસા બાકી રહેતા હોવાથી તેને NOC 'નો ડ્યુઝ સર્ટિફિકેટ' ના આપ્યું. જે મામલે ગુજરાત હાઇકોર્ટે બેંકને ફિટકાર લગાવી છે. કારણ કે ખેડૂતે બેંકમાં માત્ર 31 પૈસા જ આપવાના હતા.
પાક ધિરાણની બાકી રકમ ભરવા છતાં બેંકે ખેડૂતને પ્રમાણપત્ર ના આપ્યું
બેંકે ખેડૂતના માત્ર 31 પૈસા બાકી રહેતા હોવાના કારણે 'નો ડ્યુ સર્ટિફિકેટ' આપવાનો ઇનકાર કર્યો હતો. પાક ધિરાણની બાકી રકમ ભરવા છતાં બેંકે ખેડૂતને પ્રમાણપત્ર ના આપ્યું. તમને જણાવી દઇએ કે, ખેડૂતને જમીન ખરીદવાના કિસ્સામાં એનઓસીની જરૂર હતી.
જમીનના જૂના માલિકે SBI પાસેથી લીધી હતી પાક લોન
આ કેસમાં રાકેશ વર્મા અને મનોજ વર્માએ સંભાજી પશાભાઈ અને તેમના પરિવાર પાસેથી અમદાવાદની હદમાં આવેલા ખોરજ ગામમાં જમીનનો એક ભાગ ખરીદ્યો હતો. પાશાભાઇના પરિવારે SBI પાસેથી પાક લોન મેળવી હતી. જો કે લોન ભરપાઈ થાય તે પહેલાં પાશાભાઈના પરિવારે આ જમીનને વેચી દીધી હતી. જેના કારણે પોતાની બાકી રહેતી રકમને લઈને બેંકે જમીન પર ચાર્જ લગાવ્યો અને આ કારણથી નવા માલિકોના નામ મહેસૂલ રેકોર્ડમાં દાખલ કરી શકાયા નહીં. જ્યાર બાદ ખરીદદારોએ ખેડૂત રાકેશ વર્મા અને મનોજ વર્માને પ્રમાણપત્ર મેળવવા માટે લોનની બાકી રહેતી રકમ ચૂકવવાની ઓફર કરી હતી.
જજે કહ્યું - આ વધુ પડતું છે
બેંક તરફથી કોર્ટને કહેવામાં આવ્યું કે, પાક લોનની રકમ ચૂકવ્યા બાદ ખેડૂત પર 31 પૈસાનું દેવું બાકી હતું. તેની પર જસ્ટિસ ભાર્ગવ કરિયાએ કહ્યું કે, 'આ વધુ પડતું છે'. આ સાથે જજે કહ્યું કે આટલી સામાન્ય રકમ માટે 'નો-ડ્યુઝ સર્ટિફિકેટ' ના આપવું એ એક પ્રકારની હેરાનગતિ જ છે. જસ્ટિસ ભાર્ગવે કહ્યું કે, '31 પૈસા બાકી છે? શું તમે જાણો છો કે 50 પૈસાથી ઓછી રકમની અવગણના કરવામાં આવે છે.' નારાજગી વ્યક્ત કરતા કોર્ટના જજે બેંક પાસે જવાબ માંગ્યો છે તેમજ એફિડેવિટ રજૂ કરવા પણ જણાવ્યું હતું. આ મામલે 2જી મેના રોજ ફરીથી સુનાવણી થશે.
SBI રાષ્ટ્રીયકૃત બેંક હોવા છતાં હેરાન કરે છે - કોર્ટ
જ્યારે કોઇ કારણોસર આ મામલો આગળ ન વધ્યો તો જમીનના ખરીદદારોએ 2020 માં હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેઓની અરજી પેન્ડિંગ હતી અને આ દરમિયાન લોનની સંપૂર્ણ ચુકવણી કરી દેવાઇ હતી. પરંતુ બેંકે હજુ પણ 'નો-ડ્યુઝ પ્રમાણપત્ર' ન હોતું આપ્યું અને તેના કારણે જમીન ખરીદદારોને ટ્રાન્સફર ન કરી શકાઈ. જો કે જ્યારે અરજીની સુનાવણી શરુ કરાઇ ત્યારે બુધવારે કોર્ટે કહ્યું કે, એક વાર લોન ચૂકવવામાં આવે ત્યાર બાદ કોર્ટ બેંકને પ્રમાણપત્ર આપવાનો નિર્દેશ કરશે. તેની પર બેંકે કોર્ટને સૂચના આપી કે હજુ 31 પૈસા બાકી છે. તેની પર જજે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, એક રાષ્ટ્રીયકૃત બેંક હોવા છતાં SBIલોકોને હેરાન કરે છે. જજે કહ્યું કે, 'એક નિયમ છે કે 50 પૈસાથી ઓછું કંઇ પણ કાઉન્ટ ના થાય.'