2 માર્ચના રોજ પોતાની ઓફિસમાં રાજકોટના બિલ્ડર મહેન્દ્ર ફળદૂએ ઓઝોન ગુપના માલિકો સહિત 7 લોકો સામે ગંભીર આરોપો કરી આત્મહત્યા કરી લીધી હતી.
રાજકોટના બિલ્ડર મહેન્દ્ર ફળદુના આપઘાતનો મામલો
ઓઝોન ગૃપે ફરિયાદ રદ કરવાની અરજી પર ગુજરાત હાઇકોર્ટે આપ્યો ચુકાદો
ગુજરાત હાઇકોર્ટે 6 શખ્સોની ધરપકડ ન કરવા આપ્યો આદેશ
રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ અને એડવોકેટ મહેન્દ્ર ફળદુ આપધાત કેસમાં ઘટનાના 15 દિવસ બાદ પણ નામાંકિત આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ત્યારે આરોપીના વકીલ તરફથી ઓઝોન ગૃપ સામે થયેલી ફરિયાદ રદ કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટેમાં કરવામાં આવી હતી. જે કેસની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે 6 શખ્સોની ધરપકડ ન કરવા આદેશ આપ્યો છે. તેમજ સમગ્ર મામલે તપાસ ચાલુ રાખવા નિર્દેશ પણ પોલીસને કરવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે જયેશ પટેલ,દિનેશ પટેલ સહિતના 6 શખ્સોની ધરપકડ ન કરવાના હુકમ આપતા કહ્યું છે કે આ કેસની વધુ સુનાવણી 15 જુનના રોજ હાથ ધરવામાં આવશે.
અત્યાર સુધી આરોપીની ભાળ પણ ન મેળવી શકી પોલીસ..!
રાજકોટના બહૂચર્ચીત મહેન્દ્ર ફળદુના આત્મહત્યા કેસમાં રાજકોટ પોલીસ દ્વારા SITની રચના કરાઇ છે. અને 4 ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. જોકે ઘટનાના 15 દિવસ બાદ પણ સાતેય આરોપી બિલ્ડર હજુ પણ પોલીસ પકડથી દૂર હતા. મહત્વનું છે કે પોલીસની ટીમ રાજકોટ અને અમદાવાદના બિલ્ડર ત્યાં પહોંચે તે પહેલા બિલ્ડર ફરાર થઇ ગયા છે. ત્યારે આ મામલે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ટેકનોલોજીના જમાનામાં આરોપીને પકડવા આટલા અઘરા કેમ? શું પોલીસ અધિકારીઓ ઉપર રાજકીય દબાણ છે તેવા પ્રશ્નો લોક મુખે ચર્ચાઈ રહ્યાં છે. ત્યારે આજે હાઈકોર્ટના આદેશ બાદ 6 શખ્સોની ધરપકડ હવે પોલીસ ઈચ્છે તો પણ નહી કરી શકે..
અમદાવાદના 5 અને રાજકોટના બે બિલ્ડર સામે ગુનો નોંધાયો છે
મહેન્દ્ર ફળદુ આપઘાત મામલે રાજકોટ પોલીસમાં 7 આરોપીઓ વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં 5 આરોપીઓ અમદાવાદના અને 2 આરોપીઓ રાજકોટના રહેવાસી છે. જેમાં એમ.એમ. પટેલ, અમિત ચૌહાણ, અતુલ મહેતા જયેશ કાંતિલાલ પટેલ, દીપક પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ અને પ્રણય કાંતિલાલ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. આ તમામ વિરૂદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાયો છે.
મહેન્દ્ર ફળદુએ સુસાઈડ પહેલા બનાવેલી ઓડિયો ક્લિપમાં શું કહ્યું હતું?
આત્મહત્યા પહેલા બનાવેલી ઓડિયો ક્લિપમાં કહેવામાં આવ્યું હતું કે મનસુખભાઈ એમ. સુરેજા, અતુલ મેહતા, અમદાવાદ, અમિત ચૌહાણ , રાજકોટ, જયેશ કાંતિલાલ પટેલ , ડાયરેક્ટર, ઓઝોન ગૃપ, દિપક મણીલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ, પ્રણયકુમાર કાંતિલાલ પટેલ, 2007માં 48 હજારથી વિશેષ વારની જગ્યામાં રોકાણ કર્યુ છે જેનાથી આપ સર્વે માહિતગાર છો તમામ રકમ ચૂકવેલ છે, તમામ નિયમની મેં અમલવારી કરેલ છેતેમ છતા ટસ્કની પ્રોજેક્ટમાં તમે અમોને દસ્તાવેજ કરી આપેલ નથી કે અમારી પાસેથી પ્લોટ પરત લેતા નથી એનકેન પ્રકારે અમને ખુબ હેરાન કરવામાં આવ્યા આ બુકિંગ મારા ઉપરાંત મારા નાના ભાઈ શૈલષભાઈ, બીજો નાનો ભાઈ રમેશભાઈ, મારા કાકા વિનુભાઈ અને મિત્રોના મારફતે તમારે ત્યાં ઓછામાં ઓછી એક લાખવાર જગ્યાનું બુકિંગ કરાવ્યું છે 2007માં આ તમામ રકમ ચુકવી આપેલ છે, જે તમારા બેન્ક ખાતામાં જમા છે ઈન્કમ ટેક્સમાં રિર્ટનમાં પણ આ રકમ બોલે છે 2007થી આ જગ્યાના દસ્તાવેજો કરાવવા માટે વિનંતીઓ કરી કોઈ જવાબ કે કોઈ પ્રકારનો સાથ સહકાર મળ્યો નથી ત્યાં જમીનનો ભાવ વધી ગયો છે અમને કાઢી મુકવા કે સસ્તા ભાવે પ્લોટ પચાવી પાડવાના સતત પ્રયત્નો કરાયા તેમની ઓફિસે જતા વારંવાર મને ગોળગોળ ફેરવ્યો. જે બાદ કોઈ છેડો ન મળતા આખરે કંટાળી મહેન્દ્ર ફળદુએ જિંદગી સાથે આપઘાત કરી છેડો ફાડી લીધો હતો.